Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ22 વર્ષમાં એકેય અઠવાડિયું એવું ગયું નથી જેમાં વિકાસનું કામ ન કર્યું...

    22 વર્ષમાં એકેય અઠવાડિયું એવું ગયું નથી જેમાં વિકાસનું કામ ન કર્યું હોય: પીએમ મોદીએ 3000 કરોડની યોજનાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ કર્યાં, પાટીલ-પટેલની જોડીને પણ વખાણી

    ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને પડકાર ફેંક્યો હતો કે છેલ્લા બે દાયકામાં ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં વિકાસનું કાર્ય કોઈ એક અઠવાડિયામાં પણ ન થયું હોય તે શોધી બતાવે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. સવારે પીએમ મોદીએ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગમે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ હેઠળ આશરે 3 હજાર કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમહુર્ત કર્યું હતું. દરમિયાન, વડાપ્રધાને પાંચ લાખથી વધુની જનમેદનીને પણ સંબોધી હતી. 

    પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, “મેં આટલા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું પરંતુ આદિવાસી વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ ક્યારેય થયો ન હતો. પરંતુ આજે 3 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ કરવાની તક મળી એને હું મારું સદ્ભાગ્ય સમજુ છું. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને લાભ મળશે અને કરોડો લોકોનું જીવન સુધરશે.

    વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને તમામ પ્રકારની કનેક્ટિવિટી સાથેના આ પ્રોજેક્ટ ખાસ કરીને રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓ રોજગારીની તકોમાં વધારો કરશે.

    - Advertisement -

    ‘સબકા વિકાસ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને અમારી સરકારે છેલ્લાં 8 વર્ષમાં ગરીબોને પાયાની સુવિધાઓ અને ગરીબોના કલ્યાણ પર ભાર મૂકીને કામ કર્યું છે.” વડાપ્રધાને કહ્યું, “8 વર્ષ પહેલાં તમે મને આશીર્વાદો અને ઘણી અપેક્ષાઓ સાથે રાષ્ટ્રસેવા માટે દિલ્હી મોકલ્યો હતો. છેલ્લા 8 વર્ષમાં અમે કરોડો નવા લોકોને, ઘણા નવા ક્ષેત્રોને વિકાસના સપના અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ થયા છીએ.”

    જૂની સરકારો પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “જે લોકો આઝાદીના આ લાંબા ગાળા દરમિયાન સૌથી વધુ સમય સુધી સરકાર ચલાવતા હતા તેઓએ વિકાસને તેમની પ્રાથમિકતા બનાવી ન હતી. જે વિસ્તારોમાં સૌથી વધુ જરૂર હતી, તેમાં વિકાસકાર્યો થઇ શક્યા ન  હતા, કારણ કે તેમાં મહેનત લાગે છે. 

    પીએમ મોદીએ કહ્યું કે, “મને સરકારમાં 22-23 વર્ષ થઇ ગયા છે. હું અહીંથી પડકાર ફેંકી રહ્યો છું કે કોઈ એક અઠવાડિયું શોધી લાવે જેમાં વિકાસનું કામ ન કર્યું હોય. વાંકદેખાઓ કહેતા હોય છે કે ચૂંટણી આવે તેથી આ બધાં કામો થાય છે. પણ જો ચૂંટણી જીતવા જ કરવાનું હોય તો કોઈ બસો-ત્રણસો મત માટે આવી મગજમારી ન કરે. અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ. ચૂંટણી તો લોકો અમને જીતાડે છે.”

    ઉપરાંત, વડાપ્રધાને હાજર લોકોને રસીકરણ અંગે પણ પૂછ્યું હતું અને કહ્યું હતું કે, “પહેલાં ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમો વર્ષો બાદ પહોંચતા, અંતરિયાળ જંગલ વિસ્તારો છૂટી જતા. પરંતુ અમારી સરકારે તમામ વિસ્તારોનું ધ્યાન રાખ્યું છે અને ભારતે એકલે હાથે 200 કરોડ ડોઝ આપ્યા છે.”

    વડાપ્રધાને મંચ પરથી સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની જોડીને પણ બિરદાવી હતી. તેમણે કહ્યું કે, “મને એ વાતનું ગૌરવ છે કે જે હું નહતો કરી શક્યો તે સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલની જોડીએ કરી બતાવ્યું છે. મેં ગુજરાત છોડ્યા પછી રાજ્યને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર. પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે કે મારી સામે 5 લાખ લોકોનો વિશાળ સમૂહ ઉપસ્થિત છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં