Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'આગ લગાવી દો, કોઈ બચવું ન જોઈએ': કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલે...

    ‘આગ લગાવી દો, કોઈ બચવું ન જોઈએ’: કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલે SDM પર સીધો આરોપ; પીડિતો આખી રાત DM ઓફિસ બેસી રહ્યા હતા

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલામાં પરિવારના સભ્ય અને મૃતક મહિલાના દીકરા શિવમે પોલીસ અધિક્ષકને ફરિયાદ આપી છે. ફરિયાદમાં શિવમે એસડીએમ જ્ઞાનેશ્વર પ્રસાદ, કાનુનગો, મદૌલીના લેખપાલ અશોક સિંહ, અન્ય ત્રણ લેખપાલ અને રૂરાના એસએચઓ દિનેશ ગૌતમ તેમજ તેની માતા અને બહેનને 12-15 પુરુષો અને મહિલાઓ દ્વારા સળગાવી દેવાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલે પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં કાનપુર દેહતના જિલ્લા મેજિસ્ટ્રેટની કામગીરી પર પણ સવાલો ઉભા થાય તે સ્વભાવિક છે. પીડિત પરિવારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો 14 જાન્યુઆરી 2023નો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં પીડિત પરિવારના મોભી કૃષ્ણ ગોપાલ દીક્ષિત પોતાના પરિવાર અને બકરી સાથે ડીએમ ઓફિસ પહોંચ્યા અને આજીજી કરતા જોવા મળી રહ્યાં છે.

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન પહેલા દીક્ષિત પરિવાર તેમની ફરિયાદ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચ્યા હતા, તેના એક દિવસ પહેલા જ એટલે કે 13 જાન્યુઆરી, 2023ના રોજ બુલડોઝર ચલાવીને તેમના ઘરને પહેલીવાર તોડી પાડવામાં આવ્યું હતું. કૃષ્ણ ગોપાલ કે જેઓ તેમની પત્ની, પુત્રી, બે પુત્રો અને એક બકરી સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચ્યા હતા, તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે ન્યાયની માંગણી કરી હતી.

    જોકે જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈન પીડિતાના પરિવારને નહોતા મળ્યા. આ પછી પીડિતાનો પરિવાર આખી રાત ડીએમ ઓફિસની બહાર બેસી રહ્યો હતો. આ પછી એસડીએમ જ્ઞાનેશ્વર પ્રસાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસકર્મીઓને બોલાવ્યા અને પીડિતોને પોલીસ સ્ટેશન લઈ જવા લાગ્યા હતા.

    - Advertisement -

    પીડિતાના પરિવાર પર વહીવટીતંત્રને ફસાવવાનો આરોપ

    આ દરમિયાન મૃતક પ્રમિલાએ તેમને વિનંતી કરી હતી કે તેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે અને હવે તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. તેમણે એસડીએમને ન્યાય માટે અપીલ પણ કરી હતી. જો કે પીડિત પરિવારને ન્યાય ન મળ્યો, પરંતુ પીડિતાના પરિવાર વિરુદ્ધ ઉદ્દંડતાનો અલગ કેસ નોંધવામાં આવ્યો. અગાઉ પણ તેમની સામે અન્ય એક કેસ નોંધવામાં આવ્યો હતો.

    13 જાન્યુઆરીએ જ્યારે મદૌલી ગામમાં પીડિત પરિવારના ઘરને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે તલાટી અશોક સિંહે પીડિતાના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અશોક સિંહે SDMને ફરિયાદ કરતાં કૃષ્ણ ગોપાલ દીક્ષિત અને તેમના પુત્ર શિવમ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

    અશોક સિંહે SDMને પત્ર લખીને કહ્યું હતું કે, “13 જાન્યુઆરીએ જ્યારે વહીવટીતંત્ર ગેરકાયદેસર અતિક્રમણને ખાલી કરાવવા માટે પહોંચ્યું હતું, ત્યારે કૃષ્ણ ગોપાલ અને તેમના પુત્રો શિવમ અને અંશે પ્રશાસન સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારપીટ કરી હતી. ગામના લોકોને સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. તે કહેતા હતા કે, અહીંથી ભાગી જા, નહીંતર બીકરૂ વાળી ઘટના જેવું થશે.”

    પીડિત પરિવારે ફરિયાદ આપી

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલામાં પરિવારના સભ્ય અને મૃતક મહિલાના દીકરા શિવમે પોલીસ અધિક્ષકને ફરિયાદ આપી છે. ફરિયાદમાં શિવમે એસડીએમ જ્ઞાનેશ્વર પ્રસાદ, કાનુનગો, મદૌલીના લેખપાલ અશોક સિંહ, અન્ય ત્રણ લેખપાલ અને રૂરાના એસએચઓ દિનેશ ગૌતમ તેમજ તેની માતા અને બહેનને 12-15 પુરુષો અને મહિલાઓ દ્વારા સળગાવી દેવાનો આરોપ લગાવ્યો છે.

    શિવમે પોતાના પત્રમાં કહ્યું છે કે તેના વડવાઓ છેલ્લા 100 વર્ષથી તે જગ્યાએ રહે છે. 14 જાન્યુઆરીએ એસડીએમ કોઈ સૂચના આપ્યા વિના તેનું ઘર તોડવા પહોંચી ગયા હતા. જ્યારે તેમણે તેના વિશે પૂછ્યું તો એસડીએમએ કહ્યું કે તેમના ગામના અશોક દીક્ષિતે ફરિયાદ કરી હતી કે તેમનું ઘર ગ્રામસભાની જમીન પર બનેલું છે.

    શિવમે કહ્યું હતું કે તે દિવસે તેનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું અને છાણવાળી ઝૂંપડી છોડી દેવામાં આવી હતી. SDMએ તેને પણ આગામી 10-15 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. શિવમે કહ્યું કે આ પછી તેઓ પોતાની ફરિયાદ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ પહોંચ્યા, પરંતુ ત્યાં તેમની વાત સાંભળવામાં ન આવી અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    શિવમે આગળ લખ્યું કે બીજા દિવસે SDM જ્ઞાનેશ્વર અને કાનુનગો, લેખપાલ અને પોલીસ પહોંચ્યા. તે સમયે તેના માતા-પિતા અને બહેન ઝૂંપડામાં આરામ કરી રહ્યા હતા. જેસીબી ચાલક દિપકે ચેતવણી આપ્યા વિના ઝૂંપડું તોડી નાખ્યું હતું. આ પછી SDMએ આગ લગાડવાનું કહીને બોલ્યા કે કોઈ બચી ન જાય. આ પછી અશોક સિંહે ઝૂંપડીને આગ લગાવી દીધી હતી.

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલામાં મૃતકના દીકરા શિવમે આરોપ લગાવ્યો કે અરજદાર કોઈક રીતે આગમાંથી બચવામાં સફળ રહ્યો, પરંતુ રૂરાના એસએચઓ દિનેશ ગૌતમે અન્ય પોલીસકર્મીઓ સાથે મળીને તેને માર માર્યો અને આગમાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેના પિતા દાઝી ગયા હતા અને તેની માતા અને બહેન સળગી ગયા હતા.

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન મામલામાં તપાસ માટે SITની રચના

    કાનપુરમાં માતા-પુત્રીના અગ્નિ સ્નાન બાદ નોંધાયેલા કેસની તપાસ માટે DGPએ SITની રચના કરી છે. આ મામલામાં ઘટનાસ્થળે હાજર રહેલા એસડીએમ જ્ઞાનેશ્વર પ્રસાદ, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રૂરા દિનેશ ગૌતમ, લેખપાલ અશોક સિંહ, સમા પક્ષના ફરિયાદી અશોક દીક્ષિત, ગૌરવ દીક્ષિત સહિત 12 લોકોના નામ લખવામાં આવ્યા છે. આમાં કેટલાક અજ્ઞાત પોલીસકર્મીઓ પણ સામેલ છે.

    ડીજીપીએ હરદોઈના એસપી રાજેશ દ્વિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ટીમ બનાવી છે . જેમાં સીઓ વિકાસ જયસ્વાલને વિવેચક બનાવવામાં આવ્યા છે. આ સાથે સિટી કોટવાલ સંજય પાંડે, ક્રાઈમ બ્રાન્ચના રમેશ ચંદ્રા અને મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામસુખરીને સભ્ય બનાવવામાં આવ્યા છે.

    જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈન પહેલા પણ વિવાદોમાં ઘેરાયા છે

    કાનપુરની મદૌલી ઘટનાને લઈને વિવાદોમાં આવેલી ડીએમ નેહા જૈનની આ પહેલા પણ વિવાદોમાં આવી ચુક્યા છે. ભાજપના સાંસદ દેવેન્દ્ર સિંહ ભોલેએ 12 ડિસેમ્બર 2022ના રોજ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા વેપારી બળવંત સિંહના કેસમાં કલેક્ટર નેહા જૈનની કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો . સાંસદે કહ્યું હતું કે નેહા જૈનનું વહીવટી તંત્ર પર નિયંત્રણ નથી.

    આ પછી કાનપુર દેહત મહોત્સવ માટે વિવિધ સ્થળોએ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ હોર્ડિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો નહોતી. નેહા જૈન પર પીએમ અને સીએમનો ફોટો ન લગાવવા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તે સમયે રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ નેહા જૈન પર સવાલ ઉઠાવ્યા હતા.

    બે પરિવાર વચ્ચેની લડાઈમાં આખરે મા-દીકરીનું મોત

    કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલો બે પરિવારની જમીન સાથે જોડાયેલો છે. પીડિત પરિવાર પાસે ગામમાં એકસાથે બે પ્લોટ છે. પીડિતાનો પરિવાર દાયકાઓથી ખેતી કરતો હતો. બે દાયકા પહેલા પ્રમિલા અને તેના પતિ કૃષ્ણ ગોપાલ દીક્ષિતે અહીં ઘર બનાવ્યું અને રહેવા લાગ્યા હતા.

    આ પછી પીડિત કૃષ્ણ ગોપાલ દીક્ષિતના પરિવાર સાથે આ જમીનને લઈને આરોપી વિશાલ દીક્ષિત, ગૌરવ દીક્ષિત અને અશોક દીક્ષિત સાથે વિવાદ શરૂ થયો, અને 10 વર્ષ પહેલા અશોક દીક્ષિતે સરકારી અધિકારીઓ સાથે મીલીભગત કરીને આ જમીન પોતાની બહેનના નામે સરકારી લીઝ પર લઈ લીધી હતી.

    જ્યારે અશોક દીક્ષિતે આ જમીન પર બાંધકામ શરૂ કર્યું ત્યારે વિવાદ થયો હતો. ગોપાલ કૃષ્ણ દીક્ષિતના પરિવારનો લાંબા સમયથી સરકારી જમીન પર કબજો હતો . હવે અશોક દીક્ષિત ત્યાં કબજો કરવા માંગતા હતા. તેમણે કૃષ્ણ ગોપાલના પરિવારને જમીન પરથી દૂર કરવા માટે પ્રશાસનને ફરિયાદ આપી હતી.

    નિયમ મુજબ પાકાં મકાનો ધરાવતા લોકો ગ્રામ પંચાયતની જમીન પર રહી શકતા નથી . જેના આધારે અશોક દીક્ષિતે ગોપાલ કૃષ્ણના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અશોક દીક્ષિતના પરિવારે વહીવટીતંત્રને ગોપાલ કૃષ્ણનું અતિક્રમણ હટાવવાની માંગ કરી હતી, જેથી તે લીઝ પર આપવામાં આવેલી જમીનનો ઉપયોગ કરી શકે. આ ફરિયાદ પર વહીવટીતંત્રે કાર્યવાહી કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં