Saturday, June 22, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ નેતાઓને કોર્ટમાં ઢસડી ગયા પત્રકાર રજત શર્મા, ₹100 કરોડનો દાવો ઠોક્યો:...

    કોંગ્રેસ નેતાઓને કોર્ટમાં ઢસડી ગયા પત્રકાર રજત શર્મા, ₹100 કરોડનો દાવો ઠોક્યો: રાગિની નાયક અને જયરામ રમેશ-પવન ખેડાએ લગાવેલા આરોપો મામલે માનહાનિનો કેસ દાખલ

    કોંગ્રેસી પ્રવક્તા રાગિની નાયકે આરોપ લગાવ્યા હતા કે ઇન્ડિયા ટીવીના સ્ટુડિયોમાં તેમને રજત શર્મા દ્વારા અભદ્ર ગાળો આપવામાં આવી હતી. આ આરોપો બાદ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેને આગળ ચલાવ્યા હતા.

    - Advertisement -

    જાણીતા પત્રકાર રજત શર્મા ખોટા આરોપો અને બદનક્ષી બદલ કોંગ્રેસી પ્રવક્તાઓને કોર્ટમાં ઢસડી ગયા છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો છે. રજત શર્માએ ખોટા આરોપો બદલ 100 કરોડનું વળતર પણ માંગ્યું છે. બીજી તરફ કોર્ટે પણ તેમની અરજી સ્વીકારીને નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. આ અરજી કોંગ્રેસ નેતા પવન ખેડા, કોમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશ અને પ્રવક્તા રાગિની નાયક વિરુદ્ધ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રવક્તા રાગિની નાયકે થોડા દિવસ પહેલાં આરોપ લગાવ્યા હતા કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં ત્યારે ઇન્ડિયા ટીવીના સ્ટુડિયોમાં ડિબેટ દરમિયાન રજત શર્માએ તેમને અપશબ્દો કહ્યા હતા. રાગિનીના આ આરોપો બાદ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ તેને આગળ ચલાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓની આ હરકતને રજત શર્માએ તેમની ગરિમાને ઠેસ પહોંચાડનાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના શબ્દોને અવળી રીતે લઈને પોતે અપશબ્દો કહ્યા હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે તેમણે ક્યારેય કોઇ પણ વ્યક્તિને ચાલુ શોમાં ગાળો આપી નથી અને આ આરોપો તેમની પ્રતિષ્ઠાને ધૂમિલ કરનારા છે.

    રજત શર્માએ કોર્ટમાં અરજી કરીને 100 કરોડનો દાવો માંડ્યો છે. સાથે એવી પણ માંગ કરી છે કે તેમની બદનક્ષી કરતાં જે ટ્વિટ્સ અને પોસ્ટ કરવામાં આવ્યાં છે તેને તાત્કાલિક હટાવી લેવામાં આવે. જેની ઉપર કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો છે.

    - Advertisement -

    આ મામલે વરિષ્ઠ વકીલ માનિંદર સિંઘે રજત શર્મા તરફે કહ્યું હતું કે, “ટીવી ડિબેટ 4 જૂને થઈ હતી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ છેક 10 જૂને આ મામલે X પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેમાં અપશબ્દો જોડી દીધા કે જે બોલવામાં જ નહતા આવ્યા.” તેમણે કહ્યું કે, “અમે કોઈ રાજનીતિક પાર્ટી સાથે સંબંધ નથી ધરાવતા. આ આરોપો તદ્દન ખોટા છે અને ઉપજાવી કાઢેલા છે.”

    બીજી તરફ કોંગ્રેસી પ્રવક્તા રાગિની નાયકે પણ રજત શર્મા વિરુદ્ધ દિલ્હી ખાતે FIR નોંધાવી છે. તેમણે માંગ કરી હતી કે રજત શર્મા તેમની માફી માંગે. જોકે રજત શર્મા અને ઇન્ડિયા ટીવીએ તેમના આરોપો નકારી કાઢ્યા હતા. કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં જ ઇન્ડિયા ટીવી ગ્રુપે રાગિની તેમજ તેમને સમર્થન આપનાર પવન ખેડા અને જયરામ રમેશને ચેતવણી આપીને આરોપો પરત લેવા કહ્યું હતું. જોકે કોંગ્રેસ નેતાઓએ સતત આરોપો લગાવવાનું ચાલુ રાખતાં અંતે રજત શર્મા તેમને કોર્ટમાં ઢસડી ગયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં