Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોરબંદરમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: ઇસ્લામિક આતંકી સંગઠન ISIS સાથે સાંઠગાંઠ ધરાવતા...

    પોરબંદરમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: ઇસ્લામિક આતંકી સંગઠન ISIS સાથે સાંઠગાંઠ ધરાવતા 4ની ધરપકડ, સુરતની મહિલા પણ સામેલ

    ગુજરાત ATSના આઇજી દીપન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓ શુક્રવારે સવારે પોરબંદર પહોંચ્યા હતા અને અમુક સંદિગ્ધોની અટકાયત કરી લીધી હતી.

    - Advertisement -

    ગુજરાત એટીએસે પોરબંદરમાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અહીંથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISIS સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરતની પણ એક મહિલા સામેલ હોવાનું કહેવાય છે. શુક્રવારે ATSની ટીમે પોરબંદરમાં ધામા નાંખ્યા હતા અને આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. 

    ગુજરાત ATSના આઇજી દીપન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓ શુક્રવારે સવારે પોરબંદર પહોંચ્યા હતા અને અમુક સંદિગ્ધોની ધરપકડ કરી લીધી હતી. તેમને SOG કચેરીએ લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં એક વ્યક્તિની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા પરંતુ તાજેતરમાં પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.

    ગુજરાત એટીએસે પોરબંદરમાં પકડેલા ચાર વ્યક્તિઓમાંથી એક સુરતની મહિલા છે, જેનું નામ સુમેરા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ પકડાવાનો બાકી છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ ISIS ટેરર મોડ્યુલનો ભાગ હતા અને આતંકી સંગઠનમાં જોડાવા માટે ભાગવાની ફિરાકમાં હતા. જે માટે તેઓ છેલ્લા એક વર્ષથી એકબીજા સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. 

    - Advertisement -

    ગુજરાત ATSને આ તમામ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે સુરતની મહિલા પાસેથી 4 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. વધુ જાણકારી અનુસાર, તેઓ પાકિસ્તાનના હેન્ડલરોના સંપર્કમાં હતા અને તેમના ઈશારે જ કટ્ટરપંથી બનીને આતંકી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહ્યા હતા.

    થોડા સમય પહેલાં ગુજરાત ATSને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા હતા, ત્યારથી આ તમામની ઓળખ કરીને તેમની ઉપર નજર રાખવામાં આવી રહી હતી. હાલ તમામની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત ATSએ અમદાવાદમાંથી ચાર બાંગ્લાદેશી યુવકોની ધરપકડ કરી લીધી હતી. તેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા અને આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે કામ કરી રહ્યા હતા. આ તમામ બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી. અમદાવાદમાં આગામી 20 જૂને રથયાત્રા યોજાનાર છે, જેને લઈને એજન્સીઓ અને પોલીસ વધુ સતર્ક બન્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં