મહારાષ્ટ્રનું કોલ્હાપુર શહેર તેના વિશાળ સાંસ્કૃતિક વારસા, હિંદુ મંદિરો અને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક કિલ્લાઓ માટે પ્રખ્યાત છે. કોલ્હાપુરમાં પ્રાચીન મહાલક્ષ્મી મંદિર, પહાડોની ટોચ પર બનેલ જ્યોતિબા મંદિર જેવાં ઘણાં પ્રખ્યાત મંદિરો છે. આ તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક મંદિરોનું ઐતિહાસિક મહત્વ હોવા છતાં અહીં પવનગઢ અને પન્હાલગઢ જેવા વિસ્તારોને સામાન્ય રીતે લોકો અવગણે છે. આ સ્થિતિમાં બિનહિંદુઓને કબ્જો કરવા માટે આવી જગ્યાઓએ ફાવતું મળી જાય છે.
આ જ પ્રકારની એક ઘટના તાજેતરમાં સામે આવી છે. જ્યાં વર્ષ 1673માં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બનાવવામાં આવેલા પવનગઢ કિલ્લાની સરકારી જમીન પર ‘મદરેસા અર્બિયા ઝિનાતુલ-કુરાન’ નામની મદરેસા ‘ગેરકાયદેસર’ બનાવવામાં આવી હોવાનો સ્થાનિક હિંદુઓએ આરોપ લગાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મદરેસાને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ પણ રજિસ્ટર કરવામાં આવી છે.
![બજરંગ દળે લખેલ પત્રમાં આ મસ્જિદ ગેરકાયદેસર હોવાનો ઉલ્લેખ કરાયો છે](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/મદરેસા-અર્બિયા-ઝિનાતુલ-કુરાન.png?resize=696%2C398&ssl=1)
મોટી વાત એ છે કે મદરેસામાં આવતા વિદ્યાર્થીઓ સ્થાનિક નથી. તેઓ દિલ્હી, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવીને અહીં રહે છે. આ મામલે ‘બજરંગ દળે’ જિલ્લા અને રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “પાવનગઢના ઐતિહાસિક કિલ્લાની જમીન પર બનેલ મદરેસા ગેરકાયદેસર છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના નથી. આવા ગેરકાયદેસર વ્યવસાયોને કારણે કિલ્લાનું ઐતિહાસિક મહત્વ ઘટી રહ્યું છે. ઘણા મુસ્લિમોએ કિલ્લા પર પોતાના ઘરો પણ બનાવ્યા છે. અમે આવા ગેરકાયદેસર વ્યવસાય સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. સાથે જ ઐતિહાસિક કિલ્લાની પવિત્રતા જાળવવા માટે મદરેસા સહિત અન્ય ગેરકાયદે બાંધકામો દૂર કરવાની પણ અમારી માંગણી છે.”
![મદરેસાના દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે.](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/Letter-Of-Bajrang-Dal.jpg?resize=585%2C700&ssl=1)
ત્યારબાદ જિલ્લા પ્રશાસને સંજ્ઞાન લઇ તપાસ બાદ કહ્યું કે ‘મદરેસા અર્બિયા ઝિનાતુલ-કુરાન’ કિલ્લાની સરકારી જમીન પર બનાવવામાં આવી છે. પન્હાલગઢના મામલતદાર માનવી શિંદેએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પડતર જમીન છે, જે સરકારના નિયંત્રણમાં આવે છે. અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાતાં કાર્યવાહી કરવામાં આવશે.”
પવનગઢ અને હિંદુ મંદિરોનો ઇતિહાસ
પવનગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા વર્ષ 1673માં પન્હાલગઢના મુખ્ય કિલ્લાની સાથે બનાવવામાં આવ્યો હતો. અંગ્રેજ આક્રાંતાઓએ પણ આ કિલ્લા પર કબજો કરવાના હેતુથી અહીં હુમલો કર્યો હતો. પન્હાલગઢ કિલ્લાની રક્ષા માટે ત્રણ ઢાળવાળી ખડકો સાથેનો પ્રવેશદ્વાર હતો. 1844માં આક્રમણ દરમિયાન અંગ્રેજોએ આમાંથી બે ખડકો નષ્ટ કરી દીધા હતા. ત્યારબાદ પન્હાલગઢનો કિલ્લો પણ તોડી પાડવામાં આવ્યો હતો. આજે આ સમગ્ર જમીન સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. પવનગઢ કિલ્લા અને પન્હાલગઢ કિલ્લાની વચ્ચે એક નાનો ખાડો છે. આ ખાડો આ બંને કિલ્લાઓને અલગ પાડે છે. હાલમાં પન્હાલા શહેરમાં લગભગ 4200 લોકો રહે છે.
કિલ્લાના મુખ્ય સંરક્ષણ માટે લગભગ 25 ફૂટ ઊંચો એક સપાટ ખડક છે. પવનગઢ કિલ્લો ખડકોમાં સુંદર રીતે કોતરેલા ઘણા પ્રાચીન હિંદુ મંદિરોને જોવા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સમયે-સમયે અહીં મોટી સંખ્યામાં લોકો શિવ મંદિર, હનુમાન મંદિર, નરસિંહ મંદિર અને લક્ષ્મી મંદિરમાં દેવી-દેવતાઓની પૂજા કરવા માટે આવે છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/historical-temple-of-shiva-1.jpg?resize=696%2C398&ssl=1)
આ વર્ષે ફેબ્રુઆરીમાં, પવનગઢના જૂના શિવ મંદિરમાં હિંદુઓએ મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મંદિર મદરેસાથી માત્ર 45-50 મીટર દૂર હોવાથી હિંદુઓનું કહેવું છે કે કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ સુરક્ષા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મદરેસામાં 40 બાળકો રહે છે
આ મામલાની સંપૂર્ણ સત્યતા જાણવા માટે ઑપઇન્ડિયાની ટીમે પવનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. અહીં જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ઘણા મુસ્લિમ પરિવારો રહે છે. આ લોકોએ ભગવાન શિવના પ્રાચીન મંદિરની આસપાસ પોતાનું ઘર બનાવ્યું છે. કિલ્લાના દક્ષિણ દરવાજા પર એક મસ્જિદ પણ બનાવવામાં આવી છે. સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે મસ્જિદ પર પણ ગેરકાયદેસર કબજો છે અને તે મસ્જિદ માર્કંડેય ઋષિની પ્રાચીન ગુફા પર બનાવવામાં આવી છે.
![મદરેસાની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ નોંધણી થયેલ છે.](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/મદરેસા-અર્બિયા-ઝિનાતુલ-કુરાન.jpg?resize=696%2C487&ssl=1)
આ મદરેસાના સંચાલકો સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું કે મદરેસાની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ નોંધણી થયેલ છે. મદરેસાના અધિકારીઓએ આરોપોને નકારી કાઢ્યા કે તે સરકારી જમીન પર બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું, “તે એક રજિસ્ટર્ડ મદરેસા છે અને તે સંપૂર્ણપણે કાયદેસર છે. મદરેસા ઘણી જૂની છે. સરકારી જમીન પર કોઈપણ રીતે અતિક્રમણ કરવામાં આવ્યું નથી. અમે તેને છેલ્લા 50 વર્ષથી અહીં ચલાવીએ છીએ.”
ઑપઇન્ડિયાએ મદરેસાના યુસુફ મુંજાવર અને દાઉદ સાથે પણ વાત કરી હતી. આ લોકોનું કહેવું છે કે મદરેસા વર્ષ 1979માં રજિસ્ટર થઈ હતી. ત્યારથી તે પવનગઢ કિલ્લાની જમીન પર બનેલ છે. અન્ય માહિતી મેળવવાના પ્રયાસ દરમિયાન અમારા ધ્યાન પર આવ્યું કે અહીં લગભગ 40 સગીર બાળકો અભ્યાસ કરે છે. આ 40 છોકરાઓમાંથી એક પણ કોલ્હાપુર કે મહારાષ્ટ્રનો નથી.
મદરેસામાં શિક્ષકો અરબી અને કુરાન સિવાય અન્ય કોઈ ભાષા શીખવતા નથી.
સૂત્રોનું કહેવું છે કે, આ મદરેસામાં વિદ્યાર્થીઓને ઈસ્લામિક જીવનશૈલી અને માત્ર અરબી ભાષા શીખવવામાં આવે છે. હિન્દી, અંગ્રેજી જેવી અન્ય કોઈ ભાષા, સ્થાનિક ભાષા મરાઠી પણ શીખવવામાં આવતી નથી. મદરેસાના પ્રભારી યુસુફ મુંજાવર કહે છે, “લગભગ 40 વિદ્યાર્થીઓ અહીં રહે છે. મદરેસા સાથે જોડાયેલા કેટલાક મોટા લોકો અમને સંસાધનોની મદદ કરે છે. અહીં ત્રણ શિક્ષકો ભણાવે છે. આ તમામ લોકો રાજ્ય બહારના છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ અનાથ છે અને અમે તેમને માત્ર પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડીએ છીએ.”
જ્યારે મદરેસાના રજિસ્ટ્રેશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે યુસુફે કહ્યું કે, “હજુ સુધી રજિસ્ટ્રેશન થયું નથી. અબ્બાના મૃત્યુને કારણે આમાં વિલંબ થયો હતો.” જોકે, તેના ભાઈ દાઉદે કહ્યું કે મદરેસા શિક્ષણ વિભાગ હેઠળ નોંધાયેલ છે અને તે કાયદેસરની જમીન પર બનાવવામાં આવી છે. ત્યારબાદ ઑપઇન્ડિયાની ટીમને મદરેસાની ઓફિસમાં બેસવાનું કહેવામાં આવ્યું. ત્યાં મદરેસાનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બતાવવામાં આવ્યું હતું. આ રજીસ્ટ્રેશન મુજબ, મદરેસાની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ વર્ષ 1969માં સોસાયટી તરીકે નોંધણી કરવામાં આવી છે.
મદરેસાના વિદ્યાર્થીઓએ કહ્યું- અમને સારું ભોજન મળે છે, માત્ર અરબી શીખવવામાં આવે છે
આ દરમિયાન ઑપઇન્ડિયાએ મદરેસાના એક કર્મચારીને અહીં ભણતા બાળકોના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ એ પણ પૂછવામાં આવ્યું કે શું આ બાળકોને અહીં લાવવા માટે તેમના માતા-પિતા પાસેથી પરવાનગી લેવામાં આવી છે. તેના પર કર્મચારીએ દાવો કર્યો છે કે બાળકોના માતા-પિતાની પરવાનગીથી જ બાળકોને અહીં લાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં મદરેસા ચલાવતા યુસુફે કહ્યું હતું કે, અહીં અનાથ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ એ જ કર્મચારી મા-બાપ સાથે વાત કરી હોવાનું કહે છે. ઑપઇન્ડિયાએ મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો પણ મેળવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પુષ્ટિ કરી છે કે તેમને માત્ર અરબી શીખવવામાં આવી રહી છે.
કોલ્હાપુર પોલીસે નોંધ લીધી, કહ્યું- તપાસ ચાલી રહી છે
કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલાનું સંજ્ઞાન લેતાં કોલ્હાપુર પોલીસે પન્હાલા પોલીસને તાત્કાલિક આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોલ્હાપુર પોલીસે 17 જુલાઈના રોજ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આ મામલે પન્હાલા પોલીસ સ્ટેશનને યોગ્ય કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે.”
![કોલ્હાપુર પોલીસ - ગેરકાયદેસર મદરેસા](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/Screenshot-of-Kolhapur-Police-Tweet.jpg?resize=599%2C879&ssl=1)
20 જુલાઈના રોજ ઑપઇન્ડિયાએ આ મુદ્દે વધુ માહિતી માટે કોલ્હાપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલા અધિકારી ગણેશ પાટીલે જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, “આ મામલો તાજેતરમાં જ સામે આવ્યો છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે કે મદરેસા ગેરકાયદેસર છે. પરંતુ હજુ સુધી એ સાબિત થયું નથી કે કાયદેસર છે કે ગેરકાયદેસર. પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને તપાસ ચાલુ છે. જમીનની માપણી કરવામાં આવી છે. જે અંગે રિપોર્ટ આવ્યા બાદ જ બધુ સ્પષ્ટ થશે.”
મામલતદારે સરકારી જમીનની પુષ્ટિ કરી, કહ્યું- જમીનની માપણી કરવામાં આવી હતી, TLR રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ
ઑપઇન્ડિયાએ આ મામલે મામલતદાર શિંદે સાથે પણ વાત કરી હતી. તેણે કહ્યું છે કે, “આ મામલો 17 જુલાઈના રોજ અમારા ધ્યાનમાં આવ્યો હતો. કચેરીએ તરત જ જમીનના નામે કરી દીધી. જોકે રિપોર્ટ આવવાનો બાકી છે. બાંધકામ ગેરકાયદે જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અમે 17 જુલાઈએ પૂછપરછ કરી ત્યારે મદરેસાના સભ્યોએ અમને સહકાર આપ્યો અને કહ્યું કે જો કોઈ ગેરરીતિ સાબિત થશે તો તેઓ મદરેસાને હટાવી દેશે.” જોકે, તેમણે પુષ્ટિ કરી હતી કે જે જમીન પર મદરેસા બનાવવામાં આવી છે તે એક સરકારી પડતર જમીન છે અને સરકારના નિયંત્રણમાં આવે છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/મામલતદાર-કાર્યાલય.png?resize=696%2C430&ssl=1)
‘લેન્ડ જેહાદ’નો સીધો કેસઃ બજરંગ દળ
ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ‘બજરંગ દળ’ના જિલ્લા પ્રમુખ સુરેશ રોકડેએ કહ્યું છે કે પવનગઢના ઐતિહાસિક કિલ્લા પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવું જોઈએ. તેણે કહ્યું છે કે, “આ સીધો ‘લેન્ડ જેહાદ’નો મામલો છે. પવનગઢ અને પન્હાલગઢ એ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બાંધવામાં આવેલ ઐતિહાસિક કિલ્લાઓ છે. આ લોકોને અહીં મદરેસા બનાવવાની પરવાનગી કોણે આપી તે મોટો પ્રશ્ન છે. મદરેસા ઉજ્જડ જમીન સર્વે નંબર 128 પર બનેલ છે જે સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. મદરેસા અહીં કાયદેસર રીતે સ્થાપિત નથી.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે આ વર્ષે જાન્યુઆરીમાં આવા ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાની માંગ કરતો પત્ર લખ્યો હતો. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આ બાબતે બે વાર ફોલોઅપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમને કહેવામાં આવ્યું કે મામલો તપાસ હેઠળ છે. અહીંનું હિંદુ મંદિર વન વિભાગની જમીન પર છે અને મદરેસા તેની નજીકની પડતર જમીન પર છે. લગભગ 40 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અને એક પણ મહારાષ્ટ્રનો નથી.”
આ સિવાય અહીંના મુસ્લિમોએ પતરાવાળા ઘણાં ઘરો બનાવ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મુસ્લિમોએ અહીં મકાન બનાવવા માટે કોઈની પરવાનગી લીધી નથી.
![દરગાહ - ઘર](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2023/07/dargah-ghar.jpg?resize=695%2C418&ssl=1)
ઑપઇન્ડિયાને ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જાણવા મળ્યું:
પવનગઢ કિલ્લાની મુલાકાત વખતે ઑપઇન્ડિયાને જાણવા મળ્યું કે મદરેસા, ‘મદરેસા અરબી ઝિનાતુલ-કુરાન’ રજિસ્ટર્ડ છે. પરંતુ તે સરકારી જમીન પર રૂફિંગ શીટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. મદરેસા સંચાલકોના વિરોધાભાસી નિવેદનોથી પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક અધિકારીએ કહ્યું છે કે અહીં ભણતાં બાળકો અનાથ છે. જ્યારે બીજાએ કહ્યું કે આ બાળકોને અહીં લાવવા માટે તેમના માતા-પિતા પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. મદરેસાના એક અધિકારીએ જણાવ્યું કે મદરેસાને ચલાવવા માટે પરવાનગી લેવામાં આવી હતી.
જ્યારે બીજાએ કહ્યું કે અબ્બાના મૃત્યુને કારણે હજુ સુધી નોંધણી થઈ નથી. આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે જમીનની માપણીના રિપોર્ટ પહેલાં જ મામલતદારે એ પુષ્ટિ કરી હતી કે મદરેસા સરકારી જમીન પર બનાવવામાં આવી છે.
નોંધ: આ બાબતને લગતા તમામ જરૂરી દસ્તાવેજો, ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ્સ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.