Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં હિંદુ મહાતીર્થ પંજ તીરથની હાલત કફોડી: પાંડવોના પિતા મહારાજ પાંડુ જ્યાં...

    પાકિસ્તાનમાં હિંદુ મહાતીર્થ પંજ તીરથની હાલત કફોડી: પાંડવોના પિતા મહારાજ પાંડુ જ્યાં રહેતા હતા તે જગ્યાને બનાવ્યું ગોડાઉન

    પુરાતત્ત્વ નિયામકે પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા સરકાર પાસે પંજ તીરથ પરથી અતિક્રમણ દૂર કરવા અને જરૂરી સંરક્ષણ કાર્ય હાથ ધરવાની મંજૂરી માંગી છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં હિંદુઓ અને હિંદુ તીર્થ સ્થળોની દુર્દશા કોઈનાથી છુપાયેલી નથી. પાકિસ્તાનમાં મહાભારત કાળના પંજ તીરથની દુર્દશા થઈ હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનના પેશાવરમાં આવેલા મહાભારત સાથે જોડાયેલા આ તીર્થસ્થળની જમીન પર મુસ્લિમો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. એટલું જ નહિ, પણ યાત્રાધામના બે મંદિરોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિચારવા જેવી બાબત તો તે છે કે પાકિસ્તાનમાં પંજ તીરથની દુર્દશા તેને રાષ્ટ્રીય ધરોહર સ્થળ જાહેર કર્યા પછી આવી છે. યાત્રાધામની જમીનને લઈને સ્થાનિક ઉદ્યાન અને પ્રાંતીય સરકાર વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. દસ દિવસ પહેલાં પેશાવર હાઈકોર્ટે પણ આ કેસના સમાધાન માટે લાંબો સમય લાગ્યો હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

    પાકિસ્તાનમાં પંજ તીરથની દુર્દશા પર બિટર વિન્ટરના એક અહેવાલ મુજબ 1947 સુધી હિંદુઓના પ્રખ્યાત અને પવિત્ર તીર્થસ્થાનોમાંના એક પંજ તીરથ હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહ્યું છે. ઇસ્લામિક આક્રમણકારોના હુમલાથી સ્થળને મોટું નુકસાન થયું હતું. દેશના ભાગલા થયાં ત્યાં સુધી અહીં માત્ર 2 જર્જરિત મંદિરો બચ્યાં હતાં. આ વિસ્તાર પાછળથી ચાકા યુનુસ ફેમિલી પાર્ક ચલાવતી કંપનીને લીઝ પર વેચવામાં આવ્યો હતો. 2019માં ખૈબર પખ્તુનખ્વા સરકારે પંજ તીરથને રાષ્ટ્રીય ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું હતું.

    હેરિટેજ સાઇટ જાહેર થયા બાદ પણ પંજ તીરથની જમીન સરકાર હસ્તગત નથી કરી શકી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં સ્થિત એમ્યુઝમેન્ટ પાર્ક મંદિરોનો વખાર (ગોડાઉન) તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ પાર્કની માલિકી ધરાવતી કંપની હેરિટેજ સાઇટની એક કેનાલ (0.125 એકર) અને 11 મરલા જમીન પરત આપવા તૈયાર છે. જ્યારે પુરાતત્વવિદોનું કહેવું છે કે પંજ તીરથના કેટલાક ભાગો લગભગ પાંચ કનાલ (0.625 એકર)ને આવરી લે છે.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર જ્યારે પુરાતત્વવિદો આ સ્થળ પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હથિયારધારી ટોળાએ તેમનો પીછો કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ પેશાવર હાઈકોર્ટે 10 ફેબ્રુઆરી 2023ના રોજ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ત્રણ વર્ષથી વધુ સમય વીત્યા બાદ પણ આ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. કોર્ટે ભ્રષ્ટાચારમાં સ્થાનિક અધિકારીઓની સંડોવણી તરફ પણ ધ્યાન દોર્યું હતું.

    પંજ તીરથનો ઇતિહાસ

    પંજ તીરથ મહાભારતકાલીન એક તીર્થ સ્થળ છે. પાંડવોના પિતા પાંડુ અહીં રહેવા આવતા હતા. અહીં સ્થિત પાંચ તળાવો પાંડવો (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ) સાથે સંબંધિત છે. એક સમયે અહીં અનેક મંદિરો અને બગીચાઓ હતાં. આ જગ્યાએ કાર્તિક મહિનામાં હિંદુઓ સ્નાન કરવા માટે આવતા હતા. સ્નાનની સાથે સાથે કેટલાક લોકો અહીં 2 દિવસ સુધી રહીને પૂજાપાઠ પણ કરતા હતા. પુરાતત્વવિદોનું માનવું છે કે બૌદ્ધ લોકો પણ આ સ્થળે પૂજા કરતા હતા.

    પંજ તીરથમાં બુદ્ધના ભિક્ષાપાત્રના નિશાન પણ મળી આવ્યા હતા. 1747 માં અફઘાન દુરાની રાજવંશના સમયગાળા દરમિયાન આ સ્થળને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 1834 માં શીખ શાસન દરમિયાન હિંદુઓએ તેને ફરીથી બનાવ્યું અને ફરી એકવાર કાર્તિક સ્નાન અને પૂજા આ સ્થળે શરૂ થઈ.

    હાલ પુરાતત્ત્વ નિયામકે પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા સરકાર પાસે પંજ તીરથ પરથી અતિક્રમણ દૂર કરવા અને જરૂરી સંરક્ષણ કાર્ય હાથ ધરવાની મંજૂરી માંગી છે. પંજ તીરથની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવાની પણ વિનંતી કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં