Saturday, July 27, 2024
More
    હોમપેજદેશશપથ ગ્રહણ પહેલાં વીર સપૂતોને નમન: સેનાના અધિકારીઓ સાથે વૉર મેમોરિયલ પહોંચ્યા...

    શપથ ગ્રહણ પહેલાં વીર સપૂતોને નમન: સેનાના અધિકારીઓ સાથે વૉર મેમોરિયલ પહોંચ્યા નરેન્દ્ર મોદી, ‘સદૈવ અટલ’ અને રાજઘાટની પણ લીધી મુલાકાત

    શપથ ગ્રહણ પહેલાં નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ 'સદૈવ અટલ' અને વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. વૉર મેમોરિયલ ખાતે તેમણે ભારતના વીર સપૂતોને નમન કર્યું હતું.

    - Advertisement -

    9 જૂન, 2024 અને રવિવારના રોજ મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. આ ઐતિહાસિક દિવસે દેશ અને વિદેશના અનેક મહાનુભાવો રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપસ્થિત રહેશે. સાંજના 7.15 કલાકે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. દિલ્હીમાં અનેક સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. તે સાથે જ સુરક્ષાની પણ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શપથ ગ્રહણ પહેલાં નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ ‘સદૈવ અટલ’ અને વૉર મેમોરિયલ પહોંચ્યા હતા.

    રવિવાર (9 જૂન, 2024) ભારત માટે વિશેષ દિવસ છે. આજે મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે 7.15 કલાકે વિશ્વના અનેક નેતાઓની હાજરીમાં નરેન્દ્ર મોદી સહિત કેબિનેટ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. તે પહેલાં સવારથી જ નરેન્દ્ર મોદીનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તેમણે વહેલી સવારે રાજઘાટ પહોંચીને મોહનદાસ ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પણ કર્યા છે. ત્યારબાદ તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે જઈને અટલ બિહારી વાજપેયીને યાદ કરીને પુષ્પ અર્પણ કર્યા હતા.

    ‘સદૈવ અટલ’ અને રાજઘાટ બાદ નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલની મુલાકાત લીધી છે. તેમણે શપથ ગ્રહણ સમારોહ પહેલાં CDS જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને VCAS એર વાઇસ માર્શલ અમર પ્રીત સિંઘ સાથે વૉર મેમોરિયલમાં ભારતના વીર સપૂતોને નમન કર્યું છે. નોંધનીય છે કે, સાંજે 7.15 કલાકે શપથ ગ્રહણ સાથે જ નરેન્દ્ર મોદી ઇતિહાસ રચી દેશે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ તેઓ એકમાત્ર નેતા હશે જે ત્રણ વખત વડાપ્રધાન બન્યા હોય. તેથી આ શપથ ગ્રહણ સમારોહને વિશેષ માનવામાં આવે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, વિશ્વના અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજર રહેવાના છે. દેશ-વિદેશના કેટલાક મહેમાનો તો રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચી પણ ગયા છે. શપથ સમારોહને લઈને આખી દિલ્હીને અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. અનેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ઘણા રસ્તાઓ પણ ડાયવર્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અધિકારીઓ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તમામ સ્થળોએ નિરીક્ષણ પણ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં