Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ સહયોગીએ કર્યા તીસ્તા સેતલવાડનાં કુકર્મોના ખુલાસા: પીડિતોનાં નામે કરોડોનું ફંડ ઉઘરાવીને...

    પૂર્વ સહયોગીએ કર્યા તીસ્તા સેતલવાડનાં કુકર્મોના ખુલાસા: પીડિતોનાં નામે કરોડોનું ફંડ ઉઘરાવીને ચાઉં કરી ગયાં, કોંગ્રેસની મદદથી નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો હતો મકસદ

    રઈસ ખાન પઠાણે એક વાતચીતમાં કહ્યું કે, તીસ્તા સેતલવાડે પીડિતો સાથે દગો કર્યો હતો અને તેમના નામે કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવ્યા પછી તેનો એક ટકા જેટલો હિસ્સો પણ પીડિતોને આપ્યો ન હતો.

    - Advertisement -

    ગુજરાત રમખાણો બાદ થયેલી તપાસમાં કથિત સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડની ભૂમિકા તપાસવા માટે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યા બાદ ગુજરાત એટીએસે તીસ્તાની ધરપકડ કરી લીધી હતી અને હાલ તેઓ જેલમાં છે. અમદાવાદમાં નોંધાયેલા એક કેસ મામલે તીસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ આરબી શ્રીકુમારની પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ, તીસ્તાના પૂર્વ સહયોગી રઈસ ખાન પઠાણે વિવિધ ટીવી ચેનલો સાથેની વાતચીત દરમિયાન તીસ્તા સેતલવાડનાં કુકર્મો અંગે મોટા ખુલાસા કર્યા છે.

    રઈસ ખાન પઠાણે એક વાતચીતમાં કહ્યું કે, તીસ્તા સેતલવાડે પીડિતો સાથે દગો કર્યો હતો અને તેમના નામે કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવ્યા પછી તેનો એક ટકા જેટલો હિસ્સો પણ પીડિતોને આપ્યો ન હતો. તેમણે કહ્યું કે, તીસ્તા જેવા લોકો પીડિતોના નામે પૈસા ઉઘરાવે છે અને પછી જાતે જ ચાઉં કરી જાય છે, આવા લોકોને માફ કરવામાં આવવા ન જોઈએ. 

    તીસ્તા સેતલવાડે પીડિતોનાં એફિડેવિટ સાથે પણ છેડછાડ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. રઈસ ખાન પઠાણે કહ્યું કે, તીસ્તાએ પીડિતોના નામે એફિડેવિટ બનાવીને SIT અને નાણાવટી કમિશન સામે રજૂ કરી દીધાં હતાં. પરંતુ એફિડેવિટમાં શું લખ્યું હતું તે પીડિતોને પણ ખબર ન હતી. જ્યારે એફિડેવિટ અને નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો ત્યારે આ મામલે ખુલાસા થયા હતા.

    - Advertisement -

    તીસ્તા સેતલવાડના પૂર્વ સહયોગી રઈસખાન પઠાણે રિપબ્લિક ટીવી સાથે વાતચીત કરતા પણ કહ્યું હતું કે, “સાક્ષીઓ સોગંદનામામાં શું લખ્યું છે તે વિશે કંઈ જાણતા જ ન હતા. તો પછી તેઓ કઈ રીતે કહી શકે કે તેમાં શું લખ્યું હતું? તીસ્તાએ સરકાર પર દબાણ લાવવા માટે પીડિતોને ખોટી જુબાની આપવા માટે પણ કહ્યું હતું.”

    કોંગ્રેસ નેતાઓ સાથે સબંધો હતા, શરૂઆતમાં તેમણે પૈસા પણ આપ્યા હતા

    આ ઉપરાંત રઈસ ખાન પઠાણે કોંગ્રેસ સાથે તીસ્તાના સબંધોને લઈને પણ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, “તીસ્તા સેતલવાડ કોંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલ સાથે સંપર્કમાં હતાં. તેઓ અવારનવાર ચર્ચા કરતાં હતાં. તે ઉપરાંત પણ અન્ય કોંગ્રેસ નેતાઓ સાથે તેમના સંપર્કો હતા.” 

    આ ઉપરાંત ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે શરૂઆતમાં તીસ્તા સેતલવાડને પૈસા પણ આપ્યા હતા. તેમણે કહ્યું, “રમખાણો બાદ તીસ્તા સાથે અમે 45 પીડિતોને લઈને દિલ્હી આવ્યા હતા અને વિટ્ઠલભાઈ ભવનમાં તેમને રાખવામાં આવ્યા હતા અને ત્યાં મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે પછી તીસ્તાએ એક ચાદર પાથરીને પૈસા માંગ્યા હતા. તે વખતે મોટા-મોટા કોંગ્રેસ નેતાઓ પણ હાજર હતા. ત્યારબાદ પીડિતોને લઈને આખા દેશમાં ફર્યા હતા.” તેમણે કહ્યું કે, તીસ્તાને વિદેશી ફંડિંગ પણ મળવા માંડ્યું હતું. 

    તીસ્તાએ કહ્યું હતું- “પીડિતોને પૈસા આપીશું તો તેઓ આપણી સાથે નહીં રહે”

    તીસ્તાએ લાશોના નામે વેપાર કર્યો હોવાનો આરોપ લગાવીને તેમણે કહ્યું કે, તેમણે કરોડો રૂપિયા એકઠા કર્યા અને પોતાની ઉપર જ ખર્ચ કર્યો હતો. તીસ્તા સેતલવાડનાં કુકર્મો અંગે તેમણે કહ્યું કે, “અમારો ઘણીવાર ઝઘડો પણ થયો હતો કે તેઓ પીડિતોના નામે પૈસા ઉઘરાવીને તેમને જ પૈસા આપતા નથી. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “પીડિતોને કેવી રીતે પૈસા આપીએ? તેમને પૈસા આપીએ તો તેઓ તો આપણી સાથે રહેશે નહીં. તેમને ખાલી લાલચ આપીએ તો જ તેઓ સાથે રહેશે.” તેમણે કહ્યું કે, જ્યાંથી ફંડ આવે છે તેના દલાલ 50 ટકા લઈ જાય છે અને બાકીના પચાસ ટકામાંથી પીડિતોને આપીશું તો આપણી પાસે પૈસાની અછત પડશે.”

    આરબી શ્રીકુમારે ધમકી આપી હતી- તીસ્તાના આતંકવાદી સંગઠનો સાથે સબંધો છે, એ મારી નંખાવશે

    ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે મહત્વનો ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમને આરબી શ્રીકુમાર તરફથી ધમકી પણ મળી હતી. તેમણે કહ્યું, “આરબી શ્રીકુમારે મને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, તીસ્તાની વિરુદ્ધ જશો નહીં અને ગયા તો તીસ્તાના સબંધો આતંકવાદીઓ સાથે છે, એ તમને મારી નંખાવશે. તે ઉપરાંત પણ અનેક લોકોએ ધમકીઓ આપી હતી, જેની ફરિયાદ મેં અમદાવાદમાં કરી છે.”

    ગુલબર્ગ સોસાયટીને મ્યુઝિયમ બનાવવા માંગતાં હતાં

    તીસ્તા સેતલવાડનાં કુકર્મો અંગે અન્ય એક ખુલાસો કરતા તેમણે કહ્યું કે, તીસ્તા સેતલવાડ ગુલબર્ગ સોસાયટીને મ્યુઝિયમ બનાવવા માંગતાં હતાં. જે બાદ જ અમારો ઝઘડો થયો છે. ગુલબર્ગ સોસાયટીના લોકો જેઓ ભાડાના મકાનમાં કે સબંધીઓના મકાનમાં રહેતા હતા તેઓ ઇચ્છતા હતા કે સોસાયટી વેચાઈ જાય અને તેઓ અન્યત્ર મકાન ખરીદી લે. તે માટે અમે બિલ્ડરનો સંપર્ક પણ કર્યો હતો અને તેમની સાથે સોસાયટીના રહીશોની મિટિંગ પણ કરાવી હતી. પરંતુ તીસ્તાને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ગુલબર્ગ સોસાયટી નહીં વેચાવા દઈએ અને મ્યુઝિયમ બનાવીશું. અને તેમણે સોસાયટી વેચાવા ન દીધી. આજે પણ ઘણા લોકો ભાડાના મકાનમાં રહે છે.

    તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરવાનો મકસદ હતો

    ઇન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેમનો મકસદ જ તત્કાલીન સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીને બદનામ કરવાનો હતો અને તેમની વિરુદ્ધ જ તમામ એફિડેવિટ દાખલ કરવાનો હતો. તેમનો ઉદ્દેશ્ય પીડિતોને ન્યાય મળે તેની સાથે કંઈ લેવાદેવા ન હતી. તેમણે તો જેમના કહેવા પર આ કામ કરતાં હતાં, તેમને ખુશ કરવાના હતા. તેમની મંશા એ હતી કે, આ આરોપોના કારણે સરકાર આગલી ચૂંટણીમાં ચૂંટાય નહીં અને તેનો ફાયદો કોંગ્રેસને પહોંચે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં