Friday, March 29, 2024
More
    હોમપેજસ્પેશ્યલસ્વચ્છતાની સફર: દેશમાં પ્રથમવાર ભાવનગરની શામળદાસ કોલેજથી અસ્તિત્વમાં આવનાર 'સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર' સ્નાતક...

    સ્વચ્છતાની સફર: દેશમાં પ્રથમવાર ભાવનગરની શામળદાસ કોલેજથી અસ્તિત્વમાં આવનાર ‘સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર’ સ્નાતક અભ્યાસક્રમનો ઇતિહાસ

    ભાવનગરની યુનિવર્સીટી દ્વારા શરુ થયેલો સ્વચ્છતાના સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ આજે ભારતભરની અનેક યુનિવર્સીટીના અભ્યાસક્રમોમાં પોતાનું સ્થાન મેળવી ચૂક્યો છે.

    - Advertisement -

    મોહનદાસ કરમચંદ ગાંધી જ્યાં ભણ્યા એ માટે ઓળખાતી અને ખ્યાતનામ એવી ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં 2016થી એક ઐતિહાસિક અને ભારતમાં પ્રથમવાર એક વિષયને અભ્યાસક્રમમાં ઉમેરાયો જેનું નામ હતું સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર એટ્લે કે સોશિયોલોજી ઓફ સેનિટેશન. ગુજરાતનાં ભાવનગરની આ કોલેજમાથી શરૂ થયેલ આ અભ્યાસક્રમને આજ સુધી ભારતના જુદા જુદા રાજયોની 21 કોલેજ/યુનિવર્સિટીઓમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ પૂર્ણ અથવા અંશતઃ સ્વીકારવામાં આવ્યો છે. આ કોલેજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અંતર્ગત ચાલી રહી છે.

    સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસક્રમ તૈયાર કરનાર પણ આ જ કોલેજના અધ્યાપક ડોક્ટર અનિલ વાઘેલા છે. તેમજ સમગ્ર ભારતમાં સ્વચ્છતાનુ સમાજશાસ્ત્રનું પુસ્તક હિન્દી તેમજ ગુજરાતીમાં લખ્યું છે. તેઓ પણ આ જ શામળદાસ આર્ટ્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી હતા અને બાદમાં અધ્યાપક તરીકે આ જ કોલેજમાં જોડાયા હતા.

    ઑપઇન્ડિયાની ટીમે આ વિષયમાં રસ દાખવીને ડો અનિલ વાઘેલાનો સંપર્ક કર્યો. ડો વાઘેલાએ પણ ખૂબ નિખાલસતાથી ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. એમણે આ અભ્યાસક્રમના શરૂઆતથી લઈને હમણાં સુધીની દરેક જાણકારી પૂરી પાડી તથા ભવિષ્યની યોજનાઓ પર પણ ચર્ચા કરી. ડો. વાઘેલાએ આ વિષયની ઐતિહાસિક નોંધો તથા ફોટા પણ ઑપઇન્ડિયાને પૂરા પાડ્યા હતા.

    - Advertisement -

    કાશ્મીરથી કર્ણાટક સ્વચ્છતાના સમાજશાસ્ત્રની વિકાસ યાત્રા

    1885માં સ્થાપિત શામળદાસ આર્ટસ કોલેજ સૌથી વધુ તો એ વાત માટે જાણીતી છે કે એમાં મોહનદાસ કરમચંદ ગાંધીએ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો એ આ કોલેજ સાથે જ ભાવનગર માટે પણ ગૌરવની વાત ગણાય છે. સૌ કોઈ જાણે છે કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને સૌભાગ્યની વાત એ છે કે ભાવનગર, ગુજરાતની આ શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી સમગ્ર ભારતમાં પ્રથમવાર ‘સ્વચ્છતાના સમાજશાસ્ત્ર‘ (Sociology of Sanitation)ના અભ્યાસક્રમની શરૂઆત 2016થી થઇ હતી.

    શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર (ફોટો : ડો. અનિલ વાઘેલા)

    સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસીસ ન્યૂ દિલ્હી દ્વારા 2012માં દિલ્હી ખાતે સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર વિષય અંગે નેશનલ સેમિનાર યોજાયો હતો તેમાં ડો.અનિલ વાઘેલા દ્વારા સ્વચ્છતાના સમાજશાસ્ત્ર વિષય સંદર્ભે અભ્યાસક્રમ રજૂ કર્યો હતો જે અને ડો. બિંદેશવર પાઠકે તેને સ્વીકૃત કર્યું હતું.

    બાદમાં આ વિષયના અભ્યાસક્રમને અનુરૂપ એક નેશનલ વર્કશોપ થયો તેમાં ડો. નીલ રતનજીના સહયોગ દ્વારા વાઘેલાને સ્વચ્છતાના સમાજશાસ્ત્રનુ પુસ્તક લખવાનું આમંત્રણ આપ્યું અને 2016 થી આ વિષય સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ વિષયને અભ્યાસક્રમમાં સ્વીકૃતિ આપીને સૌ પ્રથમ શામળદાસ આર્ટસ કોલેજમાં ડોક્ટર અનિલ વાઘેલા દ્વારા આ વિશે શીખવવાની શરૂઆત થઈ જે ક્રમશઃ ગુજરાત સહિત સમગ્ર ભારતની અલગ-અલગ યુનિવર્સિટીઓમાં આ વિષય અનુસ્નાતક અને સ્નાતક અભ્યાસક્રમમાં શીખવવાની શરૂઆત થઇ ચૂકી છે.

    રાજયકક્ષાનો સેમિનાર 2016 (ફોટો: ડો અનિલ વાઘેલા)

    2018માં ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ રાજ્ય સ્તરે ભાવનગરમાં એક સ્વચ્છતાના સમાજશાસ્ત્રનો સેમિનાર યોજવામાં આવ્યો તેમાં તત્કાલિન શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધયક્ષ રહ્યા આ સેમિનાર સુલભ, શામળદાસ કોલેજ સમાજશાસ્ત્ર વિભાગ અને ભાવનગર યુનિવર્સિટીના સહયોગી હતા.આ સેમિનારના અધયક્ષ તરીકે ડો.પાઠક હતા.

    પ્રિનેશનલ સેમિનારનું ઉદ્ઘાટન કરાવતા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફોટો : ડો અનિલ વાઘેલા)

    2018માં અમદાવાદમાં સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર વિષય અંગે એક પ્રિનેશનલ સેમિનાર યોજાયો હતો. તેમાં અધ્યક્ષપદે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી હતા.

    રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર (ફોટો : ડો અનિલ વાઘેલા)

    બાદમાં જ્યારે નેશનલ સેમિનાર યોજાયો ત્યારે ગુજરાતનાં તત્કાલિન રાજ્યપાલશ્રી કાર્યક્રમના અધ્યક્ષપદે હતા. નેશનલ સેમિનારમાં સમગ્ર દેશમાંથી વિદ્વાન પ્રોફેસર્સ દ્વારા આ વિષય સંદર્ભે સંશોધન પેપરો રજૂ થયા હતા.

    આ જ વર્ષે માર્ચ મહિનામાં સુલભ ઇન્ટરનેશનલના 52માં સ્થાપનાદિવસ નિમિત્તે યોજયેલા #SociologyOfSanitation પરના રાષ્ટ્રીય સેમિનાર અંતર્ગતના કાર્યક્રમમાં સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક તથા ભારત સરકાર દ્વારા પદ્મ ભુષણથી સન્માનીત બિન્દેશ્વર પાઠક દ્વારા શામળદાસ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. જે.બી. ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું.

    શું હોય છે સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર અભ્યાસક્રમમાં

    આ અભ્યાસક્રમમાં સ્વચ્છતાને લગતા વિવિધ વિષયોનો સમાવેશ કરવાં આવેલ છે. જેમાં મુખ્ય નીચે મુજબ છે;

    • જ્ઞાતિ અને સ્વચ્છતા
    • કુટુંબ અને સ્વચ્છતા
    • જાતિ અને સ્વચ્છતા
    • સામાજિકકરણ અને સ્વચ્છતા
    • સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર : અર્થ, પ્રકૃતિ અને અવકાશ
    • અન્ય સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ
    • પર્યાવરણ અને સ્વચ્છતા વચ્ચેનો સંબંધ
    • જાહેર આરોગ્ય, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા
    • ટકાઉ વિકાસ અને સ્વચ્છતા
    શામળદાસ કોલેજના સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ (ફોટો : ડો અનિલ વાઘેલા)

    શામળદાસ આર્ટ્સ કોલેજમાંઆ વિષયમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ન માત્ર થીયરી પરંતુ પ્રાયોગિક રીતે પણ વિષયનું પૂરી જ્ઞાન આપવામાં આવે છે. જુદી જુદી સ્વચ્છતા ડ્રાઈવ મારફતે વિધ્યાર્થીઓમાં સ્વચ્છતાની સમજ અને તેનું મહત્વ સમજાવવામાં આવે છે.

    વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલ પ્રાયોગિક કામ ( ફોટો : ડો અનિલ વાઘેલા)

    વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે વિષયની સમજ આપવા માટે એમણે કોલેજ કેમ્પસ ઉપરાંત જુદી જુદી જગ્યાઓએ લઈ જઇ ત્યાના એ પ્રશ્નો તરફ ધ્યાન અપાય છે જે સીધી અથવા આડકતરી રીતે સ્વચ્છતા સાથે જોડાયેલા હોય છે. સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો કોલેજ દ્વારા વારંવાર અપાય છે.

    સમાજશાસ્ત્રમાં સ્વચ્છતા વિષય પર PhD કરનાર વિદ્યાર્થીની શિલ્પા કનાડા (ફોટો : ડો અનિલ વાઘેલા)

    2016થી શરૂ થયેલ આ સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર વિષય ન માત્ર સ્નાતક અને અનુસ્નાતકમાં પરંતુ હવે તો પીએચડી સુધીના વિધ્યાર્થીઓની પસંદ બન્યો છે. ગત વર્ષે જ શામળદાસ આર્ટ્સ કોલેજની જ વિદ્યાર્થીની શિલ્પા કનાડાએ પ્રોફેસર ડો. અનિલ વાઘેલાના નેતૃત્વમાં પોતાની સમાજશાસ્ત્રની થીસિસ પૂરી કરી હતી. જેમાં એમનો મૂળ વિષય હતો ‘ભાવનગર શહેરની શિક્ષિત મહિલાઓની સ્વચ્છતા અંગે જાગૃતિ’.

    આ અભ્યાસક્રમ સ્વીકારનાર કોલેજ/યુનિવર્સિટીઓ

    ગુજરાતનાં ભાવનગરની શામળદાસ કોલેજમાથી શરૂ થયેલ આ અભ્યાસક્રમને આજ સુધી ભારતના જુદા જુદા રાજયોની 21 કોલેજ/યુનિવર્સિટીઓમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ પૂર્ણ અથવા અંશતઃ સ્વીકારવામાં આવ્યો છે. જેમનું લિસ્ટ આ મુજબ છે.

    1. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગુજરાત- સ્નાતક
    2. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગુજરાત-ઇતિહાસ વિભાગ-અનુ સ્નાતક- સ્નાતક
    3. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સ્નાતક અને અનુસ્નાતક  વિભાગ
    4. સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત-સ્નાતક અને અનુસ્નાતક માટે સમાજશાસ્ત્ર વિભાગ
    5. લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી, દરભંગા, બિહાર
    6. કુમાઉ યુનિવર્સિટી, નૈનીતાલ
    7. હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, શ્રીનગર
    8. દયાલબાગ શૈક્ષણિક સંસ્થા, આગ્રા  ખાતે વ્યાવસાયિક તાલીમ તરીકે સ્વચ્છતા
    9. કાશ્મીર યુનિવર્સિટી, શ્રીનગર
    10. યુનિવર્સિટી ઓફ કોલ્હાપુર, મહારાષ્ટ
    11. મેંગલોર યુનિવર્સિટી, મેંગલોર
    12. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગુજરાત
    13. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત-સ્નાતક અને અનુસ્નાતક માટે
    14. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર
    15. બેંગ્લોર સેન્ટ્રલ યુનિવર્સિટી, બેંગ્લોર.
    16. કન્નડ યુનિવર્સિટી. હમ્પી
    17. કુવેમ્પુ યુનિવર્સિટી, શિમોગા
    18. બોધ ગયા સેન્ટ્રલ યુનિવર્સિટી, ગયા, બિહાર
    19. M.S.W. ભાવનગર યુનિવર્સિટી ભાવનગર 2019 અનુ સ્નાતક

    આજે ગુજરાતનાં અને અન્ય રાજયો હજારો વિદ્યાર્થીઓ આ વિષય રસપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. શામળદાસ આર્ટ્સ કોલેજ જરૂર ગૌરવાંતીત અનુભૂતિ કરતી હશે કે ગાંધીજીએ આ કોલેજમાં અભ્યાસ કર્યો તેમજ તેમણે જે સ્વચ્છતાના આગ્રહી હતા એ મુજબ જ આ કોલેજમાં પણ સમગ્ર ભારતમાં સૌપ્રથમ સ્વચ્છતાના સમાજશાસ્ત્રની શરૂઆત થઈ છે. આ 21 કોલેજ/યુનિવર્સિટીઓ ઉપરાંત અન્ય ઘણી કોલેજ/યુનિવર્સિટીઓ હાલ શામળદાસ કોલેજના સંપર્કમાં છે અને ભવિષ્યમાં આ અભ્યાસક્રમ એમના ત્યાં પણ શરૂ કરી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં