Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટUPના કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીનું મોત, જેલમાં આવ્યો હાર્ટ અટેક: હૉસ્પિટલ લઇ...

    UPના કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીનું મોત, જેલમાં આવ્યો હાર્ટ અટેક: હૉસ્પિટલ લઇ જવાતાં ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યો

    આ પહેલાં પણ મુખ્તારને મંગળવારે (26 માર્ચ) હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 14 કલાક સારવાર ચાલ્યા બાદ ફરી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગુરુવારે રાત્રે અચાનક તેને હાર્ટ અટેક આવ્યો અને તેના સેલમાં બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા ડૉન મુખ્તાર અન્સારીનું મોત થયું છે. તે બાંદા જેલમાં બંધ હતો ત્યારે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાંથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. 

    હૉસ્પિટલે મુખ્તાર અન્સારીનું મોત થયું હોવાની પુષ્ટિ કરી છે. જારી કારવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે, ‘ઉલટીની ફરિયાદ અને ત્યારબાદ બેભાન થઈ ગયા બાદ મુખ્તારને રાત્રે 8:25 વાગ્યે બાંદા સ્થિત રાણી દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યો હતો. દર્દીને 9 ડૉક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક ચિકિત્સકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી, પરંતુ અનેક પ્રયાસો બાદ પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું.’ 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મુખ્તારને મંગળવારે (26 માર્ચ) હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 14 કલાક સારવાર ચાલ્યા બાદ ફરી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગુરુવારે રાત્રે અચાનક તેને હાર્ટ અટેક આવ્યો અને તેના સેલમાં બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો. ત્યારબાદ તેને હૉસ્પિટલ મોકલવામાં આવ્યો, પરંતુ ન બચ્યો.

    - Advertisement -

    અગાઉ બાંદાની રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પેટમાં દુઃખાવો અને યુરિનેટિંગમાં સમસ્યાની ફરિયાદ બાદ મુખ્તારને મંગળવારે સવારે લગભગ પોણા ચાર વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ સાંજે 5:45 કલાકે તેને ICU વૉર્ડમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જ્યાંથી ફરી જેલભેગો કરી દેવામાં આવ્યો. 

    મુખ્તાર સામે 60થી વધુ કેસ, 2 વર્ષમાં 8 કેસમાં સજા પામી ચૂક્યો હતો

    ઉત્તર પ્રદેશનો એક સમયનો માફિયા ડૉન અને અનેક ગુનાઓમાં સપડાયેલો મુખ્તાર અન્સારી વર્ષ 2005થી જેલમાં બંધ છે. આ પહેલાં પંજાબની રોપડ જેલમાં બંધ હતો. 2021માં તેને ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં લાવવામાં આવ્યો હતો, ત્યારથી તે અહીં જ બંધ હતો. 

    તેની સામે કુલ 60થી વધુ ક્રિમિનલ કેસ ચાલી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા બાદ જુદા-જુદા 8 કેસમાં તેને સજા સંભળાવવામાં આવી હતી. તાજેતરમાં 13 માર્ચના રોજ તેને ખોટા દસ્તાવેજોના આધારે આર્મ્સ લાયસન્સ મેળવવાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે પહેલાં એપ્રિલ, 2023માં એક અપહરણ અને હત્યાના કેસમાં તેને કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં