Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લાના પૂર્વ સંયોજકે ગોપાલ ઇટાલીયા સહિત 5...

    આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લાના પૂર્વ સંયોજકે ગોપાલ ઇટાલીયા સહિત 5 સામે બદનક્ષીનો દાવો કર્યો, પોરબંદર કોર્ટમાં કેસ દાખલ

    આમ આદમી પાર્ટીએ ગુજરાતના અસંખ્ય કાર્યકર્તાઓને શો કોઝ નોટીસ આપ્યા વગર જ પાર્ટીમાંથી નિલંબિત કરવાનો મામલો સામે આવ્યો છે. ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં પોરબંદરના નિષ્કાષિત થયેલા કાર્યકર્તાએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

    - Advertisement -

    આપના કાર્યકર્તાઓના પક્ષપલટાઓ હોય કે આપના હોદ્દેદારોના અંદર અંદરના ઝઘડા હોય, ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે વિવાદોથી દૂર રહેવું લગભગ અશક્ય જ જણાય છે. એવા જ એક નવા વિવાદમાં આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લાના પૂર્વ સંયોજક કેયૂર જોશીએ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 હોદ્દેદારો સામે કરેલ બદનક્ષીના દાવાએ ચર્ચાઓનું માહોલ ગરમ કર્યું છે.

    વિષય એમ છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વગર તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

    આમ આદમી પાર્ટી દ્વારા વાઇરલ કરવામાં આવેલ પ્રેસ નોટ (ફોટો : કેયુર જોશી)

    ઑપઇન્ડિયા સાથેની પોતાની ખાસ વાતચીતમાં કેયુર જોશીએ જણાવ્યુ હતું કે એમણે 2014 થી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા. ગત વર્ષે એમના સહિત આમ આદમી પાર્ટી ગુજરાતના કુલ 16 કાર્યકર્તાઓને કોઈ પણ કારણદર્શક નોટિસ આપ્યા વગર માત્ર એક વોટ્સએપ મેસેજ દ્વારા પાર્ટીના પ્રાથમિક સદસ્ય સહિત તમામ હોદ્દાઓ પરથી બરતરફ કરી દીધા હતા. આ વિષે સંગઠનમાં વાત કરીને વિરોધ નોંધાવતાં આગલા દિવસે આ બધા 16 હોદ્દેદારોના નામ સાથે એક પ્રેસનોટ આમ આદમી પાર્ટી દ્વારા વાઇરલ કરવામાં આવી જેમાં લખ્યું હતું કે “આ તમામને પાર્ટી વિરોધી કામ કરતા હતા અને અનેક વાર ટોકવા છતાય એ કામ બંધ ના કર્યું એટલે એમને નિષ્કાષિત કરવામાં આવે છે.” પરંતુ જોશીએ અમને જણાવ્યુ કે એમણે આવા કોઈ કામ કર્યા નહોતા અને આ વિષેની કોઈ નોટિસ એમને મળી નહોતી. કેયુર જોશીને આમ આદમી પાર્ટી દ્વારા 2021માં પોરબંદર-છાયા નાગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રખાયેલ.

    - Advertisement -
    2021માં આમ આદમી પાર્ટી તરફથી નગરપાલિકાની ચૂંટણી લડતા કેયુર જોશી (ફોટો : કેયુર જોશી)

    કેયુર જોશીએ ઑપઇન્ડિયાને આગળ જણાવ્યુ કે એમના પર ખોટા આરોપ મૂકીને આ રીતે અપમાનિત કરીને કોઈ નોટિસ આપ્યા વગર પાર્ટીમાથી નિષ્કાષિત કરવાના કારણે અને એ પ્રેસનોટને આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં ફેરવવાના કારણે એમને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા ઉપરાંત જાહેર જીવનમાં પણ સૌ એમનું મજાક બનાવતા જેથી એમને સામાજિક તથા રાજકીય જીવનમાં ખૂબ નુકશાન થયું હતું. જેના કારણે એમણે માનસિક તાણનો પણ સામનો કરવો પડ્યો હતો.

    જોશીએ ઑપઇન્ડિયાને પુરાવા આપતા જણાવ્યુ કે આ વિષયમાં એમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાથી પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જોશીએ એમ પણ જણાવ્યુ કે આ પહેલા પણ આપ આદમી પાર્ટીના એ વખતના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનમંત્રી અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ પણ પાર્ટીના કાર્યકર્તાઓને વોટસએપમાં માત્ર સામાન્ય મેસેજ મોકલીને નિષ્કાષિત કરી દેતા હતા.

    આ બધા અપમાનો અને બિનજવાબદેહીથી માનસિક રીતે કંટાળીને કેયુર જોશીએ, જે પોતે એક એડવોકેટ પણ છે, પોરબંદર કોર્ટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ગુજરાત સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેસ્શ મહામંત્રી જયદીપ પંડ્યા, પ્રદેશ મીડિયા પ્રભારી તુલીબેન બેનર્જી અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષા ખૂંટ સામે માનહાનિનો દાવો કર્યો છે. આ કેસ આઇપીસીની કલમ 499, 501, 502 અને 120 બ અંતર્ગત નોંધવામાં આવ્યો છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ફરિયાદી કેયુર જોશીએ જણાવ્યુ હતું કે તેઓ આ વિષયમાં ન્યાય જંખે છે અને કોઈ પીએન ભોગે આરોપીઓને સજા અપાવીને જ માનશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં