Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કેરાલા સ્ટોરી’ના ડાયરેક્ટરને ધમકી: આંખ કાઢી લાવનારને 21 લાખનું ઇનામ આપવાનું...

    ‘ધ કેરાલા સ્ટોરી’ના ડાયરેક્ટરને ધમકી: આંખ કાઢી લાવનારને 21 લાખનું ઇનામ આપવાનું ‘હક-એ-હિંદુસ્તાન’ મોરચાના તમન્ના હાશ્મીનું એલાન, પોસ્ટરો પણ સળગાવાયાં

    મોરચાના અધ્યક્ષ તમન્ના હાશ્મીએ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું કે, તેમાં મુસ્લિમોને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઉપરાંત, તેમણે ફિલ્મને ઉન્માદ ફેલાવનારી પણ ગણાવી હતી.

    - Advertisement -

    ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ પણ ચર્ચામાં છે. એક તરફ ફિલ્મને દેશભરમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે તો બીજી તરફ એક વર્ગ એવો છે જે સતત આ ફિલ્મની વિરુદ્ધમાં છે. હવે ફિલ્મના ડાયરેક્ટરને ધમકી આપવામાં આવી છે. 

    ‘હક-એ-હિંદુસ્તાન મોરચા’એ ‘ધ કેરાલા સ્ટોરી’ના ડાયરેક્ટરની આંખ કાઢી લાવનારાને 21 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે. આ મોરચાના અધ્યક્ષ તમન્ના હાશ્મી છે. એલાન તેમના દ્વારા જ કરવામાં આવ્યું છે. તેમણે ફિલ્મનો વિરોધ કરીને પોસ્ટર પણ સળગાવ્યાં હતાં. 

    ‘હક-એ-હિંદુસ્તાન મોરચા’ મુજફ્ફરપુરની ‘સામાજિક સંસ્થા’ હોવાનો દાવો કરે છે. જેના કેટલાક કાર્યકરોએ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’નો વિરોધ કર્યો અને તેનાં પોસ્ટરો પણ સળગાવ્યાં હતાં. અધ્યક્ષ તમન્ના હાશ્મીએ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું કે, તેમાં મુસ્લિમોને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઉપરાંત, તેમણે ફિલ્મને ઉન્માદ ફેલાવનારી પણ ગણાવી હતી. તેમની સાથે ઉપસ્થિત અન્ય લોકોમાં ઈફ્તિખાર અહમદ, રિઝવાન અહમદ, વિવેક, ઇમરાન, ફૈઝલ, સંજય, આદિલ, જુનૈદ અહમદ, મોહમ્મદ અમઝદ, વિવેક, મેરાજ અહમદ, સેરાજ ખાન અને જાહિદ અહમદ વગેરે સામેલ હતા. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કેરળની એ હિંદુ યુવતીઓની વાત કહેવામાં આવી છે જેમને ‘લવ જેહાદ’ની જાળમાં ફસાવીને તેમના નિકાહ કરીને તેમનું ઇસ્લામી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તસ્કરી કરીને તેમને ISIS કેમ્પમાં મોકલી દેવામાં આવે છે. ગત શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઇ હતી અને અત્યાર સુધીમાં કરોડોની કમાણી કરી ચૂકી છે. 

    ફિલ્મે પહેલા દિવસે 8 કરોડ, બીજા દિવસે 11 કરોડ, ત્રીજા દિવસે 16 કરોડ, ચોથા દિવસે 10 કરોડ, પાંચમા દિવસે 11 કરોડ, છઠ્ઠા દિવસે 12 કરોડ અને સાતમા દિવસે પણ 12 કરોડ એમ કુલ 81 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું પ્રદર્શન જાળવી રાખ્યું તો ફિલ્મ ભારતમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરશે. ફિલ્મને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવાં રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે તમિલનાડુમાં થિયેટર એસોશિએશને કાયદો-વ્યવસ્થાનું કારણ આપીને ફિલ્મ ન બતાવવાનો નિર્ણય લીધો હતો. 

    ધ કેરાલા સ્ટોરી ફિલ્મના ડાયરેક્ટરને ધમકી આપવામાં આવી છે ત્યારે એ પણ નોંધવું જરૂરી છે કે ફિલ્મને લઈને અન્ય પણ અનેક લોકોને પણ ધમકીઓ મળી ચૂકી છે. પુણેમાં એક રિક્ષાચાલકે આ ફિલ્મ જોવા જતા લોકો માટે મફત સવારીની ઘોષણા કરતાં તેમને પણ ઇસ્લામીઓ તરફથી ધમકી મળી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં