Monday, April 29, 2024
More
    હોમપેજદેશસુપ્રીમ કોર્ટના જજે ભૂમિપૂજન સામે ઉઠાવ્યો વાંધો, કહ્યું- કોર્ટ પરિસરમાં પૂજા-અર્ચના ન...

    સુપ્રીમ કોર્ટના જજે ભૂમિપૂજન સામે ઉઠાવ્યો વાંધો, કહ્યું- કોર્ટ પરિસરમાં પૂજા-અર્ચના ન કરવી જોઈએ, દીવા ન પ્રગટાવવા, બંધારણને જ નમવાની આપી સલાહ

    જસ્ટિસ ઓકાએ કહ્યું, “આપણે ન્યાયતંત્ર સાથે સંબંધિત કોઈપણ કાર્યક્રમ દરમિયાન પૂજા અથવા દીવા પ્રગટાવવા જેવી ધાર્મિક વિધિઓ બંધ કરવી પડશે. તેના બદલે, આપણે બંધારણની નકલ રાખવી જોઈએ અને કોઈપણ કાર્યક્રમ શરૂ કરવા પહેલાં તેની આગળ નમવું જોઈએ."

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય ઓકાએ કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને એટલે કે વકીલો અને ન્યાયાધીશોને સલાહ આપી છે કે, તેઓ કોર્ટ પરિસરમાં પૂજા-અર્ચના કરવાનું ટાળે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોઈપણ કાર્યની શરૂઆત બંધારણની નકલ સામે નમીને કરવી જોઈએ. કોર્ટ પરિસરમાં દીપ પ્રાગટ્ય અને પૂજા-અર્ચના કરવી જોઈએ નહીં. જસ્ટિસ ઓકાએ આવી સલાહ સોમવારે (4 માર્ચ) મહારાષ્ટ્રના પૂણેમાં પિંપરી-ચિંચવાડમાં એક નવા કોર્ટ બિલ્ડિંગના ભૂમિપૂજન દરમિયાન આપી હતી.

    સુપ્રીમ કોર્ટના જજ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે, કાયદાકીય સમુદાયે ડૉ. બાબાસાહેબ આંબેડકરની માનસિકતા અપનાવવી જોઈએ અને ધાર્મિક વિધિઓને બદલે મુખ્ય બંધારણીય સિદ્ધાંતો પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું, “આપણે ન્યાયતંત્ર સાથે સંબંધિત કોઈપણ કાર્યક્રમ દરમિયાન પૂજા અથવા દીવા પ્રગટાવવા જેવી ધાર્મિક વિધિઓ બંધ કરવી પડશે. તેના બદલે, આપણે બંધારણની નકલ રાખવી જોઈએ અને કોઈપણ કાર્યક્રમ શરૂ કરવા પહેલાં તેની આગળ નમવું જોઈએ. આપણે આપણાં બંધારણ અને તેના મૂલ્યોનું સન્માન કરવા માટે આ નવી શરૂઆત કરવાની જરૂર છે.”

    આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની સાથે બૉમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને પૂણેના સંરક્ષક જજ સુપ્રીમ કોર્ટના પેટ્રોન જસ્ટિસ રેવતી મોહિતે ડેરે પણ ઉપસ્થિત હતાં.

    - Advertisement -

    આ કાર્યક્રમમાં ભાષણ દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈએ પણ સુપ્રીમ કોર્ટના જજ ઓકાની આવી સલાહ પર સહમતી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ઓકાએ ખૂબ સારું સૂચન આપ્યું છે. તેમણે ઉમેર્યું, “કોઈ ખાસ ધર્મની પૂજા-અર્ચના કરવાના બદલે આપણે આપણાં હાથે કોદાળી લઈને પાયો ગાળવા નિશાન કરવું જોઈએ. આપણે આપણાં સાથીદાર અનિલ કિલોરેના સૂચન મુજબ દીપ પ્રાગટ્ય સમારોહને બદલે છોડને પાણી પીવડાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવું જોઈએ. તેનાથી પર્યાવરણને લઈને સમાજમાં સારો સંદેશ જશે.”

    તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને લાગે છે કે, જો ન્યાયાધીશ તરીકે આપણે રામશાસ્ત્રી પ્રભુનેનો હિંમતવાન અને નિષ્પક્ષ સ્વભાવ ધરાવીએ તો આપણે જામીન આપવાથી શા માટે ડરવું જોઈએ? આજકાલ સ્થિતિ એવી છે કે, જિલ્લા કોર્ટમાં જામીન મળતા નથી.”

    નોંધનીય છે કે, એક અઠવાડિયાની અંદર કથિત ધાર્મિક જોડાણો અંગે ન્યાયતંત્ર તરફથી આ સતત બીજી ટિપ્પણી છે. અગાઉ 28 ફેબ્રુઆરીએ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ના એક કાર્યક્રમ દરમિયાન રિટાયર્ડ જસ્ટિસ જોસેફે સલાહ આપી હતી કે, સુપ્રીમ કોર્ટના આદર્શ વાક્યને બદલી નાખવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, “यतो धर्मस्ततो जय (જ્યાં ધર્મ છે, ત્યાં જ વિજય છે)ને બદલી નાખવું જોઈએ. કારણ કે ‘સત્ય જ બંધારણ છે, જ્યારે ધર્મ હંમેશા સત્ય નથી હોતો.’ સમયની જરૂરિયાત મુજબ પોતાની ફરજ નિભાવવી એ ધર્મ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં