Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજીવતા એક ન થઈ શક્યાં તો આત્મહત્યા કરી, મૃત્યુના 6 મહિના બાદ...

    જીવતા એક ન થઈ શક્યાં તો આત્મહત્યા કરી, મૃત્યુના 6 મહિના બાદ સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ જોડી બનાવી લગ્ન કરાવ્યાં: તાપીની ઘટના

    આદિવાસી સમાજના ગણેશ પડવી અને રંજના પડવી એક બીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂરના સગા હોવાથી પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. ઓગસ્ટ 2022માં બંને ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

    - Advertisement -

    મૃત્યુના 6 મહિના બાદ પ્રેમી યુગલના લગ્ન થયા છે અને આ કોઈ ફિલ્મી વાર્તા પણ નથી. આ અનોખાં લગ્ન ગુજરાતના તાપી જીલાના એક ગામમાં થયાં છે. અહીં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં યુગલે સમાજના ડરે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના 6 મહિના બાદ આ પ્રેમી યુગલના મૂર્તિઓનાં આ લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આમ કરીને ગ્રામજનો મૃત યુગલની છેલ્લી ઈચ્છા પૂરી કરી રહ્યા છે કે પસ્તાવો એ સ્પષ્ટ નથી રહ્યું.

    મૃત્યુના છ મહિના પછી યુગલના લગ્ન થવાની આ ઘટના તાપીના નિઝર તાલુકાના નવા નેવાલા ગામેથી સામે આવી હતી. અહેવાલો અનુસાર આદિવાસી સમાજના ગણેશ પડવી અને રંજના પડવી એક બીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂરના સગા હોવાથી પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. ઓગસ્ટ 2022માં બંને ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યાં હતાં. હવે સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ બંનેની મૂર્તિઓ બનાવીને લગ્ન કરાવી દીધા છે.

    આ લગ્ન આદિવાસી વિધિ-વિધાન સાથે સંપન્ન થયાં હતાં. એવું કહેવાય છે કે આ બંનેની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે આમ કરવામાં આવ્યું હતું. તેમના આત્માની શાંતિ માટે પરિવારજનોએ મૂર્તિ બનાવીને તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

    - Advertisement -

    પડવી આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે આત્મહત્યા કરનારની આત્મા ભટકતી રહે છે. પ્રેમી યુગલના પરિવારજનોએ તેમના આત્માની શાંતિ માટે મૂર્તિઓ બનાવીને તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ઘટનાના 6 મહિના પછી ગણેશ અને રંજનાની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. લગ્નનું કાર્ડ પણ છપાયું હતું. 14 જાન્યુઆરી, 2023ના રોજ ગણેશની જાન જૂના નેવાલા ગામમાં પહોંચી હતી. તેના પ્રતીક તરીકે રંજનાના ઘરે ગણેશની મૂર્તિ મૂકવામાં આવી હતી. સાત ફેરા ઉપરાંત આદિવાસી સમાજની પરંપરા મુજબ તમામ વિધિઓનું પાલન કરવામાં આવ્યું હતું.

    લગ્ન બાદ દુલ્હનની વિદાય પણ થઈ હતી. ગણેશની સાથે રંજનાની મૂર્તિ તેના ગામ પહોંચી હતી. આ પ્રસંગે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બંનેને મૂર્તિઓનું સ્થાપન કરી હાજર તમામે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, સાથે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. બંનેની મૂર્તિઓ ગામની મધ્યમાં સ્થાપિત કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં