Monday, April 29, 2024
More
    હોમપેજદેશઝારખંડના CM હેમંત સોરેનની વધી શકે મુશ્કેલી: EDએ મીડિયા સલાહકાર, IAS સહિતના...

    ઝારખંડના CM હેમંત સોરેનની વધી શકે મુશ્કેલી: EDએ મીડિયા સલાહકાર, IAS સહિતના અનેક નજીકની વ્યક્તિઓના 12 ઠેકાણાં પર પાડી રેડ

    - Advertisement -

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધારી દીધી છે. EDએ મુખ્યમંત્રી હેમંત સોરનના નજીકના વ્યક્તિઓના ઠેકાણાં પર રેડ પાડી છે. મળતી માહિતી મુજબ એજન્સીએ 12 સ્થળો પર દરોડા પાડયા છે. જેમાં ઝારખંડ, કોલકાતા અને રાજસ્થાન પણ સામેલ છે. ઝારખંડના જમીન કૌભાંડ કેસ મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, EDએ આ મામલે પૂછપરછ માટે CM સોરેનને 7 વાર સમન્સ મોકલ્યા હતા પણ તેઓ એકપણ વાર એજન્સી સમક્ષ હાજર થયા નથી. જે બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    બુધવારે (3 જાન્યુઆરી) સવારથી કેન્દ્રીય એજન્સી ED ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની નજીકના વ્યક્તિઓના ઠેકાણાં પર દરોડા પાડી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત EDએ રાજસ્થાન, ઝારખંડ અને કોલકાતામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. CM સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના ઠેકાણાં પર EDએ દરોડા પાડયા છે.

    આ ઉપરાંત EDએ સાહેબગંજ કલેકટર અને IAS રામ નિવાસ, સાહેબગંજના આર્કિટેક્ટ વિનોદ કુમાર, ખોડાનીયા બ્રધર્સ, દેવઘરના પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવ, હજારીબાગના DSP રાજેન્દ્ર દુબેના નિવાસસ્થાન સહિત 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તે સિવાય EDએ કોલકાતામાં અભય સરાવગી, રાંચીની હોટવાર જેલના કોન્સ્ટેબલ અવધેશ કુમાર તથા રાજસ્થાનના અન્ય સ્થળોએ પણ દરોડા પાડયા છે.

    - Advertisement -

    EDએ 7 વાર મોકલ્યા હતા સમન્સ

    નોંધનીય છે કે, જમીન કૌભાંડ મામલે EDએ અત્યાર સુધીમાં ઝારખંડના CM હેમંત સોરેનને સાત સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ એક પણ સમન્સ પર હાજર થયા નથી. તેમણે 3 જાન્યુઆરીએ EDના સાતમા સમન્સના જવાબમાં પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે એજન્સી પર રાજકીય રીતે પ્રેરિત પગલાં લેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે એજન્સીએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેની સામે કયા આરોપો છે અને તે શા માટે તેની પૂછપરછ કરવા માંગે છે. આ બાબતે ચર્ચા ચાલી રહી છે કે, હેમંત સોરેન મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમના પત્ની કલ્પના સોરેનને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં એવું કહેવાય રહ્યું છે કે, 7 સમન્સની અવગણના કર્યા પછી, હેમંત સોરેન જાણે છે કે ED તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે, તેથી જ તેમણે તેમના પત્નીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે.

    શું છે મામલો?

    આરોપ છે કે, ઝારખંડમાં ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માલિકી બદલીને જમીન પચાવી પાડવામાં આવી છે. ED આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હમણાં સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2011 બેચના એક IAS અધિકારી છવિ રંજન પણ સામેલ છે. જે રાજ્ય સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને રાંચીના ડેપ્યુટી કમિશનરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. હવે આ મામલે ED ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ તપાસ કરવા માંગતી હતી. જે માટે તેણે CMને 7 સમન્સ મોકલ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં