અયોધ્યામાં શુક્રવારથી (16 ફેબ્રુઆરી 2024) પ્રભુશ્રીરામના શયન માટે નવી વ્યસ્વ્થા શરૂ કરવામાં આવી છે. હવેથી રામલલા રામ મંદિરમાં બપોરે વિશ્રામ કરશે. આ પછી તેઓ ફરીથી ભક્તોને દર્શન આપશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રાણપ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભક્તોના ભારે ધસારાના કારણે રામલલ્લા આરામ કરી શક્યા ન હતા. પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે શુક્રવારે (16 ફેબ્રુઆરી) પહેલી વાર બપોરના સમયે આરામ કર્યો હતો. હવેથી ભક્તો રામલલાના દર્શન સવારના 7થી 11:30 સુધી અને ત્યાર બાદ 2થી લઇ સાંજના 7 સુધી કરી શકશે. આરતી અને ભોગ પછી રામલલા વિશ્રામ કરશે.
આ અંગે મંદિરનાં મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે “રામલલા પાંચ વર્ષના બાળકના રૂપમાં છે, તેથી બાળ દેવતાને થોડો આરામ આપવા માટે ટ્રસ્ટે નિર્ણય લીધો છે, કે મંદિરના દ્વાર થોડા સમય માટે બંધ રહેશે.”
આ વિષયે જણાવતા રામજન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, દર્શન માટે આવતા રામ ભક્તો હવેથી સવારના 7થી બપોરના 11:30 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરના 2થી લઇ સાંજના 7 વાગ્યા સુધી ભગવાન રામના દર્શન કરી શકશે. સાથે જણાવ્યું કે, દિવસમાં ત્રણ વખત થતી આરતીમાં પણ માત્ર 100 જ ભક્તો જ ભાગ લઇ શકશે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/02/image-1.jpg?resize=696%2C428&ssl=1)
આરતીમાં ભાગ લેવા પાસ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે ઓનલાઈન-ઓફલાઈન મેળવી શકાય છે. જેમાં 80 પાસ ઓફલાઈન અને 20 પાસ ઓનલાઈન આપવામાં આવશે. રામભક્તોને કોઈ અસુવિધા ન થાય એ માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે. આરતીના પાસ મેળવવા માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટની ઓફિસમાંથી ઑફલાઇન પાસ લઈ શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈ પરથી પણ ઓનલાઈન પાસ લઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશમાંથી લાખો ભક્તો પોતાના આરાધ્યદેવના દર્શનાર્થે અયોધ્યા જઈ રહ્યા છે. આ પહેલા શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મંદિર ખુલ્યા બાદ રામલલાના દર્શન માટે દરરોજ લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિર ખૂલ્યું એ પહેલાં જ્યાં દરરોજ સરેરાશ 20-30 હજાર ભક્તો આવતા હતા, હવે આ સંખ્યા વધીને 2 લાખથી વધુ થઈ ગઈ છે.