Saturday, June 22, 2024
More
    હોમપેજરાજકારણમંચ G7 શિખર સંમેલનનો, ધરતી ઇટલીની... પણ છવાયું ભારત: PM મોદીએ બ્રિટેનના...

    મંચ G7 શિખર સંમેલનનો, ધરતી ઇટલીની… પણ છવાયું ભારત: PM મોદીએ બ્રિટેનના પીએમ, ફ્રાંસ તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, થઇ દ્વિપક્ષીય ચર્ચા

    શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશના નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માટે ઇટલી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષી ચર્ચાઓ કરી હતી. ત્રણેય દેશોના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તો પીએમ મોદીને આલિંગન આપ્યું હતું. સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશના નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે બંને નેતાઓ છેલ્લે જાન્યુઆરીમાં મળ્યા હતા જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા ભારતના મહેમાન બન્યા હતા. બંને નેતાઓએ તેમની છેલ્લી બેઠક દરમિયાન દ્વિપક્ષીય સહકાર અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે તેમના સહિયારા દ્રષ્ટિકોણની પુષ્ટિ કરી હતી, જે ‘હોરાઇઝન 2047’ અને જુલાઈ, 2023 સમિટના અન્ય દસ્તાવેજોમાં દર્શાવવામાં આવી છે. ‘હોરાઇઝન 2047’ રોડમેપમાં ભારતની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 માટે દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ મહત્વાકાંક્ષી અને વિસ્તૃત કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

    આ પછી પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ ખૂબ જ ઉષ્માભેર મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓ દક્ષિણ ઇટલીના આ રિસોર્ટ શહેરમાં G7 સમિટની સમાંતરે મળ્યા હતા. સુનક અને મોદીની છેલ્લી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં G20 સમિટમાં થઈ હતી, જ્યારે તેઓ ભારતની સામાન્ય ચૂંટણીઓ પહેલા મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટોને ઝડપી બનાવવા સંમત થયા હતા.

    - Advertisement -

    જોકે, ચોથી જુલાઈએ નવી બ્રિટિશ સરકારની ચૂંટણી યોજાયા બાદ જ વેપાર વાટાઘાટો ફરી શરૂ થવાની ધારણા છે. ભારત-યુકે એફટીએ વાટાઘાટો, જે જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી, તેનો ઉદ્દેશ દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો કરવાનો છે.

    આ સાથે જ પીએમ મોદીની ઝેલેન્સ્કી સાથે રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અંગે વાતચીત થઈ હતી. વડાપ્રધાને વાતચીતના માધ્યમથી યુક્રેન યુદ્ધનું સમાધાન શોધવાની જરૂરિયાતને પ્રોત્સાહન આપ્યું હતું. G7ની બેઠક બાદ તેઓ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી G7 બેઠકમાં ભાગ લેવા માટે ઇટલી પહોંચ્યા છે.

    G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. ઇટલી પહોંચ્યા બાદ પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે, અમારું લક્ષ્ય વૈશ્વિક પડકારોને પહોંચી વળવાનું અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. યુક્રેનમાં યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષ ઇટલીના અપુલિયા ક્ષેત્રના બોર્ગો અગ્નાઝિયાના એક રિસોર્ટમાં 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં ચર્ચાનો મુદ્દો તેવી સંભાવના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં