1લી એપ્રિલ 2023 પહેલા એટલે કે 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવાની સમયમર્યાદાનો અંતિમ દિવસ છે. જે બાદ જો કોઈનું પણ પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો રૂ. 10,000 સુધીનો દંડ લાગી શકે છે. આ અસમંજસભરી પરિસ્થિતિમાં હાલ ઘણા ઠગાઈના કિસ્સાઓ સાથે કેટલીક અફવાઓ પણ ફરતી થયેલી જોવા મળેલી છે.
અમારા ધ્યાનમાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં, એમાંય ખાસ કરીને ફેસબુક અને વોટ્સએપ પર, એક ન્યુઝ આર્ટિકલનો ફોટો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/03/image-14.png?resize=696%2C408&ssl=1)
શું છે વાઇરલ મેસેજ?
વાઇરલ થઇ રહેલા આ સમાચાર કટિંગનું મથાળું છે કે “ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી”. સાથે જ આર્ટિકલમાં એક હાઇકોર્ટ એડવોકેટ બંદિશ સોપારકર દ્વારા 2017માં કરાયેલ એક અરજીનો ઉલ્લેખ છે. ફેસબુક પર આવી એક નહીં પણ ઢગલાબંધ પોસ્ટ્સ જોઈ શકાય છે જેમાં આ જ ફોટાનો ઉપયોગ થયો છે.
એ પણ નોંધવું જોઈએ કે વાઇરલ થઇ રહેલા પેપર કટિંગમાં કોઈ પણ પ્રકારની તારીખ નહોતી જોવા મળી. ફેક મેસેજમાં લખેલું છે કે, હાઇકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે 2017માં અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઇ હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડ ન જોડવાને લીધે પાનકાર્ડ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો અરજદાર પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં. તેથી આધાર સાથે પાનકાર્ડ ફરજિયાત જોડવાનો આઇ.ટી વિભાગનો નિર્ણય ગેરબંધારણીય છે. અરજદાર દ્વારા તેમના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાતા તેમનું પાનકાર્ડ સસ્પેન્ડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજર મેથ્યુ સામે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડનો કેસ સુપ્રીમમાં પડતર છે તેના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર આધાર સાથે પાનનો નિયમ ફરજિયાત કરી શકે નહીં. પરંતુ આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ફેક છે.
શું છે સત્ય?
ઑપઇન્ડિયાએ જયારે આ બાબતની સત્યતા ચકાસવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે આ સમાચાર તો સાચા જ છે પરંતુ 3 વર્ષ જુના છે!
આ સમાચાર ખરેખર તો જાન્યુઆરી 2020ના છે. તે સમયે ગુજરાત હાઇકોર્ટે આ પ્રમાણેનો આદેશ આપ્યો હતો. જે બાદ તે સમયે પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવાની સમયમર્યાદા જે 31 માર્ચ 2020 હતી તેને દૂર કરવામાં આવી હતી.
પરંતુ નોંધનીય છે કે તે ચુકાદાને અને હાલની સમય મર્યાદા 31 માર્ચ 2023ને કાંઈ જ લેવા દેવા નથી. ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં આ બાબતે કોઈ ચુકાદો આપ્યો નથી.
આથી સૌએ કોઈ અફવાઓ પર ધ્યાન ન આપીને પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવાની અવધિ પતે એ પહેલા આ કામ પતાવી દેવું જોઈએ, નહિ તો 10,000 રૂપિયાનો દંડ ભરવાની નોબત આવી શકે છે.
પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવાની પદ્ધતિ સરળતાથી જાણવા માટે અહીં ક્લિક કરી શકો છો.