Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતગાંધીનગરના કરોલીમાં નઈમ, અસ્લમ, બિસ્મિલ્લા સહિતના મુસ્લિમ ટોળાએ કર્યો પથ્થરમારો, હિંદુ યુવક...

    ગાંધીનગરના કરોલીમાં નઈમ, અસ્લમ, બિસ્મિલ્લા સહિતના મુસ્લિમ ટોળાએ કર્યો પથ્થરમારો, હિંદુ યુવક ઘાયલ: ‘રામ મંદિરનું ગીત વગાડવા બદલ’ હુમલો થયો હોવાનો સ્થાનિકોનો દાવો

    ગામની કેટલીક મહિલાઓ દાવો કરી રહી છે કે આ આખો બનાવ રામજી મંદિરના ગીતને લઈને થયો છે. સાથે જ મહિલાઓ દાવો કરી રહી છે કે ગામના મુસ્લિમો તેમને અવારનવાર હેરાન-પરેશાન કરતા રહે છે. મહિલાઓનો દાવો છે કે આ હિંદુ મુસ્લિમોનો ઝઘડો છે, તેઓ રાહ જોઇને જ બેઠા હતા.

    - Advertisement -

    ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા કરોલી ગામે મુસ્લિમ ટોળાએ હુમલો કરતા હિંદુ યુવક ઘાયલ થયો હતો. આ હુમલા પાછળનું પ્રાથમિક કારણ પતંગનો દોરો હોવાનું સામે આવ્યું છે, પરંતુ ગ્રામજનોના કહેવા પર મીડિયા અહેવાલમાં તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભગવાન રામનું ભજન વગાડવાના કારણે આ હુમલો થયો હતો. હાલ ઘાયલ હિંદુ યુવક સારવાર હેઠળ છે જયારે આરોપી મુસ્લિમ યુવકો વિરુદ્ધ ગાંધીનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર ઘટના 15 તારીખની છે. પ્રથમ અહેવાલ મુજબ આ હુમલો પતંગના દોરાને લઈને થયો હોવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે નિમેશ પટેલ નામના પીડિત હિંદુ યુવક પોતાના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન તેની પતંગ કપાઈ જતા તેનો દોરો સામેના મુસ્લિમ મહોલ્લામાં પડ્યો હતો. દોરો પડતાની સાથે જ આરોપી ટોળામાંથી કોઈએ પકડી લીધો હતો. દોરો પકડતા પીડિત યુવકે બૂમ પાડીને દોરો છોડી દેવા કહ્યું હતું.

    પીડીતે બૂમ પડતા સામે છેડેથી આરોપીઓએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “આજે ઉતરાણ છે અને ગમે તે વ્યક્તિ દોરો લૂંટે, એમાં બૂમો શાની પાડે છે?” આટલું કહીને આરોપીઓએ યુવકને ગાળો ભાંડી હતી. જે બાદ વાત વણસતા આરોપીઓએ તેને ધમકી આપી હતી કે, “સાંજ સુધીમાં તારો વારો કાઢી નાંખીશું.” આ ઘટના બાદ જયારે પીડિત યુવક સાંજે ગામની ભાગોળે બેઠા હતા ત્યારે આરોપી અબ્બાસ કુરેશીએ ટોળા સાથે આવીને ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત હિંદુ યુવક ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે.

    - Advertisement -

    નિમેશ પટેલની ફરિયાદના આધારે દહેગામ પોલીસે કરોલીના જ રહેવાસી નઇમ અકત્તરમીયા મલેક, સોનુ મહેમુદમિયા, સુબો ઇમામમીયા, અબ્બાસ ઉમરમિયા કુરેશી, અસલમ અહેમદમિયા મલેક, બીસ્મીલ્લા સાબીરભાઇ પઠાણ, શાહનવાજ મયુદ્દીન, રજાકહુસેન મહેમુદમીયા મલેક અને મોડાસાના રહેવાસી ઇરફાનમીયા ડોસમીયા મિરઝા સહિતના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    ભગવાન રામનું ભજન વગાડવાના કારણે હુમલો થયો છે: સ્થાનિકોનો દાવો

    ઘટના બાદ અન્ય એક સમાચાર ચેનલે પણ આ બાબતે અહેવાલ આપ્યા હતા. તેમાં સ્થાનિકોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે આ ઘટના ભગવાન રામના ભજન વગાડવાના કારણે થઈ છે. અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, “ગાંધીનગરના દહેગામ તાલુકામાં કરોલી ગામે હિંદુ યુવાનો રામ મંદિર નિર્માણનું ગીત વગાડતા મુસ્લિમ ટોળાએ હિંદુ વિસ્તારમાં હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 10 જેટલા હિંદુઓ પર પથ્થરમારો થયો હતો. ઘટનામાં નિમેશ પટેલ, લાલભાઈ પટેલ અને અતુલ પટેલ નામના વ્યક્તિઓ સહિત કેટલાકને ઈજા પહોંચી હતી.” આ અહેવાલમાં સ્થાનિક લોકોનો એક વિડીયો પણ જોડવામાં આવ્યો છે.

    આ વિડીયોમાં ગામની કેટલીક મહિલાઓ દાવો કરી રહી છે કે આ આખો બનાવ રામજી મંદિરના ગીતને લઈને થયો છે. સાથે જ મહિલાઓ દાવો કરી રહી છે કે ગામના મુસ્લિમો તેમને અવારનવાર હેરાન-પરેશાન કરતા રહે છે. મહિલાઓનો દાવો છે કે, “આ હિંદુ મુસ્લિમોનો ઝઘડો છે, તેઓ રાહ જોઇને જ બેઠા હતા. મુસ્લિમો ખરાબ ખરાબ ગાળો બોલે છે. એ લોકોના ત્રાસથી અમારે ઘરમાં પુરાઈ રહેવું પડે છે. તો અમારે શું બહાર નહીં નીકળવાનું? છોકરીઓ નીકળે ત્યારે અટકચાળા કરે છે અને મોડી રાત સુધી બહાર બેસી રહે છે. તે લોકો તલવાર લઈને મારવા આવતા હતા, મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.”

    ઉલ્લેખનીય છે કે આ આખી ઘટનામાં સાચું કારણ શું છે તે જાણવા ઑપઇન્ડિયાએ પીડિત યુવક નિમેશ પટેલો સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડતા નિમેશે અમને જણાવ્યું હતું કે માર પરવાના કારણે તેઓ વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી અને તેમને કેટલાક મેડીકલ રીપોર્ટ કરાવવા જવું છે, જેથી અમારી ટીમે તેમનો વધુ સમય ન લીધો. બીજી તરફ ઑપઇન્ડિયાએ દહેગામ પોલીસ નો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર વાત ન થઈ શકી. અમારી ટીમ આ ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરી રહી છે. માહિતી મળતાની સાથે જ આમે આ લેખ અપડેટ કરીશું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં