Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગૌમૂત્રથી દેશને સ્વતંત્રતા નહોતી મળી’ – હિંદુઓ પ્રત્યે ઘૃણા ફેલાવતું નિવેદન આપતાં...

    ‘ગૌમૂત્રથી દેશને સ્વતંત્રતા નહોતી મળી’ – હિંદુઓ પ્રત્યે ઘૃણા ફેલાવતું નિવેદન આપતાં ઉદ્ધવ ઠાકરે; ચૂંટણી પંચ પર પણ લગાવ્યો ગંભીર આરોપ

    ગૌમૂત્રથી દેશને સ્વતંત્રતા નથી મળી એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ ફરીથી વિવાદનો મધપુડો છંછેડી દીધો છે. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર પણ આકરા પ્રહાર કર્યા છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. આ વખતે તેમની ટીપ્પણી હિંદુઓની ધાર્મિક લાગણીઓને આહત કરે એ પ્રકારની છે. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને પણ ‘ચુના લગાઓ પંચ’ કહી દીધું છે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું છે કે ગૌમૂત્રથી દેશને સ્વતંત્રતા નથી મળી, પરંતુ તે સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાનથી મળી છે. ગઈકાલે એક સભાને સંબોધન કરતાં ઉદ્ધવ ઠાકરેએ આ પ્રકારનાં નિવેદન આપ્યાં હતાં.

    મહારાષ્ટ્રનાં રત્નાગીરી જીલ્લાનાં ખેડ ગામમાં આયોજિત એક સભામાં ઉદ્ધવ ઠાકરે સંબોધન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે ચૂંટણી પંચની આકરી ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ હવે ‘ચુના લગાઓ પંચ’ થઇ ગયું છે અને તે સત્તામાં બેસેલાં લોકોનું ગુલામ છે. પોતાની પાસેથી શિવસેનાનું નામ અને ચિન્હ છીનવાઈ ગયા બાબતે બોલતાં ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું હતું કે જે સિદ્ધાંત પર ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે તે અયોગ્ય છે. ઉદ્ધવે આગળ જણાવ્યું હતું કે પંચ મારી પાસેથી પાર્ટીનું નામ અને ચિન્હ ભલે છીનવી શકે છે પરંતુ તેઓ શિવસેનાને મારી પાસેથી ક્યારેય છીનવી નહીં શકે.

    ચૂંટણી પંચ પર કટાક્ષ કરતાં ઉદ્ધવ ઠાકરેએ આગળ જણાવ્યું હતું કે ‘શિવસેનાની સ્થાપના ચૂંટણી પંચના પિતાએ નહીં પરંતુ મારા પિતાએ કરી હતી. મહારાષ્ટ્ર મારું પરિવાર છે અને એ લોકો તેની સંભાળ કેવી રીતે લઇ શકશે? મારે તમારાં બધાંનો સાથ સહકાર જોઈએ છીએ. હું એ ગદ્દારોને કહેવા માંગુ છું કે તમે મારી પાસેથી નામ ચોરી શકો છો, ચિન્હ ચોરી શકો છો પરંતુ શિવસેના નહીં ચોરી શકો. હું ચૂંટણી પંચને ખાસ કહીશ કે જો તેને મોતિયો ન થયો હોય તો તેણે જમીની પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ.

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું હતું કે તેમને તોડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ શિવસેનાને નહીં પરંતુ મરાઠી માણુસ અને હિન્દુત્વને તોડવાનું ષડ્યંત્ર છે. જેને ગલીનું કુતરું પણ ક્યારેય સુંઘતું ન હતું તેવા લોકો આજે અમને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મને ચૂંટણી પંચનો નિર્ણય અસ્વીકાર્ય છે અને અમે તેને સુપ્રિમ કોર્ટમાં પડકારીશું.

    ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પણ આડકતરો આરોપ લગાવ્યો હતો. તેમણે સરદાર પટેલ અને નેતાજી સુભાષચન્દ્ર બોસની જેમ બાળાસાહેબ ઠાકરેનું નામ પણ ભાજપે ચોરી લીધું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો કે તે મોદીનાં નામે મત માંગી જુએ નહીં કે શિવસેના અને બાળાસાહેબ ઠાકરેના ફોટો ઉપર.

    ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેનું કહેવું હતું કે તેમની સરકાર એટલે પડી કારણકે તેમની સાથે વિશ્વાસઘાત થયો હતો. મારાં વિધાનસભ્યોને બેભાન કરવાનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. અમે બધાંએ મળીને વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. કેજરીવાલ મને મળવા આવ્યાં હતાં. તેમણે કહ્યું કે આજકાલ ઘણુંબધું થઇ રહ્યું છે, હવે આપણે એક થવું પડશે. મેં કહ્યું કે હું તૈયાર છું.”

    ઉદ્ધવ ઠાકરેએ ગૌમૂત્ર પર વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે “શું ગૌમૂત્રથી દેશને સ્વતંત્રતા મળી છે? એવું શું થયું કે ગૌમૂત્ર છાંટવામાં આવ્યું અને આપણને સ્વતંત્રતા મળી ગઈ? એવું નહોતું. સ્વતંત્રતા સેનાનીઓએ બલિદાન આપ્યાં હતાં અને એટલે જ આપણને સ્વતંત્રતા મળી હતી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં