Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAP શાસિત પંજાબમાં મોંઘુ થયું ઇંધણ: ભગવંત માન સરકારે ચાર મહિનામાં બીજી...

    AAP શાસિત પંજાબમાં મોંઘુ થયું ઇંધણ: ભગવંત માન સરકારે ચાર મહિનામાં બીજી વખત પેટ્રોલ-ડિઝલ પરનો VAT વધાર્યો

    ભગવંત માન સરકાર દ્વારા ઈંધણના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પંજાબ કેબિનેટે પેટ્રોલ અને ડીઝલ પર 90 પૈસા વેટ લાદવાનો નિર્ણય કર્યો હતો.

    - Advertisement -

    પંજાબમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ભગવંત માન સરકારે રવિવારે (11 જૂન, 2023) પેટ્રોલ અને ડીઝલના VATમાં વધારો કર્યો છે. વેટ એટલે કે વેલ્યુ-ઍડેડ ટૅક્સ વધ્યા બાદ રાજ્યમાં એક લિટર પેટ્રોલની કિંમત 98.65 રૂપિયા અને ડીઝલની કિંમત 88.95 રૂપિયા થઈ ગઈ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત શુક્રવારે (9 જૂન, 2023) માનસામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે પંજાબ સરકારના ટેક્સેશન વિભાગે એક નોટિફિકેશન જારી કર્યું છે. એ મુજબ, પંજાબમાં પેટ્રોલ 92 પૈસા અને ડીઝલ 88 પૈસા જેટલું મોંઘુ થયું છે. રાજ્યના નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને સીએમ ભગવંત માનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.

    પંજાબ સરકારે વેટમાં કેટલો વધારો કર્યો છે?

    પેટ્રોલના વેટમાં લગભગ 1.8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલ 92 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તો ડીઝલ વેટ દરમાં 1.13 ટકાનો એટલે કે પ્રતિ લિટર 90 પૈસાનો વધારો થયો છે. પંજાબમાં નવી કિંમતો મધરાત 12 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. પંજાબમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 600 કરોડની આવક થવાની શક્યતા છે.

    - Advertisement -

    ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના તાજેતરના ડેટા અનુસાર, પંજાબના લગભગ દરેક શહેરમાં 10 જૂન સુધી પેટ્રોલના દર રૂ. 98ની રેન્જમાં છે. જલંધરમાં પેટ્રોલનો દર સૌથી ઓછો (રૂ. 98.06/લિટર)  અને પઠાણકોટમાં સૌથી વધુ (રૂ. 99.01/લિટર) છે. તો ડીઝલનો ભાવ બરનાલામાં સૌથી ઓછો (રૂ. 88.28/લિટર) અને પઠાણકોટમાં સૌથી વધુ (રૂ. 89.30/લિટર)  છે.

    ઉલ્લેખનીય કે, ભગવંત માન સરકાર દ્વારા ઈંધણના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પંજાબ કેબિનેટે પેટ્રોલ અને ડીઝલ પર 90 પૈસા વેટ લાદવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ વાર્ષિક રેવન્યુમાં રૂ. 300 કરોડનો વધારો થયો હતો. સરકારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર લગભગ એક રૂપિયાનો વધારો કરતાં મધ્યમવર્ગને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે.

    પંજાબ સરકાર દ્વારા ઇંધણ પર વધારો કરવામાં આવ્યા બાદ ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે આમ આદમી પાર્ટી આખા દેશમાં મોંઘવારીનો ઢંઢેરો પીટે છે અને પોતાના રાજ્યમાં VAT કે વીજળીના ભાવ વધારી છે. પહેલાં હિમાચલમાં કોંગ્રેસે વધાર્યો અને હવે આપ સરકારે. પંજાબે VAT વધાર્યો અને હવે ટોણો ભાજપને મારશે જ્યારે અમારી સરકારે કેન્દ્રીય એક્સાઇઝ 2 વખત ઓછો કર્યો છે. 

    VAT એટલે કે વેલ્યુ-ઍડેડ ટૅક્સ કોને કહેવાય?

    ભારતમાં નાગરિકો પાસેથી બે પ્રકારના કર વસૂલવામાં આવે છે- પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. વેલ્યુ-ઍડેડ ટૅક્સ એટલે કે વેટ પરોક્ષ કરની શ્રેણીમાં આવે છે. VAT બહુસ્તરીય કર પ્રણાલી છે જે માલના વેચાણના દરેક તબક્કે કુલ માર્જિન પર લાદવામાં આવે છે. કોઈ ઉત્પાદન ઉત્પાદકથી લઈને રિટેલર સુધી પહોંચે, એ સુધીમાં દરેક તબક્કામાં કરનું મૂલ્યાંકન અને કલેક્શન કરવામાં આવે છે. પેટ્રોલ-ડિઝલ પર લાગતો VAT દરેક રાજ્યમાં જુદો-જુદો હોય છે. ઇંધણની કિંમત પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગુ કરે છે અને રાજ્ય સરકાર VAT લગાવે છે. VATની આવક રાજ્યને મળે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં