Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતે પાથરેલી જાળમાં જ ફસાઈને મર્યા ચાઇનીઝ નૌસૈનિક: પરમાણું સબમરીનમાં ગૂંગળાઈ જવાથી...

    પોતે પાથરેલી જાળમાં જ ફસાઈને મર્યા ચાઇનીઝ નૌસૈનિક: પરમાણું સબમરીનમાં ગૂંગળાઈ જવાથી 55ના મોતનો દાવો કરતા અહેવાલો

    કહેવામાં આવી રહ્યું છે કે ચાઈનાની આ 093 ટાઈપની સબમરીન ખુબ જ એડવાન્સ હતી. તેના ચાલવા પર તે નહીવત અવાજ કરતી, જેના કારણે દુશ્મન જહાજોની નજરથી તે સરળતાથી બચવ સક્ષમ હતી. આ સબમરીન પરમાણું ઇંધણથી ચાલતી હતી અને તેમાં એડવાન્સ ટોરપીડો સીસ્ટમ (સમુદ્રની અંદર મારી શકે તેવી મિસાઈલ) લાગેલી હતી.

    - Advertisement -

    ચીનમાં 55 નૌસૈનિકના મોત નીપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીને અન્ય દેશોના જહાજોને ફસાવવા માટે પીળા સમુદ્રમાં એક જાળ પાથરી હતી. આ જ જાળમાં ચીનની પોતાની જ એક સબમરીન ફસાઈ ગઈ હતી. આ સબમરીનમાં સવાર નૌસેનાના અધિકારીઓ સહિત 55 લોકોના મોત નીપજ્યા છે. આ દાવા બ્રિટન દ્વારા આપવામાં આવેલા એક ગુપ્ત રીપોર્ટના આધારે કરવામાં આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચીને પાથરેલી જાળમાં જ ફસાઈ ચાઇનીઝ પરમાણું સબમરીન પર સવાર 55 નૌસૈનિકના મોત થયા છે.

    દાવા કરી રહેલા અહેવાલો મુજબ ચીનની એક પરમાણું સબમરીન ચાઇનીઝ નેવી દ્વારા બનાવેલી જાળમાં ફસાઈ ગઈ હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જાળ અમેરિકન અને બ્રિટીશ જહાજોને ફસાવવા માટે પાથરવામાં આવી હતી. અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ ઘટના ગત ઓગસ્ટ મહિનાની છે. બ્રિટનના કેટલાક ગુપ્ત રિપોર્ટોના આધારે કહેવામાં આવી રહ્યું છે કે જે નૌસૈનિકોના મોત નિપજ્યા છે તે સબમરીન નંબર 093-417 પર સવાર હતા. ઘટના સમયે આ સબમરીન પીળા સમુદ્રમાં હતી. જોકે ચીને આ તમામ દાવા નકારી કાઢ્યા છે.

    અહેવાલોમાં બ્રિટીશ રીપોર્ટને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ગત 21 ઓગસ્ટ 2023ના રોજ ચાઇનીઝ સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગીને 12 મીનીટે આ ચાઇનીઝ સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઇ. દુર્ઘટના સમયે આ સબમરીન પીળા સમુદ્રમાં કામ કરી રહી હતી. આ સબમરીન પર સવાર તમામ 55 નૌસૈનિકો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં 22 ઓફિસર, 9 પેટા ઓફિસર, 17 નાવિક અને 7 કેડેટ્સનો સમાવેશ થાય છે. મૃતકોમાં સબમરીનના કેપ્ટન જૂ-યોંગ-પેંગનો પણ સમાવેશ થાય છે. અહેવાલો મુજબ સબમરીનમાં ઓક્સીજન ખૂટી ગયો હતો અને તમામના મોત ગૂંગળાઈ જવાથી થયા છે.

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યું છે કે વિદેશી જહાજોને રોકવા માટે ચીને પીળા સમુદ્રમાં અનેક ચેન અને લંગરની જાળ પાથરી હતી. મિશન દરમિયાન આ સબમરીન આ જ જાળ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ભીષણ અથડામણ બાદ સબમરીનની અનેક સિસ્ટમો નિષ્ક્રિય થઈ ગઈ. સાથે જ તેની લાઈફ સપોર્ટ સીસ્ટમ પણ ઠપ પડી ગઈ હતી. સબમરીનને સમુદ્રમાંથી ઉપર લાવવામાં 6 કલાકનો સમય લાગી ગયો અને તેમાં રહેલી ઓક્સીજન સીસ્ટમ બગડી જવાથી તમામના મોત નીપજ્યા હતા.

    કહેવામાં આવી રહ્યું છે કે ચાઈનાની આ 093 ટાઈપની સબમરીન ખુબ જ એડવાન્સ હતી. તેના ચાલવા પર તે નહીવત અવાજ કરતી, જેના કારણે દુશ્મન જહાજોની નજરથી તે સરળતાથી બચવા સક્ષમ હતી. આ સબમરીન પરમાણું ઇંધણથી ચાલતી હતી અને તેમાં એડવાન્સ ટોરપીડો સીસ્ટમ (સમુદ્રની અંદર મારી શકે તેવી મિસાઈલ) લાગેલી હતી. એક તરફ બ્રિટીશ ગુપ્ત એજન્સીઓએ ચાઇનીઝ સબમરીન ડૂબવા પર અને નૌસૈનિકના મોત વિશે કોઈ પણ ટીપ્પણી આપવાની ના પડી છે તો બીજી તરફ ચીને પણ આ દાવા નકારી કાઢ્યા છે. પરંતુ જો આ અહેવાલો સાચા સાબિત થયા તો આ અકસ્માત ચાઈનાના ઇતિહાસના સહુથી ગમખ્વાર અકસ્માતોમાંનો એક અકસ્માત હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં