Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતબહુચરાજી વિસ્તારના વિકાસને વેગ આપવા સરકારનો નિર્ણય: બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીની રચના,...

    બહુચરાજી વિસ્તારના વિકાસને વેગ આપવા સરકારનો નિર્ણય: બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીની રચના, આસપાસનાં 7 ગામોને આવરી લેવાશે

    બેચરાજી તેમજ બેચરાજી ગ્રામ પંચાયત અને તેની આસપાસ થતા વિકાસને ભવિષ્યમાં સુનિયોજિત અને સુવ્યવસ્થિત કરવા એમટીએ તેમજ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે આ બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવના જોતાં રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લઈને બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીની (Becharaji Area Development Authority) રચના કરી છે. 

    બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ સાથે શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતિ સુઝુકીના પ્લાન્ટ અને ૩૦ જેટલા નાનાં-મોટાં ઉત્પાદન એકમો ધરાવતા આ સમગ્ર વિસ્તારનો રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ થઈ શકે તેવી શક્યતાઓ ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો હોવાનું સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે. 

    મહેસાણાથી અંદાજે 45 કિલોમીટર અંતરે રોડ કનેક્ટિવિટીથી જોડાયેલા બેચરાજી તેમજ બેચરાજી ગ્રામ પંચાયત અને તેની આસપાસ થતા વિકાસને ભવિષ્યમાં સુનિયોજિત અને સુવ્યવસ્થિત કરવા એમટીએ તેમજ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે આ બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી છે.

    - Advertisement -

    બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીમાં બેચરાજી ઉપરાંત તેની આસપાસનાં શંખલપુર, કાલરી, ગણેશપુરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામોના અંદાજિત 825 હેક્ટર વિસ્તારને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

    નવી રચાયેલી આ બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 હેઠળ ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે તેમજ નગરરચના યોજનાઓનું પણ આયોજન કરી શકાશે. નગરરચના યોજનાઓના પરિણામે રોડ, સ્ટ્રીટ લાઈટ્સ, બાગ-બગીચા, ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડી શકાશે.

    આ ઉપરાંત, બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે અને નવા મૂડી રોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે. બીજી તરફ રોજગારીની નવી તકો પણ ખુલવાથી આર્થિક વિકાસનાં નવાં માપદંડ નક્કી થઈ શકશે તેમ જણાવવામાં આવ્યું છે. 

    સરકારે જણાવ્યું કે, આ પ્રયાસોના પરિણામે ધાર્મિકતા સાથે આધુનિક અને ઉદ્યોગીક ક્રાંતિનો સમન્વય થશે અને બેચરાજી વિસ્તાર દેશ અને રાજ્યના વિકાસમાં પોતાનું પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ નવરચિત ઑથોરિટીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે.

    આ સત્તામંડળના અન્ય સભ્યો તરીકે ચીફ ટાઉન પ્લાનર, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર અને સભ્ય સચિવ તરીકે મહેસાણા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત, વિસ્તારના વિકાસને લગતી બાબતોને યોગ્ય વાચા આપવા સ્થાનિક સ્તરે ચૂંટાયેલા ચાર સભ્યોને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે સ્થાન આપવાની જોગવાઇ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં