Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતશું છે કચ્છનું ‘હરામી નાળા’, જ્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહી છે મોદી...

    શું છે કચ્છનું ‘હરામી નાળા’, જ્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહી છે મોદી સરકાર: જાણો કેવી રીતે પડ્યું હતું નામ, કેમ થતી રહે છે ઘૂસણખોરી

    'હરામી નાળા' કચ્છમાં ભારત-પાકિસ્તાનને વિભાજિત કરતો સમુદ્રનો એક ભાગ છે, જે 22 કિલોમીટર લાંબો છે. રાજસ્થાનના બાડમેરનો થોડો વિસ્તાર પણ તેને સ્પર્શે છે.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવાર (12 ઓગસ્ટ, 2023)ના રોજ કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદીય વિસ્તારમાં અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જેનાથી BSFને ઘણી મદદ મળી શકશે. BSF માટે એક ‘Mooring પ્લેસ’ વિકસિત કરવામાં આવશે, જ્યાં પેટ્રોલિંગ બોટ વગેરેના મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે. જેને 257 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવશે. અમિત શાહે ‘હરામી નાળા’ વિસ્તારમાં ચિડિયામોડ-બિયારબેટ લિંક રોડ અને OT ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

    28.2 કિલોમીટરની આ સડક 106.2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. તેમ જ BSF માટે જે ટાવર બની રહ્યો છે, તેમાં 3 કરોડ રૂપિયાનો ખર્ચ લાગશે. આ ટાવરના બની ગયા બાદ પાકિસ્તાન દ્વારા થઈ રહેલી ઘૂસણખોરી પર 24 કલાક સુરક્ષા દળો બારીકાઈથી નજર રાખી શકશે. સાથે જ રોડ બની જવાથી સુરક્ષા દળોની મુવમેન્ટ પણ ઝડપી બનશે.

    કઈ રીતે પડ્યું ‘હરામી નાળા’નું નામ, વિસ્તાર પડકારજનક

    આ દરમિયાન તમારા મનમાં એક પ્રશ્ન જરૂર થઈ રહ્યો હશે કે આ ‘હરામી નાળા’ છે શું ? અને તેનું નામ આવું કેમ છે? કારણ કે ‘હરામી’ તો અપશબ્દ જેવું પણ લાગે. વર્ષ 2019માં તેની ખાસ્સી ચર્ચા થઈ રહી હતી, જ્યારે ત્યાંથી પાકિસ્તાની આંતકીઓ ઘૂસણખોરી માટે કાવતરું ઘડી રહ્યા હોવાની ગુપ્ત માહિતી સામે આવી હતી. આ વિસ્તાર ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે.

    - Advertisement -

    સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો ‘હરામી નાળા’ કચ્છમાં ભારત-પાકિસ્તાનને વિભાજિત કરતો સમુદ્રનો એક ભાગ છે, જે 22 કિલોમીટર લાંબો છે. રાજસ્થાનના બાડમેરનો થોડો વિસ્તાર પણ તેને સ્પર્શે છે. તેને ‘નાલા’ એટલા માટે કહે છે કે, એ સમુદ્રનો કાદવવાળો ભાગ છે અને ત્યાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે. કિંમતી ઝીંગા માછલી અહીં જોવા મળે છે. આમ તો તેનો શિકાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તે છતાં લોકો કિંમતી માછલીની લાલચને લીધે માછલી પકડવા જતા હોય છે. અહીં પાણીનું સ્તર વાતાવરણ અને સમુદ્રી વેગને લઈને ઓછું-વધુ થતું રહે છે.

    પાકિસ્તાનને આ રસ્તેથી ઘૂસણખોરી કરવી સરળ પડી રહી હતી. આંતકીઓથી લઈને પાકિસ્તાની જાસૂસ પણ સમયે-સમયે આ રસ્તા દ્વારા ઘૂસણખોરી કરતા રહ્યા છે. તેના કારણે આ ભાગને ‘હરામી નાળા’ કહેવામાં આવે છે. તસ્કરો માટે પણ ભારતમાં પ્રવેશ કરવાનો આ રસ્તો સરળ થઈ ગયો હતો. પાકિસ્તાની માછીમારો પણ અવારનવાર અહીથી પકડાતા રહે છે. ઘણીવાર અહીંથી લાવારિસ બોટ પણ મળી આવી છે. કડક સુરક્ષા હોવા છતાં આ વિસ્તારમાંથી આવા સમાચારો મળતા જ રહ્યા છે.

    2008ના 26/11 આતંકી હુમલાના આતંકીઓનો સમૂહ કે જેમાં અજમલ કસાબ પણ સામેલ હતો- તે બધા આ ‘હરામી નાળા’ દ્વારા જ બોટમાં આવ્યા હતા. ભારતથી પાકિસ્તાન ભાગ્યે જ કોઈ આ વિસ્તારમાંથી ગયું હશે, પણ પાકિસ્તાનથી આવી આ વિસ્તારમાંથી ગુજરાત-મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતી આવી છે. ‘હરામી નાળા’ એક એવી સમુદ્રી ચેનલ છે કે જે પ્રવાહ બદલવા માટે પણ કુખ્યાત છે.

    ‘હરામી નાળા’નું ભૂગોળ, પાકિસ્તાન કરતું રહ્યું છે દાવો

    સર ક્રીક અને વિયાન વારી ક્રીક ભારતના આ વિસ્તારના 6 મુખ્ય અખાતોમાં સ્થાન ધરાવે છે. વિયાન વારી ક્રીક ભારત તરફથી પાકિસ્તાનના ઉત્તર વિસ્તારમાં પ્રવેશીને પૂર્વ તરફ જાય છે અને ફરી ભારતમાં આવે છે. ત્યાં જ આ ‘હરામી નાળા’ બને છે, પછી એ બે ભાગોમાં વહેચાય જાય છે, જેમાંનો એક ભાગ પાકિસ્તાન તરફ જાય છે અને આ જ ભાગ ભારત માટે પડકારજનક બને છે. તેને ‘સર ક્રીક એરિયા’ પણ કહે છે. પાકિસ્તાન આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે.

    સમજો “હરામી નાળા’ વિસ્તારનું ભૂગોળ

    વર્ષ 1914માં ‘બોમ્બે ગવર્નમેન્ટ રિજૉલ્યૂશન’ નામનો એક કરાર થયો હતો, જેમાં અલગ-અલગ રાજ્યોની વચ્ચે સરહદોનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સમગ્ર ક્રીક (અખાત) પર દાવો કરતું રહ્યું છે. જોકે, ભારત જળ સીમાઓના નિર્ધારણ માટે બનેલા આંતરરાષ્ટ્રીય કાયદા થાલવૈગ્સના કરારનું પાલન કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં