Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઇતિહાસમાં પહેલી વખત કોઈ પાર્ટી બનશે ભ્રષ્ટાચારના કેસમાં આરોપી, ચાર્જશીટમાં AAPનો પણ...

    ઇતિહાસમાં પહેલી વખત કોઈ પાર્ટી બનશે ભ્રષ્ટાચારના કેસમાં આરોપી, ચાર્જશીટમાં AAPનો પણ ઉલ્લેખ કરી શકે ED: સીએમ કેજરીવાલને પણ દર્શાવાશે આરોપી

    કેજરીવાલનું નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવે તો આ કેસમાં પહેલી વખત તેમનું નામ અધિકારિક રીતે નોંધવામાં આવશે. ED તેમને 'મુખ્ય સૂત્રધાર' તરીકે ચાર્જશીટમાં આરોપી બનાવી શકે છે.

    - Advertisement -

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે ED કોર્ટમાં વધુ એક ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે અને આ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી શકે છે. જો તેમ કરવામાં આવે તો AAP ભારતની પહેલી એવી રાજકીય પાર્ટી બનશે, જેને કોઇ તપાસ એજન્સીએ ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવી હોય. આ સાથે આ કેસમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ ‘કિંગપિન’ કે મુખ્ય સૂત્રધાર તરીકે ચાર્જશીટમાં નામ દાખલ કરવામાં આવી શકે છે. જો તેમ થાય તો તેમની મુશ્કેલીઓ વધશે. જોકે, હાલ તો તેમને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધીના વચગાળાના જામીન મળી ગયા છે.

    ED આ મામલે શનિવારે (11 મે) ચાર્જશીટ રજૂ કરી શકે છે. જો કેજરીવાલનું નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવે તો આ કેસમાં પહેલી વખત તેમનું નામ અધિકારિક રીતે નોંધવામાં આવશે. ED તેમને ‘મુખ્ય સૂત્રધાર’ તરીકે ચાર્જશીટમાં આરોપી બનાવી શકે છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, EDએ જણાવ્યું છે કે તેમને કેજરીવાલ સાથે સંબંધિત મની ટ્રેઈલ મળી આવી છે. નોંધવું જોઈએ કે આ પહેલાં EDએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ લાંચ તરીકે મળેલા 45 કરોડ રૂપિયાનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે 21 મેના રોજ અરવિંદ કેજરીવાલના જેલવાસને 2 મહિના પૂર્ણ થશે. તેઓ હાલ તિહાડ જેલમાં બંધ છે. નિયમ અનુસાર ધરપકડના 2 મહિના અંદર ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. આ ચાર્જશીટ દાખલ થયા બાદ ED તરફથી આ કેસમાં દાખલ કરવામાં આવનાર તે 7મી ચાર્જશીટ હશે.

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલને મળ્યા વચગાળાના જામીન

    બીજી તરફ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે તેમને 1 જૂન, 2024 સુધીના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપતાં નિર્દેશ પણ કર્યો છે કે 2 જૂને તેમને કોઈ પણ સંજોગોમાં સરેન્ડર કરવાનું રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે સાંજ સુધીમાં કેજરીવાલ તિહાડ જેલથી બહાર આવી જશે. ધરપકડ અને જામીન વિરૂદ્ધ કરેલી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર કોર્ટ હાલ સુનાવણી હાથ ધરી રહી છે. આ પહેલાં કોર્ટે કહ્યું હતું કે ચૂંટણીના માહોલને જોતાં કોર્ટ કેજરીવાલને ચૂંટણી પૂર્ણ થઈ જાય ત્યાં સુધી વચગાળાની રાહત આપી શકે છે.

    નોંધનીય છે કે, EDએ 15 માર્ચે હૈદરાબાદમાંથી BRS નેતા કે કવિતા અને 21 માર્ચ 2024ના રોજ અરવિંદ કેજરીવાલની દિલ્હીથી ધરપકડ કરી હતી. બંને નેતાઓની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ EDએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જોકે, કેજરીવાલ કોઈ પણ સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં