Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણ24 કલાકની ગુમનામી બાદ ઝારખંડના CM હેમંત સોરેન આવ્યા સામે: રાંચી સ્થિત...

    24 કલાકની ગુમનામી બાદ ઝારખંડના CM હેમંત સોરેન આવ્યા સામે: રાંચી સ્થિત ઘરેથી નીકળી રાજ્યપાલને મળવા થયા રવાના, મની લોન્ડરિંગના કેસમાં શોધી રહી હતી ED

    આ પહેલા EDએ એરપોર્ટથી રોડ સુધી દરેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. EDએ જયારે ફોન પર સંપર્ક સાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે CM હેમંત સોરેનનો અને તેમના સુરક્ષાકર્મીઓનો પણ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.

    - Advertisement -

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સોમવારે (29 જાન્યુઆરી 2024) CM હેમંત સોરેનના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર પહોંચી હતી, પરંતુ ત્યાં તેઓ મળ્યા ન હતા. જે પછી તેમની સતત શોધખોળ ચાલી રહી હતી. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, CM હેમંત સોરેન તેઓના રાંચી સ્થિત નિવાસસ્થાનમાંથી બહાર આવ્યા છે,અને ત્યાંથી સીધા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળવા રાજભવન જવા રવાના થયા છે.

    ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરવા પહોંચેલી ED 13 કલાકથી વધુ સમય હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસમાં રોકાઈ હતી. પરંતુ હેમંત સોરેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે પછી EDએ નિવાસસ્થાનમાં તપાસ હાથ ધરી હતી અને અમુક જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત નિવાસસ્થાનેથી હેમંત સોરેનની બીએમડબલ્યુ કાર પણ જપ્ત કરી હતી. આ મામલે ભાજપાએ દાવો કર્યો હતો કે, EDની કાર્યવાહીથી બચવા હેમંત સોરેન ફરાર થઇ ગયા છે.

    મળતી માહિતી પ્રમાણે EDએ એરપોર્ટથી રોડ સુધી દરેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. EDએ જયારે ફોન પર સંપર્ક સાંધવાનો પ્રયાસ કર્યો ત્યારે CM હેમંત સોરેનનો અને તેમના સુરક્ષાકર્મીઓનો પણ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. દિલ્હીની સરહદો પર વાહનોની અવરજવર પર પણ નજર રાખવામાં આવી રહી હતી. EDએ નજીકના રાજ્યોની પોલીસને પણ કહ્યું હતું કે જો તેમની પાસે હેમંત સોરેન વિશે માહિતી હોય તો તરત જ જાણ કરે. હેમંત સોરેન ગઈ કાલે તેમના દિલ્હીના ઘરેથી રાંચી જઈ રહ્યા હતા. રાંચી માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરવામાં આવી હતી. એ ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. જે પછી ઇડી દિલ્હી ઉપરાંત રાંચીમાં પણ તેમને શોધી રહી હતી.

    - Advertisement -

    મામલે ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને નિવેદન આપ્યું હતું કે, બંધારણના સંરક્ષક હોવાને નાતે, હું મુખ્યમંત્રી હેમંત સોરેનના EDના સમનને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. આ રાજ્યપાલની ફરજ છે.  હેમંત સોરેનને EDએ પાઠવેલા સમન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. જો મુખ્યમંત્રી આજે જવાબ નથી આપતા તો કાલે જવાબ આપવો પડશે. 

    આ મામલે ઝારખંડ રાજ્ય બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ દાવો કર્યો હતો કે, EDના ડરને કારણે હેમંત સોરેન તેમના દિલ્હીના નિવાસસ્થાનથી ભાગી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે CM સોરેન ચપ્પલ પહેરીને, અને ચાદરથી પોતાનો ચહેરો ઢાંકી તેમના નિવાસસ્થાનથી ચોરની જેમ પગપાળા ભાગી ગયા. તેમની સાથે સ્પેશિયલ બ્રાન્ચના સુરક્ષાકર્મી અજય સિંઘ પણ ગુમ છે.

    આ મામલે રવિવારે EDને લખેલા પત્રમાં, હેમંત સોરેને કેન્દ્રીય તપાસ એજન્સી પર રાજ્ય સરકારની કામગીરીમાં વિક્ષેપ પાડવા માટે રાજકીય એજન્ડાથી પ્રેરિત હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, 31 જાન્યુઆરી અથવા તે પહેલા તેમનું નિવેદન ફરીથી રેકોર્ડ કરવાની વિનંતી તદ્દન ખોટી છે. તેમની સામે સમન જારી કરવું એ ફક્ત હેરાન કરવા માટે છે, અને કાયદા દ્વારા આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં