Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતજાહેર કાર્યક્રમમાં ઉકળી ઉઠ્યાં ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ-મેયર સાથે રકઝક કરી: વિડીયો...

    જાહેર કાર્યક્રમમાં ઉકળી ઉઠ્યાં ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ-મેયર સાથે રકઝક કરી: વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ- જાણો શું છે સમગ્ર મામલો

    સામે આવેલા વિડીયોમાં રિવાબા ‘ઈલેક્શનમાં વડીલપણું દેખાડ્યું હતું’ અને ‘સળગાવવાવાળા તમે જ છો, એટલે હવે ઠારવાનો પ્રયત્ન ન કરો’ જેવાં વાક્યો બોલતાં સંભળાય છે.

    - Advertisement -

    જામનગર-ઉત્તરથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય રિવાબા જાડેજા ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં રિવાબા પાર્ટીના સાંસદ પૂનમ માડમ અને જામનગરનાં મેયર બીના કોઠારી સાથે ઉગ્ર અવાજે વાત કરતાં અને ગુસ્સામાં ખરીખોટી સંભળાવતાં જોવા મળે છે. 

    આ ઘટના ગુરૂવાર (17 ઓગસ્ટ, 2023)ની છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વીરગતિ પ્રાપ્ત હુતાત્માઓના સન્માનમાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં MLA રિવાબા, MP પૂનમ માડમ અને મેયર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિવાબા જામનગર ઉત્તરના ધારાસભ્ય છે, જ્યારે પૂનમ માડમ જામનગર લોકસભા બેઠક પરથી ભાજપનાં સાંસદ છે. 

    સોશિયલ મીડિયા અને મીડિયામાં સામે આવેલા વિડીયોમાં રિવાબા ‘ઈલેક્શનમાં વડીલપણું દેખાડ્યું હતું’ અને ‘સળગાવવાવાળા તમે જ છો, એટલે હવે ઠારવાનો પ્રયત્ન ન કરો’ જેવાં વાક્યો બોલતાં સંભળાય છે. જોકે, પૂનમ માડમ શાંત જ જોવા મળ્યાં હતાં અને મામલો પૂરો કરવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. રિવાબા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે પણ રકઝક થઇ ગઈ હતી. 

    - Advertisement -

    મેયરે ‘તમે મેયર સાથે વાત કરી રહ્યાં છો’ તેમ કહેતાં રિવાબા ફરી અકળાયાં હતાં અને ‘અવાજ નીચે રાખો’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેથી સાંસદ પૂનમ માડમે વચ્ચે પડીને મેયર તેમનાથી મોટાં હોય માન જાળવવા કહેતાં રિવાબાએ તેમને પણ કહી દીધું હતું કે, ‘સળગાવવાવાળા તમે જ છો એટલે ઠારવાનો પ્રયત્ન રહેવા દો.’ ત્યારબાદ પણ રકઝક ચાલતી રહી. 

    સમગ્ર મામલે પછીથી રિવાબાએ પ્રકાશ પાડ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “કોર્પોરેશનનો કાર્યક્રમ હતો. આપણે શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપણે ફૂલની માળા ચડાવતા હોઈએ છીએ. પહેલાં MP મેડમ (પૂનમ માડમ)ને શ્રદ્ધાંજલિ આપવાનું થયું. તેમણે ચપ્પલ પહેરેલા હતા. ત્યારપછી મારો વારો હતો. સ્વભાવિક રીતે સન્માન આપવા માટે મેં ચપ્પલ કાઢી હારથી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. મારા પછીના આગેવાનોએ પણ ચપ્પલ કાઢીને શ્રદ્ધાંજલિ આપી.” 

    આગળ કહ્યું, “કાર્યક્રમ ચાલી રહ્યો હતો, અમે બાજુમાં ઊભાં હતાં અને MP પ્રેસ મીડિયા હતા, અધિકારીઓ હતા અને ભાજપ પરિવાર હતો ત્યાં બોલ્યાં કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ ઉતારતા નથી હોતા પરંતુ અમુક ભાન વગરના લોકો એક્સ્ટ્રા ઓવરસ્માર્ટ થઇને ચપ્પલ કાઢે છે. આ તેમનું સ્ટેટમેન્ટ હતું એટલે મારે સેલ્ફ રિસ્પેક્ટ માટે ન છૂટકે તેમને કહેવું પડ્યું કે, તમે મારા વિશે જે ટિપ્પણી કરી છે એ અયોગ્ય છે અને પ્રસંગ સાથે કોઈ લેવાદેવા નથી કે પાર્ટી વિરુદ્ધ કંઈ કામ નથી કર્યું. તો તેમના તરફથી એવી ટિપ્પણી હતી કે હું તમને કંઈ નથી કહેતી, હું બીનાબેનને (મેયર) કહું છું. તો મેં એમને કહ્યું કે, તમે કોઈ વ્યક્તિને કહેતા હોય તો તેમના નામજોગ વાત કરો. આમાં બીનાબેનની કોઈ વાત નથી, મારી અને MP વચ્ચે જ આ સંવાદ થયો હતો.”

    બીજી તરફ, આ મામલે સાંસદ પૂનમ માડમે હાલ કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે, તેઓ પાર્ટી જે કહે તે પ્રમાણે પ્રતિક્રિયા આપશે. આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું પણ ધ્યાન ગયું છે અને તેમણે એક અલગ વિષયને લઈને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ આ બાબતે માહિતી મેળવી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં