Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહીસાગર: ઉર્સના મેળામાંથી ગુમ થયેલી ખાનપુરની દલિત યુવતીની હત્યાનું ઘેરાતું રહસ્ય, કોથળામાં...

    મહીસાગર: ઉર્સના મેળામાંથી ગુમ થયેલી ખાનપુરની દલિત યુવતીની હત્યાનું ઘેરાતું રહસ્ય, કોથળામાં બાંધેલી હાલતમાં મળી હતી લાશ

    ઘટના બાદ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તો પીડિત પરિવાર અનુસાર ગુરુવારે તેઓ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી, આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરશે.

    - Advertisement -

    ગત શનિવારે (18 માર્ચ, 2023) મહીસાગર ખાતે યોજાયેલા ઉર્સના મેળામાંથી રહસ્યમય રીતે ગુમ થયેલી નાનાખાનપુરની 19 વર્ષીય દલિત યુવતીની લાશ 21મીએ નદીની કોતરમાંથી કોથળામાં બંધાયેલી હાલતમાં મળી આવતાં આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલી મૃતક યુવતી તેના પરિવાર સાથે કારંટા ગામમાં ભરાયેલા ઉર્સના મેળામાં ગઈ હતી અને પરત ફરતી વખતે પરિવારથી વિખૂટી પડીને ગુમ થઇ ગઈ હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

    મામલાની વધુ વિગતો એવી છે કે મૃતક યુવતી તેના પરિજનો સાથે ઉર્સના મેળામાં ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે વાવાઝોડા સાથે વરસાદ આવતાં તેઓ એક ઠેકાણે ઉભા રહ્યા હતા, જ્યાંથી તે ગુમ થઇ ગઈ હતી. જેની જાણ થયા બાદ પરિવારે તેની શોધખોળ આદરી અને તેમ છતાં ક્યાંય પત્તો ન લાગતાં આખરે ખાનપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરીને સમગ્ર મહીસાગર જિલ્લા પોલીસ ઉપરાંત, ગોધરા, દાહોદ, વડોદરા, અરવલ્લી, આણંદ સહિત મધ્ય ગુજરાતના પોલીસ મથકોમાં ગુમ થયેલી યુવતીના ફોટા મોકલી આપ્યા હતા.

    દરમ્યાન તા. 21મીના રોજ સાંજના સમયે ખાનપુર પોલીસને કારંટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી ખાતેથી દલિત યુવતીની લાશ કોથળામાંથી મળી આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા ઈસમ સામે IPCની કલમ 302 (હત્યા), 365 (અપહરણ) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા) હેઠળ FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

    - Advertisement -

    FIRની કલમ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અમે મૃતક યુવતીના પરિજનોનો પણ સંપર્ક કર્યો હતો. જેમણે વિસ્તૃત રીતે વિગતો આપી હતી.

    કારંટા ગામના દરગાહના ઉર્સના મેળામાં પરિવારથી વિખૂટી પડી ગઈ હતી

    મૃતક યુવતીના ભાઈએ અમને કયા સંજોગોમાં તેમની બહેન ગુમ થઇ ગઈ હતી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “18 તારીખે મારી નાની બહેન પરિવાર સાથે દર વર્ષે ભરાતા કારંટા ગામના દરગાહના ઉર્સના મેળામાં ગઈ હતી. અમારો પરિવાર દર વર્ષે આ મેળામાં જાય છે. રાત્રે 8 વાગ્યાના અરસામાં જ્યારે તે પરિવાર સાથે પરત ફરી રહી હતી તે સમયે અચાનક વાવાઝોડું અને વરસાદ આવતાં તે ભીડમાં પરિવારથી અલગ પડી ગઈ હતી.”

    તેમણે જણાવ્યું કે, જ્યારે યુવતીની ભાળ ન મળતાં તેમના પરિજનોએ તેને શોધવાના પ્રયાસ કર્યા તો કેટલાક વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. જેમાંથી એક ઈસમની ઓળખ મોહસિન તરીકે થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું કે, જ્યારે તેમનો પરિવાર યુવતીને શોધી રહ્યો હતો ત્યારે તેમણે દરગાહની આસપાસના લોકોનો પણ સહયોગ માંગ્યો હતો પરંતુ કોઈએ મદદ કરી ન હતી. જેથી અંતે અંતે તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવી હતી.

    પરિજનો અનુસાર, બીજા દિવસે તેઓ કારંટા ગામના માજી સરપંચ હુસૈનભાઈ પાસે પણ મદદ માંગવા માટે ગયા હતા. જેમણે પોતે તપાસ કરશે તેમ કહીને પરિવારને આગળના વિસ્તારમાં શોધખોળ કરવા જતા અટકાવ્યો હતો. પીડિત પરિવાર જયારે પણ દરગાહ વિસ્તારમાં તપાસ માટે જતો તે સમયે ત્યાં સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ જતું હોવાનું પણ મૃતક યુવતીના ભાઈએ અમને વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

    કારંટા મહીસાગર નદીમાંથી કોથળામાં બંધાયેલી હાલતમાં લાશ મળી

    પીડિતાના ભાઈ અનુસાર, 21મી તારીખે સાંજે તેને ખાનપુર પોલીસે ફોન કરીને કારંટા ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાંથી કોથળામાં બાંધેલી યુવતીની લાશ મળી આવ્યાનું જણાવીને મૃતદેહની ઓળખ કરવા માટે કહ્યું હતું. જ્યારે પરિજનોએ જઈને જોયું તો તેમણે લાશ ઓળખી લીધી હતી. પછીથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી અને બીજી તરફ, પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    યુવતીની લાશ ક્ષતિગ્રસ્ત હાલતમાં

    આ દરમિયાન અમારી વાત મૃતક યુવતીના પિતરાઈ ભાઈ સાથે પણ થઇ. જેમના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીને ક્રૂરતાથી માર મારવામાં આવ્યો હતો અને તેનો એક હાથ અને એક પગ તૂટેલી હાલતમાં હતા તેમજ આંખ પણ ક્ષતિગ્રસ્ત હતી. લાશની ઓળખ ન થાય તે માટે ચહેરો વિકૃત કરી દેવામાં આવ્યો હતો તેમજ દાંત પણ તૂટેલા હતા. પરિજનો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુવતીના ગુપ્તાંગના ભાગે પણ ઇજા પહોંચી હતી. જોકે, બળાત્કાર થયો હતો કે કેમ તે હજુ સુધી તપાસમાં સામે આવી શક્યું નથી.

    ઘટના બાદ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તો પીડિત પરિવાર અનુસાર ગુરુવારે તેઓ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી, આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરશે.

    આ ઘટના સામે આવ્યાં બાદ આખા મહીસાગર જીલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. પીડિત પરિવારના જણાવ્યાં અનુસાર આજે તેઓ જીલા કલેકટરને ન્યાયની માંગ સાથે આવેદન પત્ર આપવાના છે. આ સિવાય બનાવને પગલે દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી છે. અને દલિત સમાજની યુવતીની ક્રૂર હત્યા કરનાર હત્યારા આરોપીઓને વહેલી તકે ઝડપી લઈને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં