Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યા વચગાળાના જામીન, પરંતુ હજુ...

    ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યા વચગાળાના જામીન, પરંતુ હજુ પણ દિલ્હી પોલીસની કસ્ટડીમાં જ રહેશે

    કોર્ટે તેને પાંચ દિવસની રાહત આપી છે અને દિલ્હી મેજિસ્ટ્રેટની સરહદ ન છોડવા અને ટ્વિટર પર કેસ મામલે કંઈપણ પોસ્ટ ન કરવાની શરતે તેને જમીન આપ્યા છે.

    - Advertisement -

    ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નોંધાયેલ કેસ મામલે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એક ટ્વિટ મામલે કેસ નોંધાયો હતો, જેમાં તેણે હિંદુ સંતોનું અપમાન કર્યું હતું. આ કેસ મામલે ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા છે.

    જોકે, ઝુબૈર હજુ પણ પોલીસ કસ્ટડીમાં જ રહેશે કારણ કે તેને માત્ર 1 જૂન 2022ના રોજ નોંધાયેલ એક FIR મામલે રાહત આપવામાં આવી છે. કોર્ટે તેને પાંચ દિવસની રાહત આપી છે અને દિલ્હી મેજિસ્ટ્રેટની સરહદ ન છોડવા અને ટ્વિટર પર કેસ મામલે કંઈપણ પોસ્ટ ન કરવાની શરતે મોહમ્મદ ઝુબૈરને જામીન આપ્યા છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે ઝુબૈર બેંગ્લોર કે અન્યત્ર ક્યાંય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે છેડછાડ કરી શકશે નહીં. 

    ઝુબૈર તરફથી દલીલો કરતા તેના વકીલ કૉલીન ગોંજાલવીસે કોર્ટને કહ્યું કે, ઝુબૈર પોતે જ હેટ સ્પીચ વિરુદ્ધ કામ કરે છે અને તેને જ પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, ઝુબૈરના ટ્વિટ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી છે અને એ વિડંબના છે કે તે એક ફેક્ટચેકર વેબસાઈટ ચલાવે છે. 

    - Advertisement -

    એસજી તુષાર મહેતાએ કહ્યું કે, ઝુબૈરે પોતાના ફાયદા માટે તથ્યોને છુપાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, સીતાપુર કોર્ટે એક દિવસ પહેલાં જ ઝુબૈરના જામીન રદ કરી દીધા હતા પરંતુ તે આ બેન્ચને જણાવવામાં આવ્યું નથી. તેમજ દિલ્હીની કોર્ટ દ્વારા આપવામાં આવેલા તેના જામીન રદ કરવાના અને રિમાન્ડ મંજૂર કરવાના આદેશનો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”

    એસજીએ એમ પણ કહ્યું કે, આ કેસમાં નાણાકીય બાબતો અંગે પણ તપાસ ચાલી રહી છે અને તેમાં ઝુબૈરની સંડોવણીને લઈને તપાસ ચાલુ છે. તેમણે કોર્ટને એ પણ ધ્યાન પર લાવ્યું કે માત્ર એક ટ્વિટને લઈને તપાસ ચાલી રહી નથી પરંતુ સમગ્ર મામલાને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ ઉત્તપ્રદેશ ના સીતાપુર જિલ્લામાં ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઇ હતી. ઝુબૈર વિરુદ્ધ ટ્વિટમાં હિંદુ સંતો મહંત બજરંગ મુનિ, યતિ નરસિંહાનંદ અને સ્વામી આનંદ સ્વારૂપ વિશે અપમાનજનક ભાષા વાપરવાનો આરોપ લાગ્યો હતો. રાષ્ટ્રીય હિંદુ શેર સેનાના જિલ્લા પ્રમુખે આ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ઝુબૈર વિરુદ્ધ આઈપીસીની કલમ 295 (A) અને આઇટી એક્ટ (2000)ની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

    7 જુલાઈના રોજ સીતાપુર કોર્ટે ઝુબૈરની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા સમાન પ્રકારના ગુના ફરીથી આચરી શકે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે કેસ ગંભીર છે અને જામીન આપી શકાય તેમ નથી. જોકે, ઝુબૈરને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ હજુ પણ તે કસ્ટડીમાં જ રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં