Wednesday, May 8, 2024
More
    હોમપેજદેશ‘મંદિરનિર્માણ માટે સ્વયં ભગવાન રામે પોતાના અનન્ય ભક્ત (મોદી)ની પસંદગી કરી’: પ્રાણપ્રતિષ્ઠા...

    ‘મંદિરનિર્માણ માટે સ્વયં ભગવાન રામે પોતાના અનન્ય ભક્ત (મોદી)ની પસંદગી કરી’: પ્રાણપ્રતિષ્ઠા પહેલાં બોલ્યા અડવાણી, કહ્યું- નિયતિએ નક્કી કરી લીધું હતું કે એક દિવસ અયોધ્યામાં મંદિર બનશે

    પૂર્વ ભાજપ નેતાએ આ વાતો ‘રાષ્ટ્રધર્મ’ નામના એક મૅગેઝિન સાથેની વાતચીતમાં કહી હતી. આ અંક આગામી 15 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થશે, પરંતુ મેગેઝીનના તંત્રી સાથેની તેમની વાતચીતના અમુક અંશ મીડિયામાં સામે આવ્યા છે. 

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. હવે તેને આંગળીના વેઢે ગણાય તેટલા જ દિવસ બાકી રહ્યા છે. દેશ અત્યારે રામમય બની ચૂક્યો છે અને પાંચસો વર્ષોનો સંઘર્ષ, રામજન્મભૂમિ આંદોલન, કારસેવકો, બલિદાની હુતાત્માઓ- સૌને યાદ કરી રહ્યો છે. અનેક નામી-અનામી વ્યક્તિઓએ આ આંદોલનમાં યોગદાન આપ્યું અને આખરે પાંચસો વર્ષોના આંદોલનનો અંત આવ્યો. આવા જ એક વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી. 

    લાલકૃષ્ણ અડવાણી જ એ નેતા હતા જેમણે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રાનું આયોજન કરીને રામજન્મભૂમિ આંદોલનને વેગ આપ્યો હતો. ત્યારબાદ જે-જે થયું તે ઈતિહાસ છે. તેમને પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ અપાયું છે અને તેઓ હાજર પણ રહેશે તેવું જાણવા મળ્યું છે. આ બધાની વચ્ચે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને એક ઈન્ટરવ્યુ આપ્યો છે, જેની ચર્ચા હાલ ચાલી રહી છે. 

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને એલકે અડવાણી કહે છે કે, નિયતિએ જ નક્કી કરી લીધું હતું કે એક દિવસ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનશે. PM મોદી વિશે તેમણે કહ્યું કે, ભગવાન રામે પોતાનું મંદિર બનાવવા માટે એક રામભક્ત તરીકે મોદીને પસંદ કર્યા છે અને હવે તેઓ પ્રાણપ્રતિષ્ઠા સમયે આખા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 

    - Advertisement -

    પૂર્વ ભાજપ નેતાએ આ વાતો ‘રાષ્ટ્રધર્મ’ નામના એક મૅગેઝિન સાથેની વાતચીતમાં કહી હતી. આ અંક આગામી 15 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થશે, પરંતુ મેગેઝીનના તંત્રી સાથેની તેમની વાતચીતના અમુક અંશ મીડિયામાં સામે આવ્યા છે. 

    ‘હું તો માત્ર રથી હતો, સંદેશ સ્વયં રથ હતો’

    લાલકૃષ્ણ અડવાણી કહે છે કે, “તે સમયે (સપ્ટેમ્બર, 1990માં જ્યારે રામ રથયાત્રા નીકળી હતી) મને લાગ્યું હતું કે નિયતિએ નક્કી કરી લીધું છે કે અયોધ્યામાં એક દિવસ ભવ્ય રામ મંદિર બનશે અને હવે માત્ર સમયની વાત છે….યાત્રા શરૂ થઈ તેના થોડા દિવસ પછી મને અહેસાસ થઈ ગયો કે હું તો માત્ર રથી છું, મૂળ સંદેશ તો યાત્રા અને રથ પોતે જ છે, જે શ્રીરામના મંદિરના નિર્માણના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે તેમના જન્મસ્થળ અયોધ્યા ખાતે જઈ રહ્યો હતો.”

    રથયાત્રાને યાદ કરીને એલકે અડવાણી કહે છે કે, “આજે તેને 33 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. 25 સપ્ટેમ્બર, 1990ની સવારે રથયાત્રાનો આરંભ કરતી વખતે અમને ખબર ન હતી કે પ્રભુ રામને જે આસ્થાથી પ્રેરિત થઈને આ યાત્રાનો આરંભ કરવામાં આવી રહ્યો છે તે દેશમાં આંદોલનનું સ્વરૂપ લઇ લેશે. તે સમયે નરેન્દ્ર મોદી મારા સહાયક હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન તેઓ સાથે જ રહ્યા પણ ત્યારે બહુ ચર્ચિત ન હતા. પરંતુ ભગવાન રામે પોતાના અનન્ય ભક્તને તે સમયે જ મંદિરના જીર્ણોદ્ધાર માટે પસંદ કરી લીધા હતા.” તેમણે આ માટે વડાપ્રધાનને શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથે ભારતવાસીઓને અપીલ કરી કે તેઓ ભગવાન રામના દર્શન કરીને તેમના ગુણોને જીવનમાં ઉતારવાના પ્રયાસ કરે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં