Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણકાર્યકાળ પૂરો થવાના 3 દિવસ પહેલા જ મધરાતે પાકિસ્તાનની સંસદ થઇ ભંગ:...

    કાર્યકાળ પૂરો થવાના 3 દિવસ પહેલા જ મધરાતે પાકિસ્તાનની સંસદ થઇ ભંગ: પીએમ શાહબાઝની સલાહ પર લીધો રાષ્ટ્રપતિ અલ્વીએ આ નિર્ણય, 90 દિવસમાં ચૂંટણી

    દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ દેશમાં વહેલી તકે ચૂંટણીઓ ઇચ્છે છે જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતૃત્વમાં સત્તારૂઢ ગઠબંધન શક્ય હોય ત્યાં સુધી ચૂંટણીને ટાળવા માંગે છે.

    - Advertisement -

    બુધવારે (9 ઓગસ્ટ) પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની સલાહ પર સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નિર્ણય મોડી રાત્રે લેવામાં આવ્યો હતો.

    પીટીઆઈના અહેવાલ મુજબ, નીચલા ગૃહને ભંગ કરવા માટે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે. પીએમ શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી.

    અગાઉ, પાકિસ્તાનમાં એવી અટકળો ચાલી રહી હતી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના (PML-N) નેતૃત્વવાળી ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકે છે. તે 11 ઓગસ્ટે સંસદ ભંગ કરવા માંગતી હતી. જો કે, ભારે ડરના કારણે, તેને આ નિર્ણય ઝડપથી લેવાની ફરજ પડી હતી.

    - Advertisement -

    ચૂંટણી કરાવવા માટે ત્રણ મહિનાનો સમય મળશે

    ટેકનિકલ આધાર પર હવે પાકિસ્તાનમાં ચૂંટણી યોજવાની સમય મર્યાદા બે મહિનાથી વધીને ત્રણ મહિના થઈ જશે. હકીકતમાં, પાકિસ્તાનમાં એવો નિયમ છે કે જો નેશનલ એસેમ્બલી તેનો કાર્યકાળ પૂર્ણ કરે છે, તો ચૂંટણી પંચે દેશમાં બે મહિનામાં નવી ચૂંટણીઓ કરાવવી પડશે.

    પરંતુ જો વિધાનસભા તેની મુદત પૂરી કર્યા વિના ભંગ કરવામાં આવે છે, તો પંચ 90 દિવસમાં ચૂંટણી કરાવવા માટે બંધાયેલું છે. એટલે કે તેને વધુ 30 દિવસ મળે છે. રાષ્ટ્રપતિની સંમતિ સાથે, સંસદ તેના કાર્યકાળના અંતના ત્રણ દિવસ પહેલા વિસર્જન કરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચને ચૂંટણી કરાવવા માટે 90 દિવસનો સમય મળશે.

    ઇમરાન ખાનની પાર્ટી ઝડપી ચૂંટણી કરાવવા ઇચ્છતી હતી

    દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ દેશમાં વહેલી તકે ચૂંટણીઓ ઇચ્છે છે જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતૃત્વમાં સત્તારૂઢ ગઠબંધન શક્ય હોય ત્યાં સુધી ચૂંટણીને ટાળવા માંગે છે.

    રાષ્ટ્રપતિ અલ્વી ઈમરાનની નજીક હોવાથી, શરીફ સરકારને શંકા હતી કે તેઓ સમય પહેલા નેશનલ એસેમ્બલીને ભંગ કરવા માટે સરકારની દરખાસ્તની માંગ કરશે નહીં. એટલા માટે તેણે આ યુક્તિ કરી હતી.

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે હાલમાં જેલમાં છે અને તે ચૂંટણી લડી શકશે તેવી આશા ઓછી છે. કોર્ટે તેમના પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે પાકિસ્તાનના રાજકારણમાં ટોચના નેતાઓ જેલમાં જાય કે પછી બીજા દેશમાં આશરો લે, આ બધું સાવ સામાન્ય રહ્યું છે. નવાઝ શરીફે પણ દેશનિકાલ અને જેલ બંને ભોગવ્યા છે જ્યારે બેનઝીર ભુટ્ટોને પણ લાંબો સમય જેલમાં પસાર કરવો પડ્યો હતો અને પછી દેશની બહાર રહેવું પડ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં