Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણ'ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી તો થશે જ, આ મોદી છે, ઝૂકશે નહીં': PM...

    ‘ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી તો થશે જ, આ મોદી છે, ઝૂકશે નહીં’: PM મોદીએ મેરઠથી ભર્યો હુંકાર, કહ્યું- જેણે દેશ લૂંટ્યો છે, તેણે પરત તો કરવું જ પડશે

    વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "હું આપણાં દેશને ભ્રષ્ટાચારીઓથી બચાવવા માટે ખૂબ મોટી લડાઈ લડી રહ્યો છું. એટલા માટે જ મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ આજે સળિયા પાછળ છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન પણ નથી મળી રહ્યા."

    - Advertisement -

    વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશના મેરઠમાં પહોંચ્યા છે. અહીં મંચ પર તેમનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. આ સાથે મંચ પર ઉપસ્થિત નેતાઓએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મેરઠ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ, RLD અધ્યક્ષ જયંત ચૌધરી સહિતના નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાનને રામ મંદિરની પ્રતિકૃતિ પણ ભેટ કરી છે. આ કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથે વિશાળ સભાને સંબોધિત કરી હતી. જે પછી PM મોદીએ પણ સભાને સંબોધિત કરી છે. PM મોદીએ મેરઠથી જ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે.

    શનિવારે (31 માર્ચ, 2024) ઉત્તર પ્રદેશના મેરઠ પહોંચેલા PM મોદીએ સભાને સંબોધિત કરી છે. તેમણે મેરઠથી લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મેરઠની આ ધરતી ક્રાંતિ અને ક્રાંતિવિરોની ધરતી છે. આ ધરતી પર બાબા ઔગધધામના આશીર્વાદ છે. આ ધરતીએ ચૌધરી ચરણ સિંઘ જેવા મહાન સપૂતો દેશને આપ્યા છે.” આ સાથે વડાપ્રધાન મોદીએ ચૌધરી ચરણ સિંઘને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, “મેરઠની સાથે મારો કોઈ વિશેષ જ સંબંધ છે. તમને યાદ હશે 2014 અને 2019માં મેં મારા ચૂંટણી અભિયાનની શરૂઆત મેરઠથી જ કરી હતી. હવે 2024ની ચૂંટણીની પહેલી રેલી પણ મેરઠથી થઈ રહી છે.”

    ‘2024ની ચૂંટણી સરકાર બનાવવા માટે નહીં, પરંતુ વિકસિત ભારત બનાવવા માટે’

    સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “2024ની આ લોકસભા ચૂંટણી સરકાર બનાવવા માટે નથી, કોણ સાંસદ બનશે તેના માટે નથી. 2024ની ચૂંટણી વિકસિત ભારત બનાવવાની ચૂંટણી છે. 2024નો જનાદેશ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.” તેમણે કહ્યું કે, જ્યારે ભારત 11મા ક્રમની અર્થવ્યવસ્થા હતી, ત્યારે દેશમાં ચોતરફ ગરીબી હતી. હવે પાંચમા નંબર પર દેશ પહોંચી ગયો છે તો 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી નિકળવામાં સફળ થયા છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “આજે આખો દેશ કહી રહ્યો છે કે, ‘તીસરી બાર મોદી સરકાર, 4 જૂન, 400 પાર’. આ જ સમય છે અને સાચો સમય છે. આજે ભારતમાં તેજીથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે. અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં યુવાનો માટે અનેક તકો ઊભી થઈ છે. અત્યારથી અમારી સરકાર ત્રીજા કાર્યકાળની તૈયારીમાં લાગી ગઈ છે.” આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સરકારી યોજનાઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે 50 કરોડ ગરીબોના બેન્ક એકાઉન્ટ ઓપન કર્યા છે. સાથે કહ્યું કે, 4 કરોડ ગરીબોને પાકું મકાન પણ મળ્યું છે. 11 કરોડ શૌચાલય બનાવ્યા છે. 2.5 કરોડથી વધુ ઘરોમાં વીજળી પહોંચાડીને તેમને અંધકારથી મુક્તિ આપી છે.

    PM મોદીએ ગણાવ્યા 10 વર્ષોના કામો

    તેમણે કહ્યું કે, “છેલ્લાં 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે ઝડપથી આગળ વધશે. આ 10 વર્ષમાં તમે વિકાસનું માત્ર ટ્રેલર જ જોયું છે. હવે આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે.” વડાપ્રધાને કહ્યું, “મોદી આજની પેઢીની સાથે આવનારી પેઢીની પણ ચિંતા કરે છે. હું એ સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરી રહ્યો છું કે આવનારી પેઢીઓએ જૂના પડકારો પર તેમની શક્તિ વેડફવી ન પડે. NDA સરકારના 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ તમારી સામે છે. છેલ્લા 10 વર્ષમાં આવા અનેક કામો થયાં છે. જે પહેલા અસંભવ માનવામાં આવતા હતા.” રામનગરીનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે, “લોકોને અસંભવ લાગતું હતું કે રામલલાનું મંદિર અયોધ્યામાં બનશે, પરંતુ રામ મંદિર બની ગયું છે. આજે ત્યાં દરરોજ લાખો લોકો દર્શન માટે જાય છે. તમે જોયું હશે કે કાન્હા અને રાધાએ દર વખતની જેમ બ્રિજમાં હોળી રમી હતી, પરંતુ આ વખતે રામલલાએ પણ અવધમાં ખૂબ હોળી રમી છે.”

    આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ‘વન રેન્ક, વન પેન્શન’, ત્રિપલ તલાક, લોકસભા-વિધાનસભા મહિલા આરક્ષણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370નો નિકાલ જેવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે એવું કહ્યું હતું કે, પહેલાં લોકોને આ બધા કામો અસંભવ લાગતાં હતા. જે હવે પૂર્ણ થઈ ગયા છે.

    ‘ભ્રષ્ટાચારીઓ પર એક્શન લેવાશે, મોદી છે, ઝૂકશે નહીં’

    વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું આપણાં દેશને ભ્રષ્ટાચારીઓથી બચાવવા માટે ખૂબ મોટી લડાઈ લડી રહ્યો છું. એટલા માટે જ મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ આજે સળિયા પાછળ છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન પણ નથી મળી રહ્યા.” આ સાથે તેમણે કહ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે કહ્યું કે, “ભ્રષ્ટાચારીઓ કાન ખોલીને સાંભળી લે, મોદી પર ભલે ગમે તેટલા હુમલા કરો. આ મોદી છે, તે ઝૂકશે નહીં.” તેમણે કહ્યું કે, “ભ્રષ્ટાચારી ભલે ગમે તેટલો મોટો હોય, એક્શન તો જરૂર લેવાશે જ. જેણે દેશને લૂંટ્યો છે, તેણે પરત કરવું જ પડશે. આ મોદીની ગેરેન્ટી છે.”

    સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આજે કોંગ્રેસનું વધુ એક કારસ્તાન દેશની સામે આવ્યું છે. તમિલનાડુમાં ભારતના સમુદ્રી તટથી થોડે દૂર, શ્રીલંકા અને તમિલનાડુની વચ્ચે એક દ્વીપ છે, જેનું નામ કચ્ચાતીવુ છે. દેશ સ્વતંત્ર થયા ત્યારે તે ટાપુ આપણી પાસે હતો, પરંતુ કોંગ્રેસે 4-5 દશક પહેલાં મા ભારતીનું એક અંગ કાપી નાખ્યું અને ભારતથી અલગ કરી દીધું.” નોંધનીય છે કે, PM મોદીએ 2014 અને 2019ની ચૂંટણી સમયે પણ મેરઠથી જ ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં