Friday, April 26, 2024
More
    હોમપેજસ્પેશ્યલ‘નો રિગ્રેટ, નો રેપેન્ટન્સ, નો સૉરો, નો ગ્રીફ…..’: રામમંદિર માટે સત્તા અને...

    ‘નો રિગ્રેટ, નો રેપેન્ટન્સ, નો સૉરો, નો ગ્રીફ…..’: રામમંદિર માટે સત્તા અને સરકાર બલિદાન કરનારા મહાનાયક- કલ્યાણ સિંહ

    જ્યારે-જ્યારે રામજન્મભૂમિના સંઘર્ષની, કારસેવકોના બલિદાનની, રામમંદિરની અને રાજકારણની વાતો થશે ત્યારે ધર્મ રક્ષા ખાતર સત્તા અને સરકારનું બલિદાન આપનારા મહાનાયક કલ્યાણ સિંહને અચૂક યાદ કરવામાં આવશે. 

    - Advertisement -

    “જબ 6 દિસંબર દોપહર 1 બજે કેન્દ્ર સરકાર કે ગૃહમંત્રી શ્રી એસ. બી ચવ્હાણ સાહબ કા મેરે પાસ ફોન ગયા ઔર કહા કી હમારે પાસ સૂચના હૈ કી કારસેવક ગુંબજ પર ચડ ગયે હૈ, આપકે પાસ ક્યા સૂચના હૈ? મૈંને કહા, મેરે પાસ એક કદમ આગે કી સૂચના હૈ..કી કારસેવક ગુંબજ પર ચડ ગયે હૈ ઔર કારસેવકોં ને ગુંબજ તોડના શુરુ ભી કર દિયા હૈ….લેકિન ચવ્હાણ સાહબ મેરી ઇસ બાત કો રેકોર્ડ કર લેના કી, મેં ગોલી નહીં ચલાઉંગા..ગોલી નહીં ચલાઉંગા….ગોલી નહીં ચલાઉંગા.”

    આ શબ્દો હતા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામજન્મભૂમિ આંદોલનના નાયક કલ્યાણ સિંહના. 1992માં જ્યારે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે અયોધ્યામાં બાબરીનો જર્જરિત ઢાંચો તૂટ્યો ત્યારે કલ્યાણ સિંહ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે ભગવાન રામના મંદિર માટે, લાખો કારસેવકોની સુરક્ષા માટે સત્તા બલિદાન કરી દીધી હતી અને તમામ જવાબદારીઓ પોતાની ઉપર લઇ લીધી હતી. ગુરુવારે (5 જાન્યુઆરી 2023) કલ્યાણ સિંહનો જન્મદિવસ ગયો, આ પ્રસંગે તેમને યાદ કરીએ, તેમના યોગદાનનું સ્મરણ કરીએ. 

    કલ્યાણ સિંહ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા, પણ એકેય વખત પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો ન હતો. તેમના કાર્યકાળ એક વખત દોઢ વર્ષ (જૂન 1991 થી ડિસેમ્બર 1992), બીજી વખત માત્ર 5 મહિના (સપ્ટેમ્બર 1997 થી ફેબ્રુઆરી 1998) અને ત્રીજી વખત 1 વર્ષ 9 મહિના (ફેબ્રુઆરી 1998 થી નવેમ્બર 1999) રહ્યા. 

    1991ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને 57થી 221 બેઠકો સુધી પહોંચાડી અને પૂર્ણ બહુમતીની સરકારમાં મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે અયોધ્યા જઈને ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાવવાનો સંકલ્પ કર્યો હતો. અયોધ્યાને પર્યટન સ્થળ બનાવવા માટે કવાયત શરૂ પણ કરી દેવાઈ હતી અને જમીન સંપાદનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    પરંતુ સત્તા સાંભળ્યાના દોઢ વર્ષમાં જ 6 ડિસેમ્બર 1992ના દિવસે બાબરી વિધ્વંસ થયો અને તેમણે રાજીખુશીથી સરકાર બલિદાન કરી દીધી. 

    1992માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને યુપીમાં ભાજપની. કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા. 6 ડિસેમ્બરના દિવસે અયોધ્યામાં વિવાદિત સ્થળે કારસેવા માટેનું એલાન કરવામાં આવ્યું હતું અને દેશભરમાંથી લાખો કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યને પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કહ્યું હતું અને સરકારે તેમ કર્યું પણ હતું. 

    તે દિવસ વિશે વાત કરતાં કલ્યાણ સિંહ એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “અમે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી હતી. એ સત્ય છે કે તેમ છતાં ઢાંચો તૂટી ગયો. ઘણી વખત સુરક્ષા હોવા છતાં ઘટના ઘટી જાય છે. મેં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરાવી હતી.”

    તેઓ આગળ કહે છે, “મેં અધિકારીઓને કહ્યું હતું કે, ઢાંચાની સુરક્ષા માટે જે કંઈ પણ કરવું પડે એ યોજના અનુસાર કરવું, કારણ કે આપણે વચન આપ્યું છે. પણ એક વાત મેં કહી દીધી હતી કે લાખો કારસેવકો હતા અને તેમની ઉપર એક પણ ગોળી નહીં ચલાવવામાં આવે. અને આમાં અધિકારીઓનો કોઈ વાંક નથી. તેમણે તો મારા આદેશનું પાલન કર્યું હતું.”

    “ઢાંચો તૂટ્યો તેનો મને કોઈ અફસોસ નથી. ઢાંચો તૂટવાનો ન મને કોઈ ખેદ છે, ન પશ્ચાતાપ છે ન પ્રાયશ્ચિત છે. નો રિગ્રેટ, નો રિપેન્ટેન્સ, નો સોરો, નો ગ્રીફ….લોકો કહે છે કે 6 ડિસેમ્બર 1992ની ઘટના રાષ્ટ્રીય શરમની વાત છે. હું કહું છું કે 6 ડિસેમ્બર 1992ની ઘટના રાષ્ટ્રીય શરમ નહીં, રાષ્ટ્રીય ગર્વનો વિષય છે.”

    એક ભાષણમાં કલ્યાણસિંહે કહ્યું હતું, “અધિકારીઓનો, કર્મચારીઓનો કોઈ પણ રીતે કોઈ દોષ નથી, કોઈ વાંક નથી, કોઈ ખામી નથી. તમામ જવાબદારી હું મારી ઉપર લઉં છું અને સ્વીકાર કરું છું. કોઈ કોર્ટમાં કેસ ચલાવવો હોય તો મારી સામે ચલાવો, કોઈ કમિશન પાસે તપાસ કરાવવી હોય તો કરાવો….અને આ માટે કોઈ દંડ આપવો હોય તો કોઈને ન આપીને મને આપો. અધિકારીઓએ તો આદેશનું પાલન કર્યું છે…અને હું એક-એક બિંદુનું સ્પષ્ટીકરણ આપવા માટે તૈયાર છું…મેં કે મારા સાથીઓ, સહયોગીઓ કે મારી સરકારે કોર્ટના આદેશની અવમાનના કરી નથી. શું હું ગોળી ચલાવી દેત?”

    રાજકારણમાં સક્રિય નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટામાં મોટા પદ પર બેઠેલા વ્યક્તિની એક મહત્વકાંક્ષા હોય છે- પદ મેળવવાની. તેમાં કંઈ ખોટું પણ નથી. સત્તા માટે અનેક લોકોએ કાવાદાવા કર્યા છે લડાઈઓ થઇ છે. પરંતુ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં ધર્મરક્ષા માટે થઈને સત્તાને લાત મારનારા એકમાત્ર હતા- કલ્યાણ સિંહ. 

    કલ્યાણ સિંહ ગમે તેમ કરીને પોતાની ખુરશી બચાવી શક્યા હોત, પણ તેમણે તેમ ન કર્યું. કેન્દ્ર સરકારનું, આખી એક ઇકોસિસ્ટમનું ભરપૂર દબાણ હોવા છતાં તેઓ અડગ રહ્યા અને રામકાજ માટે, ધર્મ માટે ખુરશી પણ છોડી દીધી. એટલું જ નહીં, જાહેરમાં કહેતા રહ્યા કે તેનો તેમને કોઈ અફસોસ નથી અને દંડ ભોગવવા માટે પોતે તૈયાર છે. 

    આજે ભવ્ય રામમંદિર બની રહ્યું છે. આવતા વર્ષની આ તારીખે કદાચ આપણે સૌ ભવ્ય મંદિરમાં બિરાજમાન શ્રી રામલલાના દર્શન પણ કરી શકીશું. પરંતુ જ્યારે-જ્યારે રામજન્મભૂમિના સંઘર્ષની, કારસેવકોના બલિદાનની, રામમંદિરની અને રાજકારણની વાતો થશે ત્યારે ધર્મ રક્ષા ખાતર સત્તા અને સરકારનું બલિદાન આપનારા મહાનાયક કલ્યાણ સિંહને અચૂક યાદ કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં