Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'INDIA નામ અંગ્રેજોએ આપ્યું હતું, ભારત હોવું જોઈએ દેશનું નામ': ક્રિકેટર વીરેન્દ્ર...

    ‘INDIA નામ અંગ્રેજોએ આપ્યું હતું, ભારત હોવું જોઈએ દેશનું નામ’: ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે કહ્યું- વર્લ્ડકપમાં ખેલાડીઓની જર્સી પર લખવામાં આવે ‘ભારત’

    સેહવાગે ઉમેર્યું કે, આપણે પહેલેથી જ આપણા દેશનું નામ 'ભારત' રાખવું જોઈતું હતું. તેમણે BCCIના સેક્રેટરી જય શાહને પણ અપીલ કરી હતી કે ODI ક્રિકેટ વર્લ્ડકપ વખતે ભારતીય ક્રિકેટરોની જર્સીમાં પણ Indiaને બદલે 'ભારત' લખવામાં આવે.

    - Advertisement -

    મીડિયા અને રાજકીય વર્તુળોમાં હમણાંથી એવી ચર્ચા શરૂ થઈ છે કે મોદી સરકારે આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવેલ સંસદના વિશેષ સત્રમાં બંધારણીય સુધારો કરીને દેશનાં નામમાંથી ‘INDIA’ શબ્દ દૂર કરવામાં આવી શકે છે. તેમ થાય તો માત્ર એક જ નામ રહેશે- ભારત. દિલ્હીમાં યોજાનાર G20 સમિટ માટે પાઠવવામાં આવેલા રાષ્ટ્રપતિ ભવનના આમંત્રણ પત્રોમાં પણ ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ તેવું લખવામાં આવ્યું છે. જેનાથી ચર્ચાને વધુ વેગ મળ્યો. હવે આ મામલે વીરેન્દ્ર સેહવાગ અને અમિતાભ બચ્ચનની ટિપ્પણી પણ સામે આવી છે.

    સોશિયલ મિડિયા પર એક વ્યક્તિએ વીરેન્દ્ર સેહવાગના ટ્વિટ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે એશિયા કપના ભારત-પાકિસ્તાન મેચ વખતે ટ્વિટમાં ‘BHAvsPAK’ના હૅશટેગનો ઉપયોગ કર્યો હતો. લોકો પૂછી રહ્યા છે કે સેહવાગને કઈ રીતે આ વાતની ખબર હતી? જોકે, સંભાવના એ જ હોય શકે કે આ માત્ર એક સંયોગ હતો. જોકે, તેને લઈને સેહવાગે પણ પછીથી એક ટ્વિટ કર્યું. સેહવાગ કહે છે કે, તેમનું એવું માનવું છે કે દેશનું નામ એવું હોવું જોઈએ જેનાથી આપણને ગર્વની અનુભૂતિ થાય. આપણે ભારતીયો છીએ. જ્યારે ‘INDIA’ નામ આપણને અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે.”

    સેહવાગે ઉમેર્યું કે, આપણે પહેલેથી જ આપણા દેશનું નામ ‘ભારત’ રાખવું જોઈતું હતું. તેમણે BCCIના સેક્રેટરી જય શાહને પણ અપીલ કરી હતી કે ODI ક્રિકેટ વર્લ્ડકપ વખતે ભારતીય ક્રિકેટરોની જર્સીમાં પણ Indiaને બદલે ‘ભારત’ લખવામાં આવે. મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમને શુભકામનાઓ પાઠવતી વખતે પણ સેહવાગે કહ્યું હતું કે આને ‘ટીમ ભારત’ કહેવામાં આવે.

    - Advertisement -

    વીરેન્દ્ર સેહવાગે નેધરલેન્ડ અને મ્યાનમારનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું વર્ષ 1996માં હોલેન્ડની ટીમ ભારતમાં વર્લ્ડકપ રમવા માટે આવી હતી પરંતુ 2003માં જ્યારે ભારત સાથે તેનો મેચ યોજાઈ ત્યારે તે હોલેન્ડના બદલે નેધરલેન્ડ થઇ ગયું હતું. તેવી જ રીતે સેહવાગે કહ્યું કે કેવી રીતે બર્માએ પણ અંગ્રેજોએ આપેલા નામનો ત્યાગ કરીને ફરી પોતાનું નામ મ્યાનમાર રાખી લીધું. આમ આ રીતે તેમણે યાદ અપાવ્યું કે કઈ રીતે ઘણા દેશો પોતાના નામ બદલીને મૂળ નામ તરફ વળ્યા છે. બીજી બાજુ તેમણે ઉમેર્યું કે તેમને રાજકારણ રમવામાં કોઈ રસ નથી. અગાઉની 2 ચૂંટણીમાં તેમને દેશની 2 મોટી પાર્ટીઓએ ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

    તેવી જ રીતે સિનેમા અભિનેતા અમિતાભ બચ્ચને પણ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર ‘T 4759’ શીર્ષક સાથેની એક પોસ્ટમાં ભારતના રાષ્ટ્રધ્વજવાળા ઈમોજી સાથે તેમણે ‘ભારત માતા કી જય’ એવું લખ્યું હતું. આના પરથી અંદાજો લગાવી શકાય કે અમિતાભ બચ્ચન પણ દેશનું નામ ‘India’ને બદલીને ‘ભારત’ કરવામાં આવે તેનાથી ખુશ છે.

    એક તરફ આ ચર્ચા ચાલી રહી છે ત્યાં બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઇશારા-ઈશારામાં આવી જ વાતો કહી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમાએ એક X પોસ્ટમાં લખ્યું કે, ‘રિપબ્લિક ઑફ ભારત, એ વાતનો આનંદ અને ગર્વ છે કે આપણી સંસ્કૃતિ અમૃતકાળ તરફ આગેકૂચ કરી રહી છે.’ ઉલ્લેખનીય છે કે વિપક્ષી ગઠબંધને જ્યારે પોતાનું નામ I.N.D.I.A રાખ્યું ત્યારે પણ સીએમ સરમાએ પોતે ‘ભારતવાસી’ હોવાનું જણાવ્યું હતું અને પોતાના ટ્વિટર બાયોને બદલીને ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ લખ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં