Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટISISની મદદથી ભારતમાં ‘ખલીફા શાસન’ લાવવાના મિશન પર કામ કરતો હતો મેંગલુરુ...

    ISISની મદદથી ભારતમાં ‘ખલીફા શાસન’ લાવવાના મિશન પર કામ કરતો હતો મેંગલુરુ બ્લાસ્ટનો આરોપી શારિક મોહમ્મદ: 40 લોકોને આપી હતી તાલીમ

    રાજ્યના ADGP આલોક કુમારે જણાવ્યું હતું કે આ દરોડામાં મેંગલુરુ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત અનેક મંદિરોના નકશા શારિકના ઘરમાંથી મળી આવ્યા હતા.

    - Advertisement -

    કર્ણાટકના મંગલુરું બ્લાસ્ટમાં તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સી NIA સામે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મેંગલુરું બ્લાસ્ટનો આરોપી શારિક મહોમ્મદ અત્યાર સુધી 40 લોકોને ટ્રેન કરી ચૂક્યો હોવાનું તેમજ બીજી તરફ ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISના સહયોગથી ભારતમાં ‘ખલીફા શાસન’ લાવવાની ફિરાકમાં કર્ણાટકમાં મોટાપાયે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.

    દૈનિક ભાસ્કરના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. બ્લાસ્ટનો આરોપી શારિક મહોમ્મદ શિમોગા જિલ્લાના તિર્તાલી શહેરમાં શોપગુડ્ડેનો રહેવાસી છે. ચોંકાવનારી વાત તો એ છે કે શોપગુડ્ડે જેવા નાનકડા ગામમાં જ માત્ર 100 મીટરના અંતરમાં કુલ 5 શંકાસ્પદ આતંકવાદીઓનાં ઘર આવેલાં છે. આ આતંકવાદીઓના નામ મોહમ્મદ શારિક, અબ્દુલ મતીન, માઝ મુનીર, સૈયદ યાસીન અને અરાફાત અલી છે. શારિકની ધરપકડ બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ છે.

    તપાસમાં જાણવા મળ્યું છે કે, શારિક મેંગલુરુમાં આતંકવાદી હુમલો કરવા માટે જઈ રહ્યો હતો. તે ISISની મદદથી દેશમાં ખલીફા શાસન લાવવાના મિશન માટે કામ કરતો હતો. કર્ણાટકના કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો છે કે, શારિક પોતાના જેવા 40 યુવાનોને આતંકવાદી હુમલા માટે ટ્રેનિંગ આપતો હતો.

    - Advertisement -

    આતંકવાદ ફેલાવવા શારિક ઉડુપી અને બેંગ્લોર ગયો

    રિપોર્ટ જણાવે છે કે શારિકના પિતાના મૃત્યુ બાદ તેમની કાપડની દુકાન તેની માસી સંભાળતી હતી. શારિકના આતંકવાદી સંગઠનમાં જોડાવાના સવાલ પર તેણે કહ્યું કે ફેબ્રુઆરી 2020માં શિમોગાની દિવાલો પર લશ્કર અને આઈએસઆઈએસના સમર્થનમાં લખેલા નારા અને સંદેશાઓ પાછળ શારિક અને તેના સાથીઓ જ જવાબદાર હતા. તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેના પિતાએ તેને જામીન પર છોડાવ્યો હતો. ઉડુપી અને બેંગ્લોર ગયા બાદ તે આ બધું કરવા લાગ્યો હતો. જ્યારથી તે પાછો ફર્યો ત્યારથી તે નમાઝ, ઇબાદત અને અલ્લાહની જ વાતો કરતો હતો.

    સંગઠનો સાથે જોડાઈને શારિક વધુ કટ્ટર બની ગયો

    શારિક એટલો બદલાઈ ગયો હતો કે તે આખો દિવસ, અલ્લાહ, જન્નત, હુર અને દિનની જ વાતો કરતો હતો. આ સિવાય તે તેન ઘરની સ્ત્રીઓ પર પણ કટ્ટરતા દાખવી અત્યાચાર કરતો. અહેવાલ મુજબ શારિકે ઘરની મહિલાઓનાં મેક-અપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તે ઘરમાં સંગીત, ફિલ્મો, અને ગીતો વગાડવા પર પણ ઉશ્કેરાઈ જતો અને નુકસાન કરતો. તે આ તમામ બાબતોને ઇસ્લામની ખિલાફ કહીને હરામ કહેતો. તેની કટ્ટરતા એ હદે વધી ગઈ કે તેણે તેની બહેનોનું શાળાએ જવાનું પણ બંધ કરાવી દીધું હતું.

    કઈક એવું કરીશ કે જન્નતમાં 72 હુરો પાસે જઈશ: શારિક

    શારિક હંમેશા ઇસ્લામ, દીન, નમાઝ અને ઇબાદત વિશે વાત કરતો હતો. તે પાંચેય સમયે કડકાઈથી નમાઝ અદા કરતો હતો. પહેલા તેના વાળ ટૂંકા હતા, પછી તેણે દાઢી વધારવાનું શરૂ કર્યું. પરિવારના લોકોએ જ્યારે તેને નિકાહ કરવાનું કહ્યું ત્યારે તે જવાબ આપતો કે- “હું બહુ જલ્દી કંઈક કરવા જઈ રહ્યો છું કે હું જન્નત જઈશ અને ત્યાં હું 72 હુરને મળીશ. એ જ મારી દુનિયા છે, અહીં મારું કંઈ જ નથી.”

    શારિકના ઘરેથી મળ્યા મંદિરોના નકશા

    મેંગલુરુ બ્લાસ્ટ બાદ તીરતાલી પોલીસ સ્ટેશનની ચાર ટીમોએ શારિક અને તેના પાડોશમાં રહેતા તમામ સહયોગીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. રાજ્યના ADGP આલોક કુમારે જણાવ્યું હતું કે આ દરોડામાં મેંગલુરુ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત અનેક મંદિરોના નકશા શારિકના ઘરમાંથી મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે આરોપીઓએ આ માટે નક્કર યોજના તૈયાર કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કૂકરમાં પૂરતા પ્રમાણમાં વિસ્ફોટકો હતા જેથી એક આખી બસને ઉડાવી શકાય. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શારિક આ બ્લાસ્ટ પહેલા કોઈમ્બતુર વિસ્ફોટના આરોપીઓને મળ્યો હતો.

    100 મીટરના દાયરામાં પાંચેય આતંકવાદીઓના ઘર

    દૈનિક ભાસ્કર મુજબ શારિક અને મતીન બંને 50 મીટરના અંતરે રહે છે. પોલીસનો દાવો છે કે શારિક શિમોગામાં સપ્ટેમ્બરમાં થયેલા બ્લાસ્ટના ભાગેડુ આતંકવાદી અરાફાત અલીનું ઘર પણ નજીક જ છે. અરાફાત પણ મતીનના પડોશમાં રહેતો હતો અને બંને સારા મિત્રો હતા. શિમોગા બ્લાસ્ટમાં પકડાયેલા માઝ મુનીર અને સૈયદ યાસીન સાથે અરાફાત અને શારિકના ગાઢ સંબંધો હતા. તે બંને શારિકના ઘરથી 100 મીટરના અંતરે જ રહેતા હતા.

    સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે બહારથી શાંતિપૂર્ણ દેખાતા શોપગુડ્ડે એક નહીં પરંતુ પાંચ ISIS આતંકવાદીઓનું ઘર છે. દુનિયાનું સૌથી મોટું આતંકવાદી સંગઠન આ ગામમાં કેવી રીતે ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું તે પણ તપાસ એજન્સીઓ માટે મોટો પ્રશ્ન છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં