Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ‘જેની રાહ અનેક પેઢીઓ સદીઓથી જોતી રહી, તે કામો આ 5 વર્ષમાં...

    ‘જેની રાહ અનેક પેઢીઓ સદીઓથી જોતી રહી, તે કામો આ 5 વર્ષમાં થયાં’: 17મી લોકસભાના સમાપન પર બોલ્યા PM મોદી, કહ્યું- 25 વર્ષમાં બનશે ‘વિકસિત ભારત’

    તેમણે કહ્યું કે, આ કાર્યકાળમાં અનેક બદલાવો થયા. 21મી સદીના ભારતનો મજબૂત પાયો એ તમામ બદલાવોમાં નજરે પડે છે. તેમણે એમ પણ કહ્યું કે, બદલાવ તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે અને ગૃહના તમામ સાથીઓએ તેમાં ભાગીદારી નોંધાવી છે.

    - Advertisement -

    શનિવાર (10 ફેબ્રુઆરી, 2024) 17મી લોકસભાના અંતિમ સત્રનો અંતિમ દિવસ હતો. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થયેલું બજેટ સત્ર પૂર્ણ થયું. હવે એક પણ સત્ર નહીં યોજાય અને નવી સરકાર બન્યા બાદ નવેસરથી સત્રો શરૂ થશે, જે 18મી લોકસભા કહેવાશે. બજેટ સત્રના અંતિમ દિવસે સૌ પાર્ટીના સાંસદો અને ત્યારબાદ અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ ઓમ બિરલાએ પણ સંબોધન કર્યું. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પાંચ વર્ષ (2019-2024) રિફોર્મ (સુધારા), પરફોર્મ (પ્રદર્શન) અને ટ્રાન્સફૉર્મ (બદલાવ)નાં રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે, એક પ્રકારે આજનો દિવસ આપણા સૌની 5 વર્ષની વૈચારિક યાત્રાનો, રાષ્ટ્રને સમર્પિત સમયનો અને દેશને ફરી એક વખત પોતાના સંકલ્પોને રાષ્ટ્રના ચરણોમાં સમર્પિત કરવાનો અવસર છે. તેમણે કહ્યું કે, 17મી લોકસભાએ 5 વર્ષ દેશ સેવામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા અને અનેક પડકારો વેઠીને પણ સૌએ પોતાના સામર્થ્યથી દેશને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ કર્યો.

    વડાપ્રધાને સંબોધનમાં નવા સંસદ ભવન અને સેંગોલનો પણ ઉલ્લેખ કાર્યો. તેમણે કહ્યું કે, દેશને નવું સંસદ ભવન પ્રાપ્ત થયું છે તે નવા ભવનમાં વારસાના એક અંશ અને સ્વતંત્રતાની પહેલી પળને જીવંત રાખવાનું, સેંગોલને સ્થાપિત કરવાનું કામ કરવામાં આવ્યું.જેનાથી ભારતની આવનારી પેઢીઓ હંમેશા એ સ્વતંત્રતાની પળો સાથે જોડાયેલી રહેશે.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, આ કાર્યકાળમાં અનેક બદલાવો થયા. 21મી સદીના ભારતનો મજબૂત પાયો એ તમામ બદલાવોમાં નજરે પડે છે. તેમણે એમ પણ કહ્યું કે, બદલાવ તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે અને ગૃહના તમામ સાથીઓએ તેમાં ભાગીદારી નોંધાવી છે. આ દરમિયાન તેમણે અનુચ્છેદ 370 હટાવવાથી માંડીને આતંકવાદ પર લગામ લગાવવાની વાત કહી. સાથોસાથ બ્રિટીશ કાળના કાયદાઓ નાબૂદ કરીને ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવાની પણ વાત કહી.

    PM મોદીએ કહ્યું કે, આવનારાં 25 વર્ષ દેશ માટે અત્યંત અગત્યનાં છે. રાજકારણ પોતાના સ્થાને છે, પરંતુ દેશની અપેક્ષા, આકાંક્ષા, સપનું અને સંકલ્પ હવે આકાર લઇ ચૂક્યાં છે અને 25 વર્ષ એવાં છે, જેમાં દેશ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરીને રહેશે. તેમણે ઉમેર્યું કે, “દેશમાં એક જુસ્સો દેખાઈ રહ્યો છે કે 25 વર્ષમાં આપણે વિકસિત ભારત બનાવીને રહીશું. આ વર્ષો મારા દેશની યુવાશક્તિ માટે અત્યંત મહત્વનાં છે.”

    વડાપ્રધાને કહ્યું કે, “જે લોકો હંમેશા હાંસિયા પર હતા, જેમને કોઇ પૂછતું ન હતું તેમને પણ આજે સરકારના અસ્તિત્વનો અહેસાસ થયો છે. આ જ સામાન્ય માણસના જીવનમાં અત્યંત મહત્વનું છે. તેના જીવનમાં અસહાયતા અનુભવાય તેવી સ્થિતિ સર્જાવી ન જોઈએ. તેમણે કહ્યું કે, અમે સંતોષ સાથે કહી શકીએ છીએ કે આપણી અનેક પેઢીઓ જેની સદીઓથી રાહ જોઈ રહી હતી, તે કામો 17મી લોકસભામાં થયાં.

    નોંધવું જોઈએ કે 17મી લોકસભાનો શનિવારે (10 ફેબ્રુઆરી) અંતિમ દિવસ હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં