Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ માટે 121 કિલોમીટર પગપાળા ચાલશે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી? વાંચો...

    કોંગ્રેસ માટે 121 કિલોમીટર પગપાળા ચાલશે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી? વાંચો વાયરલ દાવાની વાસ્તવિકતા

    વિદિશાથી કોંગ્રેસના ધારાસભ્ય શશાંક ભાર્ગવે પણ ફેસબુક પર પોસ્ટ કરીને આ દાવાને નકાર્યો હતો.

    - Advertisement -

    બાગેશ્વર ધામ અને ત્યાના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે જ છે. તેવામાં સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક પેપર કટિંગ જોઇને અનેક લોકો મોઢામાં આંગળા નાંખી ગયા હતા. આ કટિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ માટે પદયાત્રા કરશે. આ દાવા સાથે એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું જેમાં આ પેપર કટિંગ સાથે બાગેશ્વર ધામ કોંગ્રેસના સમર્થનમાં હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો.

    વાસ્તવમાં બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ માટે પદયાત્રા કરશે તેવા દાવો કરવામાં આવ્યો તે પહેલા કોંગ્રેસના નેતા કમલનાથે બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગત મહિને થયેલી આ મુલાકાત બાદ જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને કમલનાથ વચ્ચે કોંગ્રેસના સમર્થનમાં આ પદયાત્રાની ચર્ચા થઈ હતી. અને લગભગ 121 કિલોમીટર લાંબી યાત્રાની યોજનાને લગતા પેપર કટિંગ અને પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યાં હતાં.

    આ પેપર કટિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મધ્ય પ્રદેશમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસના સમર્થનમાં 121 કિલોમીટરની પદયાત્રા કરશે. એ જ રીતે અન્ય એક વાયરલ પોસ્ટરમાં બાગેશ્વર ધામ સરકાર અને વિદિશાના ધારાસભ્ય શશાંક ભાર્ગવ અને કમલનાથના ફોટા સાથે આ અખબારના કટિંગને મૂકવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, “સંતોના મળ્યા આશીર્વાદ, પરત ફરી રહ્યા છે કમલનાથ”

    - Advertisement -

    જો કે આ પ્રકારના દાવાઓ વાયરલ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યા બાદ બાગેશ્વર ધામે આવા કોઈ પણ દાવાને નકારી દીધા છે. બાગેશ્વર ધામે ફેસબુક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. પૂજ્ય ગુરુદેવ બાગેશ્વર ધામ સરકાર ન તો કોઈ રાજકીય પક્ષની તરફેણમાં છે અને ન તો રહેશે. ગુરુદેવ ભગવાનની એક જ પાર્ટી ‘હનુમાનજીની પાર્ટી’ છે, જેનો ધ્વજ ‘ભગવો ધ્વજ’ છે. આ સમાચાર બાગેશ્વર ધામને બદનામ કરવાનું ષડયંત્ર છે. પૂજ્ય ગુરુદેવ ભગવાનનો એક જ મૂળ મંત્ર છે કે ‘જે રામનું નથી તે કોઈ કામનું નથી.’ આ પૂજ્ય સરકારની એક જ અભિલાષા છે કે રામ નામનો મહિમા સમગ્ર વિશ્વ સુધી પહોંચે. “

    સાથે જ આવી જ એક ચોખવટ વિદિશાથી કોંગ્રેસના ધારાસભ્ય શશાંક ભાર્ગવે પણ ફેસબુક પર પોસ્ટ કરીને કરી છે. તેમણે લખ્યું હતું કે, “બાગેશ્વર ધામ સરકારે કોંગ્રેસને ટેકો આપ્યો તેવા ભ્રામક સમાચાર એક અખબારમાં પ્રકાશિત થયા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિએ તે સમાચાર સાથેનો મારો ફોટો સોશિયલ મીડિયા દ્વારા ફરતો કર્યો છે. પૂજ્ય મહારાજજી કોઈ રાજકીય પક્ષને ટેકો આપતા નથી. પરમ પૂજ્ય ગુરુદેવની એક જ ઈચ્છા છે કે શ્રી રામના નામનો મહિમા સમગ્ર વિશ્વ સુધી પહોંચે. તેઓ સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને ધર્મ વિશે જાગૃતિ લાવવાના કાર્યમાં સંપૂર્ણ રીતે લાગેલા છે. હું આવા કોઈપણ ભ્રામક સમાચારને સંપૂર્ણપણે નકારું છું. “

    જોકે આ પ્રકારની ઘટનાઓ પહેલી વાર નથી બની. બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કોઈ ને કોઈ બાબતે ચર્ચામાં રહેતા જ હોય છે. તાજેતરમાં જ તેમણે હિંદુ ધર્મ ત્યજીને ખ્રિસ્તી બનેલા 100થી વધુ લોકોની ઘરવાપસી કરાવીને ફરી તેમને સનાતન ધર્મ અપનાવડાવ્યો હતો. તે પહેલા પણ ફેબ્રુઆરી મહિનામાં તેમણે કેટલાક લોકોને ખ્રિસ્તીમાંથી હિંદુ ધર્મમાં પરત લઈ આવ્યાં હતા. તેમના નિવેદનો અને તેમના કર્યોને લઈને બાગેશ્વર ધામ હંમેશા ચર્ચામાં રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં