Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'બાળકોને વાલીઓમાંથી સારી પ્રેરણા મળવી જોઈએ': રાજકોટમાં ટૂંકા કપડાં પહેરીને કે માવા-મસાલા...

    ‘બાળકોને વાલીઓમાંથી સારી પ્રેરણા મળવી જોઈએ’: રાજકોટમાં ટૂંકા કપડાં પહેરીને કે માવા-મસાલા ખાઈને આવેલા વાલીઓને પરિસરમાં પ્રવેશવા નહિ દેવાય

    શાળા સંચાલકના પ્રમુખ ડી.વી મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે "આ મામલે ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે તેવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત જળવાય તે પણ દરેક વાલીઓએ જોવું જોઈએ."

    - Advertisement -

    શાળાને આપણે સરસ્વતી માતાનું મંદિર ગણતાં હોઈએ છીએ. શાળાના ક્લાસરૂમથી લઈને શાળાના દરવાજા સુધીના વિસ્તારને પવિત્ર ગણવામાં આવે છે. આ એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ જ્ઞાન અર્જિત કરી પગભર થાય છે. જેવી રીતે લોકો મંદિરોમાં જતી વખતે પવિત્રતાનો ખ્યાલ રાખે છે તેવી રીતે શાળામાં જતી વખતે રાખતા નથી. મંદિરમાં યોગ્ય કપડાં પહેરી શિસ્તબદ્ધ જવાનું કહેવાવાળા કેટલાક લોકો શાળારૂપી મંદિરની આમન્યા જાળવતા નથી. એવા ઘણા કિસ્સાઓ આગળ પણ બન્યા છે કે શાળા પરિસરમાં ઘણા લોકો બેશિસ્ત હાલતમાં જતાં રહે છે. આવા મુદ્દાઓને ધ્યાને લઈને રાજકોટમાં શાળા સંચાલકોએ વાલીઓ માટે નિયમ બનાવ્યા છે. આ નિયમમાં ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓને શાળાએ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પાન-માવો ખાઈને પણ વાલીઓ બાળકોને મૂકવા આવી શકશે નહીં.

    અહેવાલોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા 28 ઓગસ્ટ અને સોમવારના રોજ યોજાયેલી કારોબારી મિટિંગમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ વાલીઓ માટે નવા નિયમ ઘડ્યા છે. જેમાં કોઈપણ વાળી નાઈટ ડ્રેસ, બરમુડા જેવા કપડાઓ પહેરી શાળાએ આવી શકશે નહીં. સાથે જ પાન-પાવો ખાઈને આવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે.

    રાજકોટની તમામ શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા કે મૂકવા જતી વખતે ટૂંકા વસ્ત્રો પહેરી શકશે નહીં. બાળકો શિસ્તના પાઠ શાળામાંથી મેળવે છે ત્યારે વાલીઓએ પણ શાળાના નિયમનો આદર કરવાની અપીલ સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી છે.

    - Advertisement -

    રાજકોટમાં શાળા સંચાલકોએ બનાવેલા નિયમ વિશે સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે, શાળા એક મંદિર છે જ્યાં નાઈટ ડ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ કેમ્પસમાં આવવા વાલીઓને તાકીદ કરાઇ છે. કોઈ વાલી નિયમનું ઉલંઘન કરી શિસ્ત ભંગ કરતાં કપડાં પહેરી શાળાએ આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવાનો નિર્ણય પણ સ્કૂલ સંચાલકોએ કર્યો છે. શાળા સંચાલકના પ્રમુખ ડી.વી મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે “આ મામલે ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે તેવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત જળવાય તે પણ દરેક વાલીઓએ જોવું જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં