Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- 2014 પહેલાંની સરકારને પ્રોજેક્ટ નહીં પણ...

    પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- 2014 પહેલાંની સરકારને પ્રોજેક્ટ નહીં પણ મોદી દેખાતા હતા, બધાં કામોને તાળાં મારી દેતા

    "તમે મને જે સંસ્કાર, શિક્ષણ અને સમાજ માટે જીવવાની શક્તિ આપ્યા તેના કારણે જ આઠ વર્ષથી માતૃભૂમિની સેવા કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. આઠ વર્ષમાં એવું કંઈ કર્યું નથી કે દેશના નાગરિકોએ માથું ઝુકાવવું પડે.” -નરેન્દ્ર મોદી

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે જસદણના આટકોટ ખાતે વડાપ્રધાને પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી આજે સવારે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ વડાપ્રધાનને આવકાર્યા હતા. 

    હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જયારે સરકારના પ્રયાસોમાં જનતાનો પ્રયાસ જોડાઈ જાય છે ત્યારે સેવા કરવાની આપણી શક્તિઓ પણ અનેકગણી વધી જાય છે. રાજકોટમાં બનેલી આ આધુનિક હોસ્પિટલ આનું ઉત્તમ ઉદાહરણ છે.

    નતમસ્તક થઈને ગુજરાતના નાગરિકોનો આદર, તમે આપેલા સંસ્કાર-શિક્ષણના કારણે છેલ્લાં આઠ વર્ષથી માતૃભૂમિની સેવા કરી રહ્યો છું 

    - Advertisement -

    સમારોહમાં સંબોધન કરતા વડાપ્રધાને કેન્દ્રમાં તેમની સરકારે પૂર્ણ કરેલા આઠ વર્ષનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું, “કેન્દ્રમાં ભાજપ સરકારે રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પૂરાં કરી રહી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી, પરંતુ તમારો પ્રેમ વધતો જ જાય છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો નતમસ્તક થઈને તમામ નાગરિકોનો આદર કરવા માંગુ છું. તમે મને જે સંસ્કાર, શિક્ષણ અને સમાજ માટે જીવવાની શક્તિ આપ્યા તેના કારણે જ આઠ વર્ષથી માતૃભૂમિની સેવા કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. આઠ વર્ષમાં એવું કંઈ કર્યું નથી કે દેશના નાગરિકોએ માથું ઝુકાવવું પડે.”

    મંચ પરથી વડાપ્રધાને જનતાને પૂછ્યું હતું કે, તમારું રસીકરણ થઇ ગયું છે ને? કોઈએ એક રૂપિયો પણ આપવો પડ્યો છે? તેમણે કહ્યું કે, મહામારી અને યુદ્ધની પરિસ્થિતિમાં પણ અમે સતત ગરીબ ભાઈ-બહેનોએ, મધ્યમવર્ગીય ભાઈ બહેનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા સતત પ્રયાસો કર્યા છે. મહામારીમાં ગરીબોને તકલીફ ન પડે તે માટે દેશે અન્નના ભંડાર ખોલી નાંખ્યા હતા. 

    અહીં કોઈ ન આવે, અને આવે તો સાજો થઇને જાય એવી પ્રાર્થના : પીએમ 

    વડાપ્રધાને કહ્યું, “મને હોસ્પિટલ જોવાનો મોકો મળ્યો. ટ્રસ્ટીઓને પણ મળ્યો. આપણા ઘરઆંગણે આધુનિક હોસ્પિટલ શરૂ થઇ છે. ભરતભાઈ બોઘરા અને તેમના સાથીઓને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. પટેલ સેવા સમાજે સમર્પિત ભાવથી આટલું મોટું કામ કર્યું છે અને તે માટે આપ સૌ અભિનંદનના અધિકારી છો. અને આમાંથી પ્રેરણા લઈને દરેક લોકો સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા રાખશે. હળવા મૂડમાં તેમણે કહ્યું હતું કે, આપણે વ્યવસ્થા ઉભી કરીએ કે કોઈ આવે જ નહીં અને આ હોસ્પિટલ ખાલી જ રહે, અને જો કોઈ આવે તો ઝડપથી સાજો થઈને પાછો જાય. 

    2001 માં 9 મેડિકલ કોલેજો હતી આજે 30 કોલેજો માત્ર ગુજરાતમાં છે 

    વડાપ્રધાને કહ્યું કે, 2001માં તમારી સેવાનો મોકો તમે આપ્યો ત્યારે આપણા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી. આ નવી પેઢીને કહેજો. ડૉક્ટર બનવાની ઈચ્છા કેટલા બધાની હોય, છતાં આટલા મોટા રાજ્યમાં માત્ર 1100 બેઠકો હતી. આજે સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો મળીને 30 મેડિકલ કોલેજો એકલા ગુજરાતમાં છે. એટલું જ નહીં, ગુજરાત અને દેશમાં પણ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની ઈચ્છા છે. એક જમાનામાં 1100 બેઠકો હતી, આજે 8,000 બેઠકો છે. 

    2014 પહેલાંની સરકારે અનેક કામો અટકાવ્યાં હતાં  

    વિપક્ષ અને યુપીએ સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 2014 પહેલાં દિલ્હીમાં એવી સરકાર હતી, જેમને અહીંથી પ્રોજેક્ટ મંજૂરી જાય એટલે તેમાં પ્રોજેક્ટ નહીં પણ મોદી જ દેખાય તેવી સ્થિતિ હતી. બધા કામોને તાળાં મારી દીધાં હતાં. તેમણે એ પણ યાદ અપાવ્યું કે સરદાર સરોવર માટે તેમણે ઉપવાસ કરવા પડ્યા હતા. તેમણે કહ્યું કે, આજે સૌરાષ્ટ્ર, રાજકોટ સહિત આખા રાજ્યમાં વિકાસકામો પુરજોશથી ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં