Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયા6.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું મોરોક્કો, અનેક ઈમારતો ધરાશાયી થવાથી ભયંકર તબાહી…: 600...

    6.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું મોરોક્કો, અનેક ઈમારતો ધરાશાયી થવાથી ભયંકર તબાહી…: 600 લોકોનાં મોત, સેંકડો ઘાયલ

    આ ભૂકંપ 120 વર્ષોમાં ઉત્તર આફ્રિકામાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. તેને લઈને ઘણી પ્રાચીન ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટના બાદની સ્થિતિના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

    - Advertisement -

    મોરોક્કોમાં 6.8ની તીવ્રતાના ભયંકર ભૂકંપના લીધે ભારે જાનહાનિ નોંધાઈ છે. હમણાં સુધી 632 લોકોના મોત નીપજ્યાં છે. ભૂકંપના આંચકા મોરોક્કોના કાંઠાના શહેરો રબાત, કૈસાબ્લાંકા અને એસ્સૌઈરામાં અનુભવાયા હતા. તબાહીને જોતાં મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વિનાશકારી ભૂકંપના ફોટા અને વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટની શરૂઆતમાં મોરોક્કોમાં ભૂકંપના લીધે મૃત્યુ પામેલા લોકો માટે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

    અહેવાલોના જણાવ્યા અનુસાર, શુક્રવાર (8 સપ્ટેમ્બર 2023)ના રોજ રાત્રિના સમયે આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઇ છે. ધરતીમાં આવેલા આંચકા બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભારતીય સમય અનુસાર, બપોરે સાડા બાર સુધીમાં 600થી વધુ લોકોનાં મોત નોંધાઈ ચૂક્યાં છે. ભૂકંપની તીવ્રતા 6.8 હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, હજુ પણ મૃત્યુઆંકના વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મરાકેશ શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર હતું. ભૂકંપ એટલો ભયાનક હતો કે તેની અસર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ થઈ હતી.

    સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS) અનુસાર આ ભૂકંપ 120 વર્ષોમાં ઉત્તર આફ્રિકામાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. તેને લઈને ઘણી પ્રાચીન ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટના બાદની સ્થિતિના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

    - Advertisement -

    મોટ પાયે રેસ્ક્યુ ઓપરેશન

    ઇમારતો ધરાશાયી થવાથી ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. સૌથી વધુ ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ મરાકેશ શહેરમાંથી સામે આવી છે. વહીવટી તંત્ર દ્વારા મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સિવાય સ્થાનિક લોકો પણ કાટમાળ હટાવવાનુ કામ કરી રહ્યા છે અને રાહત-બચાવકાર્ય સતત ચાલી રહ્યું છે. આફ્રિકી અને યુરેશીયાઈ પ્લેટોની વચ્ચે સ્થિત હોવાને લીધે મોરોક્કોના ઉત્તર વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. વર્ષ 2004માં, અલ હોસેઈમાં આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 628 લોકોનાં મોત થયાં હતાં અને ત્યારે પણ મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

    PM નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપના કારણે થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે “આ દુખદ ઘડીમાં મારી સંવેદના મોરોક્કોના લોકોની સાથે છે. એ લોકો પ્રતિ સંવેદના જેમણે પોતાના સ્વજનને ખોયો છે. ઘાયલ જલ્દીથી સ્વસ્થ બને, તેના માટે ઈશ્વરને પ્રાથના કરું છું. ભારત આ મુશ્કેલીના સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે.” તેમણે G20 સમિટની શરૂઆતમાં પણ મોરક્કોના લોકો પ્રત્યે સંવેદના દર્શાવીને વિશ્વ તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં