Friday, May 3, 2024
More
    હોમપેજદેશહલ્દ્વાની હિંસાનો મુખ્ય આરોપી અબ્દુલ મલિક હજુ ફરાર, હલ્દ્વાની પોલીસે ધરપકડના સમાચારને...

    હલ્દ્વાની હિંસાનો મુખ્ય આરોપી અબ્દુલ મલિક હજુ ફરાર, હલ્દ્વાની પોલીસે ધરપકડના સમાચારને નકાર્યા

    અબ્દુલ મલિકે જ મલિક બગીચા પર ગેરકાયદેસર કબજો કરીને નિર્માણ કરાવ્યું હતું, જ્યારે વહીવટીતંત્ર ત્યાં આવેલી ગેરકાયદેસર મસ્જિદ-મદરેસાને તોડી પાડવા પહોંચ્યો ત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ કાર્યવાહીનો સૌથી વધુ વિરોધ પણ અબ્દુલ મલિક જ કરી રહ્યો હતો.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં થયેલા હિંસક રમખાણોના મુખ્ય સૂત્રધાર અબ્દુલ મલિકની ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર બાદ હલ્દ્વાની પોલીસે સ્પષ્ટતા કરી છે. હલ્દ્વાની હિંસાનો તે મુખ્ય આરોપી છે. સમગ્ર વિસ્તારમાં હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ હવે ઉપદ્રવીઓની ધરપકડ કરી રહી છે. બનભૂલપુરામાં 5 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક સમાજવાદી પાર્ટીના નેતાનો ભાઈ છે, 2 નિવર્તમાન કોર્પોરેટર છે અને એક માઇનિંગ બિઝનેસમેન છે. આ હિંસાના મુખ્ય આરોપી તરીકે અબ્દુલ મલિકનું નામ સામે આવ્યું હતું, જે ફરાર ચાલી રહ્યો છે.

    હલ્દ્વાનીમાં થયેલી હિંસા બાદથી અબ્દુલ મલિક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ કેસમાં 75થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. હિંસામાં જે મહિલાઓને આગળ કરવામાં આવી હતી તેમની ઓળખ પણ કરવામાં આવી રહી છે. 19 લોકો વિરુદ્ધ નામજોગ અને 5000 અજ્ઞાત લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. 5 આરોપીઓમાંનો એક જાવેદ સિદ્દિકી છે. તેનો ભાઈ અબ્દુલ મતીન ઉત્તરાખંડ સમાજવાદી પાર્ટીનો પ્રભારી છે. જ્યારે બે આરોપીઓ કોર્પોરેટર છે. જેમાં લાઈન નંબર 16માં રહેતા કોર્પોરેટર મહેબૂબ આલમ અને લાઈન નંબર 14 ઇન્દ્રાનગર નિવાસી કોર્પોરેટર જીશાન પરવેઝનો સમાવેશ થાય છે.

    માઇનિંગ બિઝનેસમેન અરશદ અય્યુબ લાઇન નંબર 12માં રહે છે. અસલમ ચૌધરી ડેરીનો સંચાલક છે અને તેનું ઘર લાઇન નંબર 3માં છે. આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાંચેયને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. અબ્દુલ મલિકે જ મલિક બગીચા પર ગેરકાયદેસર કબજો કરીને નિર્માણ કરાવ્યું હતું, જ્યારે વહીવટીતંત્ર ત્યાં આવેલી ગેરકાયદેસર મસ્જિદ-મદરેસાને તોડી પાડવા પહોંચ્યો ત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ કાર્યવાહીનો સૌથી વધુ વિરોધ પણ અબ્દુલ મલિક જ કરી રહ્યો હતો.

    - Advertisement -

    અબ્દુલ મલિકે જ ગેરકાયદેસર મદરેસા-મસ્જિદનું નિર્માણ કર્યું હતું

    ફરાર અબ્દુલ મલિકને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. તેની સામે સરકારી કામમાં અવરોધ, જમીન હડપ કરવા, લોકોને ઉશ્કેરવા અને ષડયંત્ર રચવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે જ ગેરકાયદે મદરેસા અને નમાઝ સ્થળનું નિર્માણ કરાવ્યું હતું. મહાનગર પાલિકાએ 8 મહિના પહેલાં પણ ‘મલિક કા બગીચા’ નામની આ જગ્યા પર ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યાં હતાં. અહીં નાના-નાના પ્લોટ બનાવીને વેચવામાં આવ્યા છે અને મકાનો ઊભા કરી દેવામાં આવ્યાં છે.

    28 ડિસેમ્બર, 2023ના રોજ, કોઈએ સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંઘને આ ગેરકાયદેસર વ્યવસાય અને બાંધકામ વિશે ફરિયાદ કરી હતી. ત્યારબાદ મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર ગણેશ ભટ્ટના નેતૃત્વમાં 28 ડિસેમ્બરે જ મલિકના બગીચામાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. નમાઝ સ્થળ અને મદરેસાને હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જે બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી તો હિંસા ફાટી નીકળી હતી. અબ્દુલ મલિકની ધરપકડ કરવા માટે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ બે ટીમો મોકલવામાં આવી હતી.

    અપડેટ: મીડિયા રિપોર્ટ્સના આધારે પહેલાં અબ્દુલ મલિકની ધરપકડ થઈ હોવાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, પરંતુ નૈનીતાલના SSPની પ્રેસ કૉન્ફરન્સ બાદ તે હજુ પકડાયો ન હોવાની સ્પષ્ટતા થતાં નવી જાણકારી સાથે રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં