Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે ઇડીએ 5 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ...

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે ઇડીએ 5 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી, પુત્રો સામે પણ ચાર્જશીટ દાખલ કરવાની એજન્સીની તૈયારી

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCPના દિગ્ગજ નેતા નવાબ મલિક વિરુદ્ધ ED દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને હવે તેમના પુત્રો પર પણ સકંજો કસવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    દાઉદ ઈબ્રાહીમ મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ પ્રવર્તમાન નિદેશાલયે (ED) સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીએ પાંચ હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં કેટલાક દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાક્ષીઓના નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર, ઇડી નવાબ મલિકના બે પુત્રો ફરાઝ મલિક અને આમિર મલિક વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. એજન્સીએ બંનેને કેસની તપાસ માટે સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ હાજર ન રહેતા હવે આગળની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, ઇડીએ ફરાઝ મલિકને ત્રણ જ્યારે આમિર મલિકને બે સમન્સ પાઠવ્યા હતા. પરંતુ બંને હાજર રહ્યા ન હતા. નવાબ મલિક વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા છતાં તેમના પુત્રો તપાસ પ્રત્યેનું વલણ ઠીક જણાઈ રહ્યું નથી. ઇડીએ દાઉદ ઈબ્રાહિમ અને અન્ડરવર્લ્ડ સબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નવાબ મલિકની ધરપકડ કરી લીધી હતી. નવાબ મલિક દાઉદ ઇબ્રાહિમ દ્વારા સંચાલિત હવાલા ટ્રાન્સફરમાં સામેલ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

    - Advertisement -

    15 ફેબ્રુઆરીના રોજ ઇડીએ મની લોન્ડરિંગ કેસ મામલે ઇડીએ દક્ષિણ મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર અને ભાઈ ઇકબાલ કાસકરના રહેઠાણો સહિત મુંબઈના 9 અને થાણેના એક સ્થળ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ એજન્સીએ ઇકબાલ કાસકરને હિરાસતમાં લઇ સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો. ઉપરાંત, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ પણ જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ભારતમાં આતંકવાદી હુમલાઓ શરૂ કરવાના કાવતરાં ઘડી રહ્યો હતો અને હુમલાઓમાં સામેલ લોકોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે હવાલા ચેનલો દ્વારા ભંડોળ પૂરું પાડી રહ્યો હતો.

    ઇબ્રાહિમ, ઇકબાલ મિર્ચી, છોટા શકીલ, પારકર અને જાવેદ ચીકણા સામે મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી વખતે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સે એજન્સીને હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ કેસમાં નવાબ મલિકનું નામ પણ સામે આવ્યું હતું. ઇડીએ તાજેતરમાં જ ગોવાવાલા કમ્પાઉન્ડ, કુર્લા વેસ્ટ, મુંબઈ ખાતેના કોમર્શિયલ યુનિટ, ઉસ્માનાબાદ જિલ્લામાં 147.794 એકર ખેતીની જમીન, કુર્લા વેસ્ટમાં ત્રણ ફ્લેટ, બાંદ્રા પશ્ચિમમાં બે ફ્લેટ સહિતની નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત તેમની સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને મલિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીઓ પણ જપ્ત કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં તાત્કાલિક મુક્તિની માંગ કરતી નવાબ મલિકની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધા બાદ હાઈકોર્ટનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમે આ મામલે શુક્રવારે સુનાવણી મુકરર કરી છે. નવાબ મલિકની અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, માત્ર વિશેષ પીએમએલએ કોર્ટનો તેમને હિરાસતમાં મોકલવાનો આદેશ તેમના પક્ષમાં ન હોવાથી તે આદેશ ખોટો કે અયોગ્ય બની જતો નથી. આ મામલે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં