Monday, April 29, 2024
More
    હોમપેજદેશનૂહ હિંસામાં કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ, હરિયાણા SITએ રાજસ્થાનમાંથી ઝડપ્યા: હિંદુઓ...

    નૂહ હિંસામાં કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ, હરિયાણા SITએ રાજસ્થાનમાંથી ઝડપ્યા: હિંદુઓ પર હુમલા માટે લોકોને ઉશ્કેરવાનો આરોપ

    હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે નૂહ હિંસા પાછળ મામન ખાનનો હાથ હતો. તેમણે કહ્યું હતું કે નૂહ હિંસાના ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન કહ્યું છે કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનના સંપર્કમાં હતા.

    - Advertisement -

    31 જુલાઈ 2023ના રોજ, હરિયાણાના મેવાતના નૂહમાં ઈસ્લામિક ટોળા દ્વારા હિંદુઓના સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 14 સપ્ટેમ્બર 2023ની રાત્રે મામન ખાનની ધરપકડ કરી છે. તેઓ મેવાતની ફિરોઝપુર ઝિરકા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય છે. તેમના પર લોકોને નૂહ હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ધરપકડથી બચવા માટે મામન ખાને હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. પરંતુ કોર્ટે ધરપકડ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નૂહ હિંસા કેસની તપાસ માટે રચાયેલી SITએ રાજસ્થાનના જયપુરથી મામન ખાનની ધરપકડ કરી છે. ધરપકડથી બચવા માટે મામને 12 સપ્ટેમ્બરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હિંસાનાં દિવસે અને તે પહેલા તે અસરગ્રસ્ત વિસ્તારમાં ન હતો. તેમણે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ એસઆઈટી તપાસ કરાવવા અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની સામે કાર્યવાહી પર રોક લગાવવાની પણ માંગ કરી હતી.

    મામનની આ અરજી પર 14 સપ્ટેમ્બરે સુનાવણી થઈ હતી. આ દરમિયાન SITએ તેમની વિરુદ્ધ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા. આ કારણે કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી ન હતી. હવે SITએ તેમની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે આ પહેલા પોલીસે બે વખત નોટિસ મોકલીને મામનને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે નૂહ હિંસા પાછળ મામન ખાનનો હાથ હતો. તેમણે કહ્યું હતું કે નૂહ હિંસાના ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન કહ્યું છે કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનના સંપર્કમાં હતા. તેમણે કહ્યું હતું કે હિંસા પહેલા મામન ખાને 29, 30 અને 31 જુલાઈએ નૂહની મુલાકાત લીધી હતી. તે રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં લોકો સાથે જીવંત સંપર્કમાં હતા.

    નૂહમાં હિંદુ ભક્તો પર ઇસ્લામી ભીડે કર્યો હતો હુમલો

    31 જુલાઈ, 2023ના રોજ, હરિયાણાના મેવાતના નૂહ જિલ્લામાં હિંદુ સંગઠનો શ્રાવણના પવિત્ર સોમવારે બ્રીજમંડલ જલાભિષેક યાત્રા કાઢી રહ્યા હતા. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા ઈસ્લામિક તોફાનીઓએ તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપી થઈ હતી.

    ઇસ્લામિક તોફાનીઓએ નલ્હડ મંદિરને ત્રણ બાજુથી ઘેરી લીધું અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે 1500થી વધુ હિંદુઓ મંદિરમાં ફસાયા હતા. એવો આરોપ છે કે ઈસ્લામવાદીઓએ હિંદુઓને ઘેરીને તેમની હત્યા કરવાની યોજના બનાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં