Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોધરાકાંડ બાદનાં રમખાણો સંબંધિત કેસમાં કોર્ટે 35 લોકોને નિર્દોષ જાહેર કર્યા, કહ્યું-આ...

    ગોધરાકાંડ બાદનાં રમખાણો સંબંધિત કેસમાં કોર્ટે 35 લોકોને નિર્દોષ જાહેર કર્યા, કહ્યું-આ કોઈ કાવતરું ન હતું; સ્યુડો-સેક્યુલર મીડિયા અને નેતાઓને લગાવી ફટકાર

    તત્કાલીન સ્યુડો-સેક્યુલર મીડિયા અને રાજકારણીઓએ આ લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું હતું. ગુજરાતના 24માંથી 16 જિલ્લામાં થયેલા કોમી રમખાણો સ્વયંસ્ફૂરિત હતા, સ્યુડો-સેક્યુલર મીડિયા કહે છે તેમ સુનિયોજિત નહીં: કોર્ટ

    - Advertisement -

    2002માં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણો સંબંધિત ચાર કેસમાં 35 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની એક નીચલી અદાલતે આરોપીઓને મુક્ત કરતાં કહ્યું કે, આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા ન હતા અને કેટલાક સ્યુડો-સેક્યુલર મીડિયા અને સંગઠનોએ મચાવેલા હોબાળાને કારણે કેસ બિનજરૂરી રીતે લંબાયો હતો.

    પંચમહાલ જિલ્લાની હાલોલ કોર્ટ જે આરોપીઓને મુક્ત કર્યા છે તેમાં કેટલાક ડૉક્ટર, પ્રોફેસર, શિક્ષક અને બિઝનેસમેન છે. હાલોલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલકૃષ્ણ ત્રિવેદીએ ચુકાદો આપતી વખતે એ સ્યુડો-સેક્યુલર મીડિયા અને નેતાઓની પણ ઝાટકણી કાઢી હતી જેમણે ગોધરા બાદ થયેલા રમખાણો સુનિયોજિત હોવાનો દાવો કર્યો હતો.

    ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે, ત્રણ વ્યક્તિઓની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી તેમના મૃતદેહો બાળી નાખવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટે કહ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે.

    - Advertisement -

    જજ હર્ષ ત્રિવેદીએ 12 જૂન, 2023ના રોજ ગોધરા રમખાણો સંબંધિત ચાર કેસમાં કુલ 35 આરોપીઓ સામે ચુકાદો સંભળાવ્યો હતો, જે 15 જૂન, 2023ના રોજ ઉપલબ્ધ થયો હતો. ચુકાદામાં જજે જાણીતા લેખક, કોંગ્રેસ નેતા અને શિક્ષણશાસ્ત્રી ક.મા. મુનશીને ટાંકીને જણાવ્યું હતું કે, “જ્યારે પણ સાંપ્રદાયિક સંઘર્ષ થાય ત્યારે કોઇપણ બાબતને ધ્યાનમાં લીધા વગર બહુમતીને દોષિત ઠેરવવામાં આવે છે.”

    ઉલ્લેખનીય છે કે, ગોધરામાં મુસ્લિમ ટોળા દ્વારા સાબરમતી ટ્રેન સળગાવવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે 28 ફેબ્રુઆરી, 2002ના રોજ કલોલ બસ સ્ટેન્ડ, દેલોલ ગામ અને ડેરોલ સ્ટેશન વિસ્તાર નજીક હિંસા ફાટી નીકળી હતી, જેમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હોવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ વીસ વર્ષ પહેલાં જ્યારે આ કેસની ટ્રાયલ શરૂ થઈ ત્યારે કુલ 52 આરોપીઓ હતા. જોકે, સમય જતાં 17 લોકોના મોત થયા હતા. આમ આ કેસમાં માત્ર 35 આરોપીઓ બચ્યા હતા. આરોપીઓ પર રમખાણ, આગચંપી, ગેરકાયદેસર ભેગા થવું, હથિયાર રાખવા ઉપરાંત આ ત્રણ લોકોની હત્યાનો આરોપ હતો.

    ચુકાદામાં ન્યાયાધીશે કહ્યું હતું કે, આરોપીઓ સામે રમખાણોનો ગુનો સાબિત થતો નથી. પોલીસ આરોપીઓ સામે એક પણ પુરાવો રજૂ કરી શકી નથી. ફરિયાદીએ બિનજરૂરી રીતે 130 સાક્ષીઓને બોલાવીને કેસને લંબાવ્યો. આ સાક્ષીઓની જુબાની પણ સંપૂર્ણપણે અવિશ્વસનીય સાબિત થઈ છે. આપણા દેશમાં લોકોમાં સત્યનું સ્તર બહુ નીચું છે.

    36 પાનાના ચુકાદામાં જજ ત્રિવેદીએ કહ્યું હતું કે, ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ S6ને આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 મુસાફરોના મોત થયા હતા. આના કારણે સામાન્ય લોકો હેરાન થઈ ગયા હતા. 2002માં ગોધરા કાંડ બાદ શાંતિપ્રેમી ગુજરાતીઓ આઘાતમાં સરી પડ્યા હતા. તત્કાલીન સ્યુડો-સેક્યુલર મીડિયા અને રાજકારણીઓએ આ લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું હતું. ગુજરાતના 24માંથી 16 જિલ્લામાં થયેલા કોમી રમખાણો સ્વયંસ્ફૂરિત હતા, સ્યુડો-સેક્યુલર મીડિયા કહે છે તેમ સુનિયોજિત નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં