Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએંઠાં સફરજન માર્યાં, મુક્કા-લાત ચાલ્યાં: દિલ્હી MCDમાં મેયર કરતાં વધુ શક્તિઓ ધરાવતી...

    એંઠાં સફરજન માર્યાં, મુક્કા-લાત ચાલ્યાં: દિલ્હી MCDમાં મેયર કરતાં વધુ શક્તિઓ ધરાવતી ખુરશી માટે ઘમાસાણ, અંધાધૂંધીમાં જ સવાર થઇ ગઈ

    આ હંગામાને રોકવા માટે ગૃહને વચ્ચે-વચ્ચે મુલતવી રાખવું પડ્યું હતું અને આ અંધાધૂંધીમાં જ સવાર થઈ ગઈ હતી.

    - Advertisement -

    દિલ્હી MCDમાં મેયર કરતા વધુ ‘પાવર’વાળી ખુરશી માટે ઘમાસાણ મચ્યું હતું. મેયર શૈલી ઓબેરોયની જીત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હાઉસ જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતાં. મધરાતે MCD ગૃહમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો દ્વારા એકબીજા પર પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. આ દરમિયાન બંને પક્ષના કાઉન્સિલરોએ એકબીજાને લાતો અને મુક્કા પણ માર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી દરમિયાન 22-23 ફેબ્રુઆરીની રાત્રે હંગામો શરૂ થયો હતો. બંને પક્ષોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

    મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટની સૂચના પર 22 ફેબ્રુઆરીની રાત સુધીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી. આ પછી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ હતી, પણ આ દરમિયાન દિલ્હી MCDમાં મેયર કરતા વધુ ‘પાવર’વાળી ખુરશી માટે ઘમાસાણ મચી ગયું હતું. ભાજપના કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટી પર સ્થાયી સમિતિની ચૂંટણીમાં ગેરરીતી આચરવાનો આરોપ લગાવ્યો છે. આ પછી ભાજપે ફરી ચૂંટણી કરાવવાની માગ કરી હતી.

    ભાજપની માંગને પગલે મધરાતે શરૂ થયેલી આ રકઝકે એમસીડી સદનમાં હંગામાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ હંગામાને રોકવા માટે ગૃહને વચ્ચે-વચ્ચે મુલતવી રાખવું પડ્યું હતું અને આ અંધાધૂંધીમાં જ સવાર થઈ ગઈ હતી. સવારે ફરી કાર્યવાહી શરૂ થતાં જ ચૂંટણી માટે રાખવામાં આવેલી મતપેટી પણ સદનની વેલમાં ફેંકી દેવામાં આવી હતી.

    - Advertisement -

    આ હોબાળા વચ્ચે આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા મેયર શૈલી ઓબેરોયે ભાજપના કાઉન્સિલરો પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો છે. મેયર શૈલીનો દાવો છે કે આ વિવાદ વચ્ચે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લડાઈની શરૂઆત એકબીજા પર બોટલો ફેંકવાથી થઈ હતી. બાદમાં કાઉન્સિલરોએ તેમની સાથે લાવેલા ફળોને સામેના પક્ષ પર ફેંકીને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું.

    ઉત્તર દિલ્હીના પૂર્વ મેયર રાજા ઇકબાલ સિંહે પણ દાવો કર્યો હતો કે તેમની પર બોટલો અને સફરજન ફેંકીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક કાઉન્સિલરો મારથી બચવા માટે ટેબલ નીચે સંતાઈ ગયા હતા. એમસીડી હાઉસમાં થયેલા આ હંગામાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    બેલેટ વોટિંગ દરમિયાન ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે, જ્યારે ભાજપના કાઉન્સિલર અર્જુન પાલ સિંહનો દાવો છે કે તેનો ઉપયોગ ખુલ્લેઆમ કરવામાં આવ્યો હતું. તેમના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા ફોનના ઉપયોગ સામે ભાજપના કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધીમાં 50 જેટલા કાઉન્સિલરોએ મતદાન કરીને ફોટા પડાવ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે મેયરે પણ આ વિરોધનો સ્વીકાર કર્યો હતો. અર્જુન પાલના જણાવ્યા અનુસાર આપના કાઉન્સિલરોએ ભાજપના કાઉન્સિલરો પર હુમલો તો કર્યો જ પરંતુ આ કાર્યવાહીનો વિરોધ કરવા બદલ તેમને ધમકી પણ આપી હતી.

    તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલદીપ કુમારે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ સ્થાયી સમિતિની ચૂંટણી મોકૂફ રાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. એક દિવસ પહેલાં 22 ફેબ્રુઆરીએ ‘આપ’ના કાઉન્સિલર શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવીને મેયર પદ જીત્યું હતું.

    સ્ટેન્ડિંગ કમિટી / સ્થાયી સમિતિની ચૂંટણીને લઈને હોબાળો કેમ?

    જ્યારે દિલ્હી એમસીડીના મેયર અને ડેપ્યુટી મેયરની થઈ ગઈ, તો પછી સ્થાયી સ્ટેન્ડિંગ કમિટી કે સ્થાયી સમિતિની ચૂંટણીમાં આટલો બધો ખળભળાટ શા માટે? આ પ્રશ્ન થવો વ્યાજબી છે. આ સવાલ પાછળ સત્તાની તાકાત છે. વાસ્તવમાં, દિલ્હી એમસીડીના મેયર પાસે ખૂબ જ મર્યાદિત સત્તાઓ છે. લગભગ તમામ ખેલ સ્થાયી સમિતિ અથવા સ્થાયી સમિતિના સભ્ય દ્વારા પાર પાડવામાં આવે છે.

    દિલ્હી MCDમાં સ્થાયી સમિતિ જ કોર્પોરેશનની કામગીરી અને વ્યવસ્થાપન કરે છે. કોઈ પ્રોજેક્ટને નાણાકીય મંજૂરી તેઓ જ પ્રદાન પરે છે, નીતિઓ પર ચર્ચા કરવી, અને તેને આખરી ઓપ આપવા વગેરેમાં સ્થાયી સમિતિની પણ મહત્વની ભૂમિકા હોય છે. એક રીતે તમે તેને દિલ્હી MCDની સૌથી શક્તિશાળી કમિટી કહી શકો છો. આ જ કારણ છે કે મેયરની ચૂંટણી બાદ પણ દિલ્હી MCDનો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં