Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘SEWA’નાં સંસ્થાપક અને ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

    ‘SEWA’નાં સંસ્થાપક અને ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

    અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા, હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.

    - Advertisement -

    સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (SEWA)નાં સંસ્થાપક અને ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે અવસાન થયું છે. બીમાર પડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. 

    7 સપ્ટેમ્બર 1933ના રોજ જન્મેલાં ઇલાબેન ભટ્ટનું બાળપણ સુરતમાં વીત્યું હતું અને તેમણે પ્રારંભિક શિક્ષણ તેમજ બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી સુરતની એમટીબી આર્ટ્સ કોલેજમાંથી મેળવી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદની સર એલ.એ શાહ લૉ કોલેજમાં કાયદાનો અભ્યાસ કરી એલએલબીની ડિગ્રી મેળવી હતી. 

    ત્યારબાદ તેમણે થોડા સમય માટે મુંબઈ સ્થિત SNDT મહિલા યુનિવર્સીટીમાં પ્રધ્યાપક તરીકે જોડાયાં હતાં અને ત્યારબાદ અમદાવાદમાં ટેક્સટાઇલ લેબર એસોશિએશનમાં સામેલ થયાં હતાં. 

    - Advertisement -

    ગુજરાત સરકાર સાથે થોડા સમય કામ કર્યા બાદ વર્ષ 1968માં તેમને TLAની મહિલા વિંગનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં. જે પદ પર રહીને તેમણે ઇઝરાયેલનો પણ પ્રવાસ કર્યો હતો અને તેલ અવીવમાં ત્રણ મહિના રહીને એફ્રો-એશિયન ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કર્યો હતો અને ઇન્ટરનેશનલ ડિપ્લોમા ઓફ લેબર એન્ડ કોઓપરેટીવ્સની ડિગ્રી મેળવી હતી. 

    ઇઝરાયેલમાં મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓથી પ્રભાવિત થઈને તેમણે ભારત આવીને વર્ષ 1972માં TLAના માધ્યમથી સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (SEWA)ની સ્થાપના કરી હતી. જેના જનરલ સેક્રેટરી પદે તેમણે વર્ષ 1972 થી 1996 સુધી દેવા બજાવી હતી. 

    2015માં તેમને ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ નીમવામાં આવ્યાં હતાં. જે પદે તેમણે સાત વર્ષ સેવા આપી હતી. તાજેતરમાં જ તેમણે સ્વાસ્થ્ય કારણોસર કુલાધિપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું. 

    તેમની સેવા અને યોગદાન બદલ ઈલાબેન ભટ્ટને અનેક પુરસ્કારો મળી  ચૂક્યા છે. વર્ષ 1985માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યાં હતાં અને 1986માં પદ્મભૂષણ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1977માં તેમને રામન મેગ્સેસે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનારાં તેઓ પ્રથમ ગુજરાતી મહિલા હતાં. 

    વર્ષ 2010માં તેમને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી કિલન્ટને ગ્લોબલ ફેરનેસ ઇનિશિએટિવ એવોર્ડ પણ એનાયત કર્યો હતો. 2011માં તેમને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, પણ તેમને અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે. 

    અંતિમ દિવસોમાં તેઓ પરિવાર સાથે અમદાવાદ જ રહેતાં હતાં. થોડા દિવસોથી તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન ઇલાબેન ભટ્ટનું અવસાન થયું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં