Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ1140 માંથી 950 મસ્જિદોને મળી લાઉડસ્પીકરની મંજૂરી, જ્યારે 2400 મંદિરોમાંથી માત્ર 24...

    1140 માંથી 950 મસ્જિદોને મળી લાઉડસ્પીકરની મંજૂરી, જ્યારે 2400 મંદિરોમાંથી માત્ર 24 ને પરવાનગી : મુંબઈ પોલીસ

    મુંબઈ અને મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર લગાડવા સંબંધે નિયમો કડક બનાવ્યા બાદ હવે વિવિધ ધાર્મિક સ્થળોએ આ માટે કરેલી અરજીના આંકડા સામે આવ્યા છે તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ કહ્યું છે કે તેમનું આંદોલન ચાલુ જ રહેશે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર રાજ્યમાં અઝાન અને લાઉડસ્પીકર વિવાદ વચ્ચે શનિવારે (7 મે 2022) જણાવ્યું હતું કે મુંબઈમાં 1140 મસ્જિદોમાંથી 950 ને નમાઝ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે મુંબઈમાં 2400 મંદિરો છે, જેમાંથી માત્ર 24 મંદિરોએ જ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી મેળવી છે.

    એક અધિકારી અનુસાર, મુંબઈ પોલીસ પાસે જે આંકડાં ઉપલબ્ધ છે તે અનુસાર મુંબઈમાં માત્ર એક ટકા મંદિરોએ જ પોતાના પરિસરમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે. આ ઉપરાંત ચર્ચ, ગુરુદ્વારા, બુદ્ધ વિહાર અને પ્રાથના ઘરો વગેરે જેવાં અન્ય પવિત્ર સ્થળો દ્વારા લાઉડસ્પીકરના ઉપયોગ સબંધિત આંકડા મુંબઈ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રાર્થના સ્થળોના મેનેજમેન્ટને લાઉડસ્પીકરો લગાવવા માટે પરવાનગી મેળવવા માટે જણાવવામાં આવશે.

    રિપોર્ટ અનુસાર, શહેરની 1140 મસ્જિદોમાંથી અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી માંગતી અરજી મળી હતી, જ્યારે શહેરના કુલ મંદિરોના માત્ર એક ટકા મંદિરો દ્વારા જ પરવાનગી માંગવામાં આવી હતી. જે બાદ શુક્રવારે પોલીસે 950 મસ્જિદો અને 24 મંદિરોને લાઉડસ્પીકરના ઉપયોગની મંજૂરી આપી હતી.

    - Advertisement -

    મુંબઈની મસ્જિદોએ હજારોની સંખ્યામાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી માંગી હોય તેવી આ પ્રથમ ઘટના છે. છેલ્લા બે અઠવાડિયાથી મુંબઈ પોલીસને આ પ્રકારની અરજીઓ મળી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે અપીલ કરી હતી ત્યારબાદ આવી અરજીઓ શરૂ થઇ હતી.

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવવાની માંગ વચ્ચે બુધવારે સાંજે મુંબા પોલીસના કમિશ્નર સંજય પાંડેના કાર્યાલય ખાતે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંદિરો, મસ્જીદો વગેરે જેવી પવિત્ર જગ્યાઓએ સવારે છ થી રાત્રે દસ વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો હેઠળ લાઉડસ્પીકર વગાડવા માટે કહેવામાં આવ્યું છે.

    બેઠકમાં સામેલ રહેલા મુંબઈના ખરદંડા મંદિરના ટ્રસ્ટી ચિંતામણી નેવતેએ જણાવ્યું કે, રાજનેતાઓએ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમત ન રમવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, રાજનેતાઓએ ચૂંટણી માટે આવા મુદ્દાઓનો ઉપયોગ ન કરવો જોઈએ. દાદરમાં એક જૈન મંદિરના સચિવે જણાવ્યું કે, ધાર્મિક સ્થળોએ ડેસિબલની સીમા 50 નક્કી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે ઘરમાં વપરાતા મિક્સર અને ગ્રાઈન્ડરનો અવાજ તેનાથી વધુ હોય છે.

    મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ મામલે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું, “મને જાણ છે ત્યાં સુધી મુંબઈમાં 1140 થી વધુ મસ્જીદોછે. તેમાંથી 135 મસ્જિદોએ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરીને સવારે પાંચ વાગ્યે અઝાન કરી હતી. અમે રાજ્યમાં શાંતિ ઈચ્છીએ છીએ. હું પોલીસને પૂછવા માંગુ છું કે તેમે માત્ર અમારા કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છો. મારું કહેવું છે કે મસ્જિદોમાંથી તમામ ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવી દેવામાં આવવા જોઈએ. અને જ્યાં સુધી આ લાઉડસ્પીકરો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

    ઉપરાંત, પહેલી મેના દિવસે ઔરંગાબાદમાં આયોજિત રેલીમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો ચોથી મેના રોજથી મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમની પાર્ટીના કાર્યકરો મસ્જિદની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડશે. જે બાદ ઘણા મનસે કાર્યકરોએ મુંબઈ, નાસિક, પુણે વગેરે જેવાં સ્થળોએ સવારની અઝાનના સમયે હનુમાન ચાલીસા વગાડી હતી. જે બાદ શાંતિ ભંગ કરવા બદલ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં