Saturday, July 27, 2024
More
    હોમપેજદુનિયા'ભારત સાથે થયેલી સંધિ પાકિસ્તાને તોડી, તે મોટી ભૂલ હતી': અટલ બિહારી...

    ‘ભારત સાથે થયેલી સંધિ પાકિસ્તાને તોડી, તે મોટી ભૂલ હતી’: અટલ બિહારી વાજપેયીને યાદ કરીને નવાઝ શરીફે સ્વીકાર્યું સત્ય, તે પછી થયું હતું કારગિલ યુદ્ધ

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે તે સત્યનો સ્વીકાર કર્યો કે, પાકિસ્તાને ભારત સાથે 1999માં તેમના અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા હસ્તાક્ષરીત સંધિનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાને સંધિ તોડી, તે એક ગંભીર ભૂલ હતી.

    - Advertisement -

    જે રીતે 21 સદીમાં વિકાસ થવાને બદલે પાકિસ્તાન અધોગતિ તરફ જઈ રહ્યું છે, તે જ રીતે હવે તેના તેવર પણ બદલાઈ રહ્યા છે. ભારતમાં 2014માં મજબૂત કેન્દ્ર સરકારની સ્થાપના સાથે જ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ થવાની શરૂ થઈ હતી. હવે તો એવો તબક્કો આવી ગયો છે કે, પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારતની પ્રશંસા કરતાં પણ નજરે પડે છે. તે જ અનુક્રમે હવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આજથી 25 વર્ષ પહેલાં કરેલી ભૂલને સ્વીકારી છે. તેમણે કહ્યું કે, ભારત સાથે થયેલી લાહોર સંધિ પાકિસ્તાને તોડી હતી, તે પાકિસ્તાનની ભૂલ હતી. તેમણે દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે (28 મે) તે સત્યનો સ્વીકાર કર્યો કે, પાકિસ્તાને ભારત સાથે 1999માં તેમના અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા હસ્તાક્ષરીત સંધિનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાને સંધિ તોડી, તે એક ગંભીર ભૂલ હતી. તેમણે પાકિસ્તાનના સૈન્ય તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા કારગિલમાં કરવામાં આવેલા હુમલાના સ્પષ્ટ સંદર્ભમાં આ વાત કહી હતી.

    સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના અધ્યક્ષ નિયુકત થયા બાદ પાર્ટીની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે નવાઝ શરીફે આ નિવેદન આપ્યું હતું. આ સાથે પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણની 26મી વર્ષગાંઠ પણ હતી. તે અનુસંધાને નવાઝ શરીફે કહ્યું કે, “28 મે, 1998ના રોજ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. ત્યારબાદ વાજપેયી સાહેબ અહીં આવ્યા અને આપણી સાથે સંધિ કરી, પરંતુ આપણે તે લાહોર સંધિનું ઉલ્લંઘન કર્યું. આ આપણી ગંભીર ભૂલ હતી.”

    - Advertisement -

    નોંધવા જેવુ છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ભારતના પૂર્વ વડાપ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીએ 21 ફેબ્રુઆરી, 1999ના રોજ લાહોર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાના દ્રષ્ટિકોણની વાત કરતી આ સંધિએ એક મોટી સફળતાના સંકેત આપ્યા હતા, પરંતુ કેટલાક મહિના બાદ જ જમ્મુ-કાશ્મીરના કારગિલ માં પાકિસ્તાની ઘૂસણખોરીને કારણે તે સંધિ તૂટી હતી. ત્યારબાદ કારગિલ યુદ્ધ શરૂ થયું હતું અને ભારતે પાકિસ્તાની કમર તોડી નાખી હતી.

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ એકવાર પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાની પહેલ કરી હતી. પરંતુ તે બાદ જ ઉરી અને પુલવામાં હુમલા જેવા ગંભીર આઘાતો મળ્યા હતા. ત્યારથી કેન્દ્ર સરકારની મજબૂત કૂટનીતિને કારણે આજે વગર યુદ્ધે પાકિસ્તાનની હાલત કફોડી કરવામાં ભારત સફળ થયું છે. આ જ પાકિસ્તાન એક સમયે ભારત સામે આંખો બતાવીને દહેશત ફેલાવતું હતું. ત્યાંનાં નેતા પણ ક્યારેય ભારત તરફી વાત કરતાં નહોતા. પરંતુ હવે તેની સ્થિતિ એવી ગંભીર છે કે, ન છૂટકે ભારત સાથે સંબંધ સુધારવા માટે તે તલપાપડ છે અને અવારનવાર ભારતની પ્રશંસા કરે છે. નવાઝ શરીફે પણ આ સત્ય ત્યારે સ્વીકાર્યું જ્યારે આજે પાકિસ્તાનની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. આ પરિવર્તન ભારતની મજબૂત કૂટનીતિને દર્શાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં