Monday, May 13, 2024
More
    હોમપેજદેશજ્યાં અગાઉ લખવામાં આવતું હતું ‘India’, ત્યાં હવે જોવા મળ્યું ‘Bharat’..: G20...

    જ્યાં અગાઉ લખવામાં આવતું હતું ‘India’, ત્યાં હવે જોવા મળ્યું ‘Bharat’..: G20 સમિટની પ્રથમ બેઠકમાં પીએમ મોદીની નેમપ્લેટ બની ચર્ચાનો વિષય

    G20ના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન સૌથી વધુ ધ્યાન તેમની નેમપ્લેટે ખેંચ્યું હતું, જેની ઉપર દેશનું નામ ‘ભારત’ લખવામાં આવ્યું હતું.

    - Advertisement -

    G20 સમિટનો શુભારંભ થયા બાદ શનિવારે સવારે પ્રથમ બેઠક મળી હતી, જેમાં તમામ રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. જેમાં G20ના 19 સભ્ય દેશો અને યુરોપિયન યુનિયન તેમજ આમંત્રિત દેશોના વડા તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા સામેલ થયા હતા. G20 PM મોદીના સંબોધનથી બેઠકની શરૂઆત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીની નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું.

    G20 સમિટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન સૌથી વધુ ધ્યાન તેમની નેમપ્લેટે ખેંચ્યું હતું, જેની ઉપર દેશનું નામ ‘ભારત’ લખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજ સુધી વિદેશી કાર્યક્રમોમાં પીએમ મોદીની નેમપ્લેટ પર દેશનું નામ ‘ઇન્ડિયા’ લખાતું આવ્યું છે પરંતુ આ વખતે સૌપ્રથમ વખત ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

    આ મહત્વપૂર્ણ બદલાવની સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઈ રહી છે. લોકો અગાઉની સમિટની તસવીરો પોસ્ટ કરીને લખી રહ્યા છે કે કઈ રીતે અત્યાર સુધીના વિદેશના કાર્યક્રમોમાં દેશનું નામ ‘ઇન્ડિયા’ લખાતું રહ્યું છે, પરંતુ હવે તેનું સ્થાન ‘ભારત’ શબ્દે લઇ લીધું છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી આ મુદ્દે ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા G20 સમિટ પૂર્ણ થયા બાદ યોજવામાં આવેલ ભોજન સમારોહના આમંત્રણ માટેની પત્રિકામાં પણ રાષ્ટ્રપતિ માટે ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત’ લખવામાં આવ્યું હતું. 

    આફ્રિકન યુનિયન G20નું સ્થાયી સભ્ય બન્યું

    કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ આફ્રિકન યુનિયનને G20 સમૂહના સ્થાયી સભ્ય તરીકે આવકારવા માટે પ્રસ્તાવ મૂક્યો અને જેને સૌની સહમતીથી સ્વીકારી લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આફ્રિકન યુનિયનના પ્રમુખ અને કોમોરોસના રાષ્ટ્રપતિને આવકાર્યા હતા. જેથી હવે G20માં 20 દેશો અને એક યુરોપિયન યુનિયન એમ કુલ 21 સભ્યો થયા છે.  

    સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આજે વહેલી સવારે આવેલા ભૂકંપને લઈને સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વાસ્થ્યલાભ માટેની પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે આ સંકટના સમયે વિશ્વ મોરક્કોની સાથે છે.

    પીએમ મોદીએ કહ્યું કે, કોરોના બાદ વિશ્વાસના અભાવનું સંકટ આવ્યું છે. યુદ્ધ આ સંકટને વધુ ઘેરું બનાવ્યું હતું. જો આપણે કોરોનાને હરાવી શકીએ તો ચર્ચા અને પરામર્શથી આ વિશ્વાસના અભાવના સંકટને પણ દૂર કરી શકીએ તેમ છીએ. આ સૌને સાથે લઈને ચાલવાનો સમય છે. તેમણે આ સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો મંત્ર પણ આપ્યો અને કહ્યું કે, આ એ સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો સમાધાન માંગી રહ્યા છે અને એટલે આપણે માનવ શાંતિના દ્રષ્ટિકોણ સાથે જવાબદારી નિભાવતાં આગળ વધવાનું છે. આજે G20ના અધ્યક્ષ તરીકે ભારત સમગ્ર વિશ્વને આહવાન કરે છે કે સૌ સાથે મળીને વૈશ્વિક સંકટને વિશ્વાસમાં તબદિલ કરીએ અને સૌ સાથે મળીને ચાલીએ, જેમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’નો મંત્ર આપણા સૌ માટે પથદર્શક બની રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં