Saturday, May 4, 2024
More
    હોમપેજદેશરામ ભજન ગાઈ રહ્યા હતા રમેશ પાંડે, મુલાયમ સિંઘની પોલીસે માથામાં મારી...

    રામ ભજન ગાઈ રહ્યા હતા રમેશ પાંડે, મુલાયમ સિંઘની પોલીસે માથામાં મારી હતી ગોળી: પરિવાર પાસે આજે પણ ઘર નહીં, પુત્રોએ કહ્યું- રામમંદિર બનવાથી પિતાની આત્માને શાંતિ મળશે

    જે સ્થળ પર રમેશ કુમારને ગોળી મારવામાં આવી હતી તે જગ્યા હનુમાનગઢી પાસે જ છે. તે સ્થળ રમેશના ઘરથી લગભગ 300 મીટર દૂર છે. અયોધ્યા પોલીસ સ્ટેશન પણ રમેશના ઘર અને તેમના બલિદાન સ્થળથી અડધો કિલોમીટર દૂર આવેલું છે.

    - Advertisement -

    અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અહીં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આ અવસર માટે હમણાંથી જ સમગ્ર દેશમાં ભક્તિભાવમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. બીજી તરફ હિંદુ સમાજ એ તમામ કારસેવક રામભક્તોને યાદ કરી રહ્યો છે, જેમણે મુગલ કાળથી મુલાયમ કાળ સુધી રામજન્મભૂમિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. અહીં વાત આ જ રામભક્તો પૈકીના એક કારસેવક રમેશ કુમાર પાંડે અને તેમના પરિવાર વિશેની છે.

    ડિસેમ્બર 2023થી ઑપઇન્ડિયાની ટીમ અયોધ્યા છે. જ્યાં અમે આવા તમામ પરિવારોની મુલાકાત કરી છે. તેમાનો જ એક પરિવાર રમેશ કુમાર પાંડેનો છે. તેમને 2 નવેમ્બર, 1990ના રોજ મુલાયમ સિંઘ યાદવની સરકાર આદેશ પર ગોળી મારવામાં આવી હતી.

    ભાડાના મકાનમાં રહે છે પરિવાર

    દિવંગત કારસેવક રમેશ કુમાર પાંડેનો પરિવાર અયોધ્યા રાણી બજાર વિસ્તારમાં રહે છે. આ સ્થળ હનુમાનગઢીથી થોડે જ દૂર આવેલું છે. જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે ઘર બંધ હતું. અમે ફોન કર્યો ત્યારે અંદરથી સુરેશ નામનો યુવક બહાર આવ્યો તેમણે પોતાની ઓળખ સ્વર્ગીય રમેશ પાંડેના પુત્ર તરીકે આપી હતી. સુરેશ અમને તેમના ઘરની અંદર લઈ ગયા. ઘરમાં રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓનો અભાવ હતો. રમેશ કુમાર પાંડેનો પરિવાર જ્યાં રહે છે તે ઘર સેંકડો વર્ષ જૂનું છે.

    - Advertisement -
    આ ભાડાના મકાનમાં રહે છે રમેશ પાંડેનો પરિવાર

    આ ઘર અયોધ્યા નરેશની મિલકત છે જેમાં રમેશ કુમારનો પરિવાર લગભગ 40 વર્ષથી ભાડે રહે છે. જ્યારે અમે સુરેશને પૂછ્યું કે શું તેમની પાસે ખાનગી મકાન નથી, તો તેમણે જવાબ આપ્યો કે, ‘નહીં’.

    ઈંટના ભઠ્ઠામાં નોકરી કરીને પાળતા હતા પરિવાર

    સુરેશે અમને જણાવ્યું કે, તેમના પિતા કારસેવક રમેશ કુમાર પાંડે મૂળ પાડોશી જિલ્લા ગોંડાના વતની હતા. તેઓ 1970-80ના દાયકામાં પૈસા કમાવવા માટે અયોધ્યા સ્થાયી થયા હતા. અહીં તેઓ એક ઈંટના ભઠ્ઠામાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. ભગવાન રામના પરમ ભક્ત હોવાના કારણે રમેશ પાંડે રામજન્મભૂમિ પાસે જ ઘર લેવા માંગતા હતા.

    પિતા રમેશ પાંડેની તસવીર હાથમાં દર્શાવી રહેલા તેમના પુત્ર સુરેશ પાંડે

    આખરે તેમને હનુમાનગઢીમાં ભાડે એક ઓરડો મળ્યો જ્યાં તેમનો પરિવાર આજે પણ રહે છે. પિતાનો ફોટો પકડીને અમને બતાવતા સુરેશ ભાવુક થઈ ગયા હતા.

    પિતાના દેહાંત બાદ માતાએ પાળ્યો પરિવાર

    પોતાના બાળપણની યાદ તાજી કરતાં રમેશે જણાવ્યું કે, 1990માં બલિદાન સમયે તેમના પિતાની ઉંમર 40 વર્ષ આસપાસ હતી. રમેશ કુમારના પત્ની તે સમયે લગભગ 35 વર્ષનાં હતાં. રમેશ કુમારના કુલ 4 સંતાન હતાં, જેમાં બે પુત્રીઓ અને 2 પુત્રોનો સમાવેશ થાય છે. તેમના દેહાંત પછી તેમના પત્નીએ આખા પરિવારનું ભરણપોષણ કર્યું.

    દિવંગત રમેશ કુમારના પત્ની અને તેમનો પુત્ર સુરેશ

    તેમણે તમામ દીકરા-દીકરીઓના લગ્ન કરાવ્યા. રમેશ કુમારના પુત્ર સુરેશ પણ બાળકોના પિતા છે. હાલમાં તેઓ એક નાની દુકાન ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. સ્વર્ગસ્થ રમેશ પાંડેનાં પત્ની હજુ હયાત છે.

    રમેશના માથા પર મારવામાં આવી હતી ગોળી

    2 નવેમ્બર, 1990ની ઘટનાનો ઉલ્લેખ કરતા સુરેશ પાંડેએ જણાવ્યું કે તે દિવસે શું થયું હતું. 30 ઓક્ટોબર, 1990ના રોજ થયેલા ગોળીકાંડ બાદ તત્કાલીન મુલાયમ સરકારને લાગ્યું કે તેમણે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનને કચડી નાખ્યું છે. સુરેશના કહેવા પ્રમાણે, ત્યારે એક જૂથ તેમના પિતા કારસેવક રમેશ કુમાર પાંડે સાથે ભગવાન રામના દર્શનની ઈચ્છા સાથે જન્મભૂમિ તરફ રવાના થયું હતું. આ જૂથમાં અયોધ્યાના અન્ય ઘણા રહેવાસીઓ પણ હતા. આ દરમિયાન મુલાયમ સિંઘ સરકારના આદેશ પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. રમેશ કુમાર પાંડે જૂથમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. ગોળી તેમના માથામાં વાગી હતી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

    જે સ્થળ પર રમેશ કુમારને ગોળી મારવામાં આવી હતી તે જગ્યા હનુમાનગઢી પાસે જ છે. તે સ્થળ રમેશના ઘરથી લગભગ 300 મીટર દૂર છે. અયોધ્યા પોલીસ સ્ટેશન પણ રમેશના ઘર અને તેમના બલિદાન સ્થળથી અડધો કિલોમીટર દૂર આવેલું છે.

    રમેશ પાંડેનું ઘર અને થોડે જ દૂર આવેલું અયોધ્યા પોલીસ સ્ટેશન

    એવું કહેવાય છે કે, સમૂહને રામ ભજન ગાતા જોઈને ત્યાંથી જ નીકળતી ફોર્સે ઘેરાબંધી કરી લીધી અને ગોળીઓ વરસાવવાની ચાલુ કરી દીધી અને તેમાં રમેશ કુમાર પાંડેનું મોત થઈ ગયું. સુરેશનું કહેવું છે કે, 1990માં તેઓ માત્ર 2 વર્ષના હતા છતાં પણ આ પીડા જીવનભર તેમના મનમાં રહેશે.

    મૃતદેહ મેળવવા માટે પણ કરવો પડ્યો સંઘર્ષ

    સુરેશે જણાવ્યું કે, તેમની માતાને પોતાના પતિનો મૃતદેહ મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. દાવો છે કે, પહેલાં તો કોઈ વહીવટી અધિકારી જણાવવા માટે તૈયાર જ નહોતા કે રમેશ પાંડે સાથે શું થયું છે. પોતાના પતિના મોતની ખબર તેમને સમૂહમાં સાથે ચાલી રહ્યા હતા તે લોકો પાસેથી મળી હતી. સુરેશના કહેવા અનુસાર, તેમના માતાએ ઘણી જગ્યાએ આજીજી કરી અને અન્ન-જળનો ત્યાગ કરીને પોતાના પતિનો મૃતદેહ મેળવવા માટે દોડતા રહ્યા. આખરે તમામ મૃતદેહોની વચ્ચે રમેશ કુમારની પણ ડેડ બોડી મળી આવી.

    રમેશ પાંડેના ઘરમાં આજે પણ મોજૂદ છે જૂના અખબારોનું કટિંગ

    કાયદાકીય ઔપચારિકતા બાદ રમેશના અંતિમ સંસ્કાર અયોધ્યામાં જ થયા હતા. અંતિમ સંસ્કાર સમયે પણ સમગ્ર અયોધ્યા પોલીસ છાવણીમાં બદલાઈ ગઈ હતી અને અંતિમયાત્રામાં ભાગ લેનાર લોકો પણ બંદૂકોની છાયામાં હતા.

    સન્માન માટે પણ મોહતાજ રહ્યો પરિવાર

    સુરેશે અમને જણાવ્યું કે, તેમના પિતાના દેહાંત બાદ જ્યારે તેમની માતા ચાર બાળકોના પરિવારને પાળવા માટે સંઘર્ષ કરી રહી હતી, ત્યારે તેમને ક્યાંયથી કોઈપણ પ્રકારની મદદ મળી નહોતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જે આ પરિવારના ભરણપોષણ માટે પૂરતા નહોતા. સુરેશનું એવું પણ કહેવું છે કે, છેલ્લા 3 દાયકામાં આર્થિક મદદ તો દૂર પણ તેઓ અને તેમનો પરિવાર કોઈ મોટા મંચ પર સન્માન માટે પણ મોહતાજ રહ્યો, કારણ કે તેમને ક્યાંય બોલાવવામાં જ નહોતા આવ્યા. જોકે, સુરેશને આશા છે કે બદલાયેલા વાતાવરણમાં સરકાર અને હિંદુ સમાજના લોકો તેમના ઘરની સંભાળ લેશે.

    ‘રામ મંદિરનું નિર્માણ પિતાની આત્માને શાંતિ મળ્યા જેવું’

    દિવંગત રમેશ પાંડેનો પરિવાર રામ મંદિરના નિર્માણથી ખૂબ જ ખુશ છે. તેમના દીકરા સુરેશે રામ મંદિરના નિર્માણને પોતાના પિતાની આત્માને શાંતિ મળ્યા જેવું ગણાવ્યું. સુરેશે મંદિરના નિર્માણનો સૌથી મોટો શ્રેય તે રામભક્તોને આપ્યો જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ સાથે રમેશના પરિવારે અયોધ્યાના વિકાસ માટે મોદી અને યોગી સરકારની પ્રશંસા કરી હતી. સુરેશને તેવી પણ આશા છે કે, વર્તમાન સરકાર તેમના બલિદાની પિતાની યાદમાં અયોધ્યામાં એક સ્મારક બનાવશે, જે વર્તમાન અને ભાવિ રામભક્તો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં